હું માસિક ધર્મ સમયે મંદિરમાં જાઉં છું, મન શુદ્ધ હોવું જોઈએ: વડોદરા DCP સરોજકુમારી

0
38
/news/MGUJ-VAD-HMU-LCL-i-am-going-to-temple-in-period-said-dcp-sarojkumari-of-vadodara-gujarati-news-5977988-NOR.html?ref=ht
/news/MGUJ-VAD-HMU-LCL-i-am-going-to-temple-in-period-said-dcp-sarojkumari-of-vadodara-gujarati-news-5977988-NOR.html?ref=ht

સુપ્રીમ કોર્ટે શબરીમાલા મંદિરમાં મહિલાઓને દર્શન કરવા જવા માટે છૂટ આપતો તાજેતરમાં હુકમ કર્યો હતો. જેને પગલે વિવાદ સર્જાયો છે. ત્યારે આ વિવાદ વચ્ચે વડોદરા શહેર પોલીસ તંત્રમાં ઝોન-4માં ડીસીપી તરીકે ફરજ બજાવતા સરોજકુમારીએ જણાવ્યું છે કે, હું માસિક ધર્મના સમયે મંદિરે જાઉં છું. મંદિરમાં જતી વખતે મન શુદ્ધ હોવુ જોઇએ. નોંધનીય છે કે, ગત જાન્યુઆરીમાં વડોદરામાં યોજાયેલી મેરેથોન દોડમાં પણ સરોજકુમારી માસિક દરમિયાન 21 કિ.મી. દોડીને યુવતીઓને એક મેસેજ આપ્યો હતો.

હું માસિક ધર્મના સમયે મંદિરમાં જાઉં છું: વડોદરાના DCP સરોજકુમારી

ખેતરમાં મજૂરી કામ કરીને આઇ.પી.એસ. બનવાનું સ્વપ્ન પૂરું કરનાર ડીસીપી સરોજકુમારીએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ-1989માં મારા મોટાભાઇએ નવયુવક મંડળ બનાવ્યું હતું. તે સમયે હું માત્ર 6 વર્ષની હતી. નવયુવક મંડળનો મુખ્ય ઉદ્દેશ લગ્ન સમયે દહેજ લેવું નહીં. તેમજ મૃત્યુ બાદ મૃત્યુ ભોજ કરાવવું નહીં. તેવો હતો. મારા બંને ભાઇના લગ્નમાં મારા ભાઇઓએ દહેજ લીધું નથી. એ તો ઠીક મૃત્યુ ભોજ નહીં પણ કરાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો અમારા સમાજ અને અમારા વિસ્તારના લોકોએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ અમારા પરિવાર અને નવયુવક મંડળમાં જોડાયેલા મિત્રોએ વિરોધીઓને મચક આપી ન હતી.

ડીસીપી સરોજકુમરીએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારથી માસિક ધર્મમાં આવી છું. ત્યારથી માસિક ધર્મમાં હોઉં ત્યારે મંદિરમાં ગઇ છું. મારી મમ્મી પણ માસિક ધર્મમાં હોય ત્યારે મંદિરમાં જતી હતી. મારી મમ્મી હંમેશા મને કહેતી હતી કે, બેટા મંદિરમાં જવા માટે મન શુદ્ધ હોવું જરૂરી છે. હું આજે પણ માસિક ધર્મમાં હોઉં છું. ત્યારે પણ મંદિરમાં જઉં છુ. આ સમયગાળા દરમિયાન યુવતી, મહિલાઓએ કાળજી લેવાની હોય છે.

ડીસીપી સરોજકુમારીએ વધુમાં એમ પણ જણાવ્યું કે, માસિક ધર્મના સમયે દરેક યુવતીઓ અને મહિલાઓએ મંદિરમાં જવું જ જોઇએ. અને તેઓને કોઇએ અટકાવવા જોઇએ નહીં.

તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં પાટણના એસ.પી. શોભા ભૂતડાએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, હું માસિક દરમિયાન મંદિરમાં જાઉં છું. અને પૂજામાં પણ ભાગ લઉં છું. તેઓની વાત સાથે હું પણ સમર્થન આપું છું. હું પણ સુધારાવાદી વિચારધારા ધરાવું છું. તેથી જ કહું છું કે, હું માસિક ધર્મ દરમિયાન નિયમીત મંદિર જાઉં છું. અને તે સમય દરમિયાન પૂજા-પાઠ પણ કરું છું.