
પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે આજે ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ ‘શ્રમિક આક્રોશ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકરો બહોળી સંખ્યામાં ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ઉમટી પડ્યા હતા અને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. બીજી તરફ, પગાર વધારા મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી ૧લી ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું છે. વિવિધ યુનિયનો પોતપોતાના કર્મચારીઓ સાથે નાની-નાની રેલી સ્વરૂપે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં આ તમામ રેલીઓ એક મહાસંમેલનમાં ફેરવાઈ હતી. દરેક સંગઠને પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આવેદનપત્રો આજે સાંજે મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓને સુપરત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, ‘જો સરકારની આંખ નહીં ખૂલે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં શ્રમિકોનો આ આક્રોશ પરાકાષ્ઠાએ જશે.’


