હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો, એટલે કે તપ, શૌચ,( પવિત્રતા) દયા અને સત્ય બતાવ્યાં છે, પણ કળિયુગમાં પ્રથમ ત્રણ બહું અનુસરી શકાતાં નથી! અને સત્ય એટલે કે સદાચાર પણ એટલું આચરી શકાય નહીં, એટલે ભાગવત અનુસાર કળિયુગમાં દાનને જ મુખ્ય ધર્મ કહ્યો છે. સતયુગ, ત્રેતા, અને દ્વાપરમાં પણ દાનનો મહિમા હતો જ, પણ કળિયુગમાં વિશેષ મહત્વ છે! અને આપણે જાણીએ છીએ કે અધર્મે જ્યારે માજા મુકી છે, ત્યારે બીજું કંઈ થાય કે ન થાય, પણ દાન ખૂબ થાય છે! ભલે એનાં કારણો કદાચ જુદાં જુદાં હોઈ શકે! એટલે કે દરેક દાન પાછળ સંવેદના હોતી નથી, ક્યારેક સ્વર્ગ નર્ક અને પાપનો ડર પણ હોય છે, તો ક્યારેક ટેક્સથી બચવા પણ દાન કરે છે, પરંતુ વધતી જતી વસ્તી અને ગરીબી દૂર કરવાં કોઈ ને કોઈ રીતે સામાજિક દાયિત્વ નિભાવવા દાન કરવું એ મહત્વપૂર્ણ છે. સમાજમાં આજે કેટલી કેટલીય એનજીઓ સામાજિક દાયિત્વ માટે ચાલે છે, અને જો એને દાન મળે નહીં તો એ કેમ ચાલે? હાં એક વાત જુદી છે કે, પોતાનાને રાખે કે ન રાખે, પણ ક્યારેક સ્ટેટ્સ માટે પણ દાન કરતાં હોય છે! આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ અને મહાભારતનું એક મહત્વનું પાત્ર એટલે કર્ણ, કે જેની આગળ દાનેશ્વરીનું વિશેષણ લાગે છે ! એનાં વિશે આપણે વાત કરીશું.
મહાભારતમાં કર્ણ એક એવું પાત્ર છે, જેને જોતાં આપણને લાગે કે અર્જુન જેવો જ ધનુર્ધર હોવા છતાં, એને ખૂબ અન્યાય થયો છે! કર્ણ અધિરથ અને રાધાનાં પાલક પુત્ર તરીકે ઓળખાય છે, આ ઉપરાંત દાસીપુત્ર, રાધેય કે અંગરાજનાં નામથી ઓળખાય છે. પરંતુ એ કુંતીનો પુત્ર છે, કુંતી જ્યારે કુંવારી હતી, ત્યારે એમણે સૂર્ય દેવને પુત્ર માટે આહવાન કર્યું અને એનો જન્મ થયો, પરંતુ કુંવારી માતાને હંમેશાં સમાજમાં બદનામીનો ડર લાગે છે, એમ કુંતીને પણ લાગ્યો! અને એમણે નવજાત શિશુને એક પેટીમાં મુકી નદીમાં વહાવી દીધો! અને એ પુત્રને અધિરથ અને રાધાએ ઉછેર્યો! એટલે કે રાજ મહેલમાં જેનો ઉછેર થવો જોઈએ, એ સામાન્ય ઘરમાં ઉછર્યો! કર્ણનાં દેખાવ વિશે કહેવું હોય, તો એ સુવર્ણના તાડ જેવો ઊંચો, સિંહ જેવો પ્રતિભાશાળી, દાનવીર, પરાક્રમી અને તેજસ્વી હતો. તે મહાન દાતા તરીકે જાણીતો હતો, અને તે દરરોજ સવારે દાન આપતો.
કર્ણ અને પરશુરામ વચ્ચે ગુરુ અને શિષ્યનો સંબંધ હતો. કર્ણ મહાન યોદ્ધા બનવાં માંગતો હતો, પરંતુ પરશુરામ માત્ર બ્રાહ્મણોને જ શસ્ત્ર વિદ્યા શીખવતા હતા, તેથી કર્ણે પોતાની સાચી ઓળખ છુપાવી બ્રાહ્મણ હોવાનું જૂઠું બોલીને પ્રવેશ મેળવ્યો હતો. પરશુરામજીએ કર્ણને તમામ દિવ્ય અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન આપ્યું. પરંતુ એક દિવસ પરશુરામજી જંગલમાં કર્ણનાં ખોળામાં માથું રાખીને સૂતાં હતાં, ત્યારે એક ભ્રમર જેવા કીડાએ કર્ણનાં સાથળમાં ડંખ મારવાનું અને લોહી ચૂસવાનું શરૂ કર્યું, પણ ગુરુની ઊંઘ બગડે નહીં, તે માટે કર્ણે આ અસહ્ય પીડા ચૂપચાપ સહન કરી લીધી, અને જરાય હલ્યો નહીં. પરશુરામજી જ્યારે જાગ્યાં અને જોયું કે કર્ણનો સાથળ લોહીલુહાણ છે. તેઓ સમજી ગયાં કે આટલી ભયંકર પીડા કોઈ બ્રાહ્મણ નહીં પણ ક્ષત્રિય જ સહન કરી શકે. સત્ય બહાર આવતાં ગુસ્સે ભરાયેલાં પરશુરામે કર્ણને શાપ આપ્યો, કે જ્યારે તને સૌથી વધુ જરૂર હશે, ત્યારે તું આ બધી વિદ્યા ભૂલી જઈશ, પરંતુ વિજયી નામનું ધનુષ્ય ભેટ આપ્યું, અને કહ્યું કે આ ધનુષ તારાં હાથમાં હશે ત્યાં સુધી તને કોઈ હરાવી નહીં શકે.
મૂળ વ્યાસ મહાભારતમાં કર્ણની પત્નીઓના નામનો સીધો ઉલ્લેખ નથી, પરંતુ સ્ત્રી પર્વમાં તેની એક પત્નીનો ઉલ્લેખ છે, જે યુદ્ધ ભૂમિ પર પોતાનાં પુત્રો માટે વિલાપ કરે છે. પ્રાદેશિક ગ્રંથો અને આધુનિક સાહિત્ય જેમ કે શિવાજી સાવંતની પ્રખ્યાત નવલકથા મૃત્યુજંય મુજબ કર્ણની મુખ્યત્વે બે પત્નીઓ હતી. કેટલાંક દક્ષિણ ભારતીય નાટકો અને પુસ્તકોમાં કર્ણની પત્ની તરીકે ઉરુવી અથવા પદ્માવતી નામની ક્ષત્રિય રાજકુમારીનો પણ ઉલ્લેખ જોવા મળે છે. વૃષાલી કર્ણની પ્રથમ પત્ની કે જે દુર્યોધનનાં સારથિ સત્યસેનની પુત્રી હતી. વૃષાલી સુશીલ અને ધૈર્યવાન હતી, તે પતિનાં સદગુણને ઓળખતી હતી, પરંતુ દુર્યોધન પ્રત્યેની તેની વફાદારી સામે તેણે કર્ણને ચેતવ્યો હતો. કર્ણનાં મૃત્યુ પછી તે સતી થઈ હોવાનું માનવામાં આવે છે. સુપ્રિયા કર્ણની બીજી પત્ની હતી, અને એ દુર્યોધનની પત્ની ભાનુમતીની દાસી હતી. જ્યારે દુર્યોધને કલિંગની રાજકુમારી ભાનુમતીનું હરણ કર્યું, ત્યારે કર્ણે તેને મદદ કરી હતી. ત્યારબાદ, ભાનુમતીનાં લગ્ન દુર્યોધન સાથે અને સુપ્રિયાનાં લગ્ન કર્ણ સાથે થયાં હતાં. મહાભારતમાં કર્ણનાં નવ પુત્રનો ઉલ્લેખ મળે છે જેમાં વૃષસેન, શુષેણ, સત્યકામ, વૃષકેતુ,ચિત્રસેન,બાનસેન દ્વિપત, પ્રસેન,શત્રુંજય નામ છે.
ઓગષ્ટના પ્રથમ રવિવારે આપણે ફ્રેન્ડશિપ ડે એટલે મિત્રતા દિવસ ઉજવીએ છીએ! મહાભારતમાં કર્ણ અને દુર્યોધનની મિત્રતા ઇતિહાસમાં અતૂટ માનવામાં આવે છે. આ મિત્રતાની શરૂઆત હસ્તિનાપુરમાં આચાર્ય દ્રોણે રાખેલી રંગભૂમિની સ્પર્ધા દરમિયાન થઈ હતી. ગુરુ દ્રોણાચાર્યે જ્યારે અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર જાહેર કર્યો, ત્યારે કર્ણએ અણધારી રીતે રંગભૂમિમાં પ્રવેશ કર્યો, અને અર્જુન જેવાં જ પરાક્રમો કરી બતાવ્યાં. ત્યાર બાદ તેણે અર્જુનને દ્વંદ્વયુદ્ધ યુદ્ધનો સામનો કરવા માટે પડકાર્યો. પરંતુ જ્યારે અર્જુન કર્ણ સાથે લડવા તૈયાર થયો, ત્યારે કૃપાચાર્ય અને ભીષ્મએ નિયમ જણાવ્યો કે રાજકુમાર માત્ર રાજકુમાર અથવા રાજા સાથે જ દ્વંદ્વયુદ્ધ રમી શકે. તેમણે કર્ણને તેના કુળ અને પિતાનું નામ પૂછ્યું. કર્ણ સૂતપુત્ર હોવાથી રંગભૂમિમાં તેનું ભારે અપમાન થયું,અને પાંડવોએ તેની મજાક ઉડાવી.દુર્યોધન પાંડવો અને ખાસ કરીને અર્જુનની તાકાતથી ઈર્ષ્યા કરતો હતો. તેણે જોયું કે કર્ણ એકમાત્ર એવો યોદ્ધા છે ,જે અર્જુનને હરાવી શકે છે. કર્ણનું અપમાન થતું જોઈ દુર્યોધને તુરંત જ સભા વચ્ચે જાહેરાત કરી કે, “જો નિયમ મુજબ રાજા હોવું જરૂરી છે, તો હું હમણાં જ કર્ણને અંગ દેશનો રાજા જાહેર કરું છું. દુર્યોધને ત્યાં જ બ્રાહ્મણોને બોલાવી કર્ણનો રાજ્યાભિષેક કર્યો અને તેને ‘અંગરાજ’ બનાવ્યો. આ સન્માનથી ભાવુક થઈને કર્ણએ દુર્યોધનને પૂછ્યું આ સન્માનનાં બદલામાં શું જોઈએ છે ત્યારે દુર્યોધને સાચી મિત્રતા માંગી. બસ આ ક્ષણથી બંને વચ્ચે એવી મિત્રતા શરૂ થઈ જે જીવનના અંત સુધી ચાલી. કર્ણએ પણ હંમેશાં દુર્યોધનનો પક્ષ ન્યાયી છે કે અન્યાયી તે જોયા વગર પોતાની વફાદારી નિભાવી.
આવાં મહાન યોદ્ધાનું મૃત્યુ છળથી થયું, એ વાતે દુઃખ થાય. મહાભારતનાં યુદ્ધમાં જ્યારે કર્ણને હરાવી શકાય એમ નથી એવું લાગ્યું ત્યારે અર્જુનને બચાવવા ઇન્દ્રદેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કવચ-કુંડળ દાનમાં માંગી લીધાં. કુંતી એ પણ પોતાના પુત્રની રક્ષાનું વચન માગ્યું, ત્યારે કર્ણે એને કહ્યું કે તમે પાંચ પુત્રની માતા બની રહેશો. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન સામે લડતી વખતે રથનું પૈડું જમીનમાં ખૂંપી જવાથી, અને નિઃશસ્ત્ર હોવા પર અર્જુને શ્રીકૃષ્ણના કહેવાથી તેનો વધ કર્યો, પરંતુ આજે પણ એને ઈજ્જતથી યાદ કરીએ છીએ! અને એનાં સદગુણોને બિરદાવીએ છીએ. આમ દાનને કર્મનું ભાથું કહેવામાં આવે છે! રુપિયા ગમે તેટલાં હશે! પણ એ સાથે નહીં આવે, કર્મ જ સાથે આવશે અને કર્મની બેંકનું વ્યાજ જન્મોજન્મ વધતું જાય છે! અને પૃથવી પર પણ એક મિટાવી શકાય નહીં એવી છાપ છોડી જાય છે! કર્ણ દ્વાપરનું પાત્ર છે, પણ આજે પણ તેને દાનેશ્વરી તરીકે યાદ કરીએ છીએ, તો કર્ણનાં ચરિત્ર માંથી દાનનો બોધ લઈ આપણે સૌ સામાજિક દાયિત્વ નિભાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
