
તાજેતરમાં સાહિત્ય અને કલા પ્રેમી સંસ્થા ‘ફક્ત ગુજરાતી’ દ્વારા એક અનોખા અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ *‘કલમથી કેમેરા સુધી’*નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એક સામાન્ય વાર્તા કે વિચારને કાગળ પર ઉતારવાથી લઈને તેને રૂપેરી પડદા પર જીવંત કરવા સુધીની રોચક સફર વિશે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં અતિથિ વિશેષોનું શાબ્દિક સ્વાગત પરીન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા, સાહિત્ય અને ટેકનોલોજીમાં નિપુણ તથા ‘ધ સાયન્સ મિસ્ટરી’ પુસ્તકના લેખક શ્રી કે. આર. ચૌધરી ઉપસ્થિત રહી મનનીય, પ્રેરક સમજણ આપી હતી. સાંદીપનિ સાહિત્ય પર્વના પ્રમુખ તથા જાણીતા ડૉક્ટર અને અભિનેતા ડૉ. હર્ષદ લશ્કરી, સુશ્રી ભૂમિકા બારોટ; જેઓ હેડ ઓફ ડ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ – ગુજરાત યુનિવર્સિટી અને ડૉ. ખ્યાતિ પુરોહિત; જે ‘મિથિલા મુજ મેં સમા ગયાં’ના લેખિકા છે, જે તમામે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી મંચને શોભાવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે એક વિશેષ પોડકાસ્ટ સત્રનું આયોજન થયું હતું, જેમાં ચાર નિષ્ણાત વક્તાઓએ શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું: ૧. શ્રી રીતેશ મોકાસણા: જેઓ લેખક અને ફિલ્મમેકર છે, જેમણે ફિલ્મ નિર્માણની બારીકાઈઓ સમજાવી હતી. ૨. શ્રી શશિકાંત વાઘેલા: જાણીતા યુટ્યુબર અને સિનેમેટોગ્રાફર, જેમણે વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને ફોટોગ્રાફીનાં મહત્વ વિશે વાત કરી હતી. ૩. સુશ્રી શીતલ માલાણી: લેખિકા અને સ્ક્રીનરાઈટર, જેમણે વાર્તા લેખન અને સ્ક્રીન ડાયલોગ પર પ્રકાશ પાડ્યો હતો. ૪. શ્રી જગદીશ રથવી: શિક્ષણવિદ અને લેખક, જેમણે પોતાના ટેલીફિલ્મ બનાવવાના અનુભવો અને સાહિત્ય સર્જન વિશે વાત કરી હતી.
આ સત્ર દરમિયાન ફિલ્મ મેકિંગના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દ્રશ્યને ફિલ્મીક રીતે કલ્પવા માટે મૂડ અને લાઈટિંગનું મહત્વ, સ્ક્રીપ્ટમાં ‘સાઇલન્સ’ (મૌન) નો ઉપયોગ, રિસર્ચની પદ્ધતિઓ, સ્ક્રીપ્ટનો રિધમ અને ટેમ્પો, કેમેરા એંગલનું મહત્વ, તથા વેબ સિરીઝ અને ફીચર ફિલ્મ વચ્ચેના લેખનનો તફાવત જેવા ટેકનિકલ અને સર્જનાત્મક મુદ્દાઓ આવરી લેવાયા હતા. શ્રોતાઓ માટે આ સવાલ-જવાબનું સત્ર અત્યંત જ્ઞાનવર્ધક રહ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન એક ખાસ સાહિત્યિક ક્ષણ પણ સર્જાઈ હતી, જેમાં લેખિકા સુશ્રી શીતલ માલાણીના પુસ્તકનાં વિમોચન સમયે શૈલેષ પંચાલના શબ્દોએ નવલકથા પર પ્રકાશ પાડ્યો હતો. મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુશ્રી કિરણ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સંસ્થાનો પરિચય જપન રાવલે આપ્યો હતો. કાર્યક્રમના અંતે દેવ ભાવસારે આભારવિધિ કરી હતી. સાહિત્યરસિકો અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો માટે આ કાર્યક્રમ એક પ્રેરણારૂપ બની રહ્યો હતો.


