
જુનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી ‘વાણંદ ડેલી’ આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે. આ એ જ ડેલી છે જ્યાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ₹100 કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મના સૌથી મહત્ત્વના અને ભાવનાત્મક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા.જોકે, આ ફિલ્મે મેળવેલી જબરજસ્ત નામના અને કરોડોની સફળતા વચ્ચે, મકાન માલિક પરિવારને જે કડવો અનુભવ થયો છે તે ખૂબ જ દુઃખદાયક છે. આ મકાનના માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે પોતાની વેદના વ્યક્ત કરી છે, જેમણે માનવતાના ધોરણે ફિલ્મની ટીમને શૂટિંગ માટે ઘર પૂરું પાડ્યું હતું.વાણંદ ડેલીમાં રહેતા વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજા હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે; તેમને પેરાલિસિસનો એટેક આવેલો છે અને તેમના મગજની સર્જરી પણ કરાવેલી છે. આ નબળી આર્થિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ છે,તેઓ તેમના પતિ અને 23 વર્ષના દીકરો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.જ્યારે આ ફિલ્મનું શૂટિંગ નક્કી થયું, ત્યારે નજીકમાં રહેતા એક ભાઈ દ્વારા ફિલ્મની ટીમના કોઈ વ્યક્તિને લઈ મકાન માલિકને મળવા આવ્યા હતા. તે સમયે પરિવારને માત્ર બે દિવસ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ઘરમાં કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, બે દિવસના બદલે આ ફિલ્મનું શૂટિંગ પંદર દિવસ સુધી ચાલ્યું હતું. આટલું લાંબુ શૂટિંગ ચાલ્યું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹ 100 કરોડથી વધુની જંગી કમાણી કરી હોવા છતાં, મકાન માલિક પરિવારને હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી.


