
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પતિવ્રતા સ્ત્રી વિશે વાત કરીએ, તો રામાયણ કાળમાં ઉર્મિલા અને માંડવી એ પતિવ્રતા સ્ત્રીનાં પરફેક્ટ ઉદાહરણ છે, એમાં કોઈ બેમત નથી. સતયુગમાં પતિવ્રતા સ્ત્રી માટે એક વાક્યમાં કહેવું હોય તો, સ્વપ્નમાં પણ જે સ્ત્રી અન્ય પુરુષનો વિચાર ન કરે તે પતિવ્રતા. ત્રેતાયુગમાં પતિની ઈચ્છા એ જ પરમ ધર્મ, એટલે કહેવું ન પડતું, કે આમ કરો! એને આ ગમશે! નહીં ગમે! એમ પોતે જ સમજી જતી. દ્વાપરમાં પતિની આજ્ઞા અનુસાર જીવે એ પતિવ્રતા, આજથી એ તમારી દાસી, આજથી તુ મારી પ્રિયા નથી,કે કોઈ અન્ય છે! અને એ બિચારી….દ્રૌપદી ચિરહરણની ઘટનાથી સૌ કોઈ પરિચિત છે, એટલે કે દેવી ધીરે ધીરે સાધન બનતી ગઈ. પરંતુ કળિયુગમાં જો પતિવ્રતાની કોઈ વ્યાખ્યા આપવાનું કહે તો, ચોવીસ કલાક જે પતિના આર્થિક, શારીરિક, માનસિક, અને સામાજિક હિતનું વિચારીને જીવે તે પતિવ્રતા. આપણે જ્યારે પતિવ્રતાની વાત કરીએ તો રામાયણ કાળમાં આપણને એક સ્ત્રી એવી દેખાય છે, જેણે પોતાના પતિનું હિત વિચાર્યું હતું, અને વારંવાર તેને પ્રાર્થના પણ કરી હતી, તો આજે આપણે ચિંતનમાં એના વિશે વાત કરીશું.
મંદોદરી વિશે રામાયણમાંથી એટલો મોટો કોઈ સંદર્ભ મળતો નથી, પરંતુ તે રાવણની પાંચ રાણી ઓમા સૌથી સુંદર રાણી હતી, અને લંકાની પટરાણી હતી. ઇન્દ્રજીત અને અક્ષય જેવા ધુરંધર યોદ્ધાની માતા હતી. રાવણ જ્યારે સીતાનું અપહરણ કરી અને લંકામાં લાવે છે, ત્યારે જ મંદોદરી એ કહ્યું હતું કે નાથ તમે એને એના પતિને સોંપી દો! નહીં તો એ તમારા મૃત્યુનું કારણ બનશે! રાવણે કહ્યું હતું કે તમારું પટરાણીનું પદ જોખમાય છે, એવું વિચારીને તમે આ વાત કરી રહ્યા છો! તમને મારી શક્તિ પર સંદેહ છે? ત્યારે મંદોદરી એ ના પાડી હતી, અને કહ્યું હતું કે જો એ સ્વેચ્છાએ તમારી સાથે લગ્ન સ્વીકારે, તો મને પટરાણી પદ છોડવામાં કોઈ જ વાંધો નથી. હું તો માત્ર તમારા હિતનું વિચારીને તમને રોકી રહી છું. માત્ર તમારું નહીં, પરંતુ રાક્ષસ કુળનો નાશ થવાનો છે, એવા ભવિષ્યના ભણકારા મને સંભળાય છે. ભાઈઓ ભાઈઓમાં વેર થશે, આપણા સંતાનો હણાઈ જશે, અને કેટકેટલી બરબાદીનું કારણ છે આ સ્ત્રી. માત્ર એક સ્ત્રીનો મોહ તમને બહુ ભારે પડશે, તમે અત્યંત શક્તિશાળી છો, અને પૃથ્વીને જીતી શકો એટલી શક્તિ ધરાવો છો! મને તમારી શક્તિ પર કોઈ શંકા નથી, પરંતુ અનીતિ કરીને જે કંઈ મેળવવામાં આવે, તે અંતે ફળદાયી સાબિત થતું નથી, કે તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. આ સ્ત્રી જો પોતે ઈચ્છે કે એ તમારી પત્ની બનવા રાજી છે, તો એ અનીતિ નથી. પરંતુ એની ઈચ્છા વિરુદ્ધ થતું કાર્ય અનીતિ છે, અને એ ક્યારેય સુખ આપી શકે નહીં, અને વિનાશનું કારણ બનશે, આ વાત હું તમને જણાવવાં માંગુ છું. હે નાથ કૃપા કરીને તમે સીતાને એના પતિને પાછી સોંપી દો! બસ આવો એક નાનકડો સંવાદ રામાયણમાં રાવણ અને મંદોદરી વિશે છે, અને એના પરથી સ્પષ્ટ થાય છે કે મંદોદરી પોતાના પતિનું હિત ઈચ્છતી હતી. એના પરથી બીજું એક સત્ય એ પણ સાબિત થાય છે, કે રાવણ પતિ તરીકે સારો રહ્યો હશે, અને પતિ-પત્ની વચ્ચે આવા સંવાદની ભૂમિકા પણ એ સમયે રહી હશે, તો જ મંદોદરી તેને સમજાવવાની કોશિશ કરી શકે! પરંતુ દસ મસ્તકનું અભિમાન ધરાવતો રાવણ મંદોદરીની સીધી સાદી વાત એટલે કે નીતિ અનીતિની વાત સમજી શક્યો નહીં, અને તેણે સીતા માટે યુદ્ધને સ્વીકાર્યું,અને અંતે પ્રભુ શ્રી રામ ના હાથે મરાયો. મંદોદરી ને જ્યારે ખાતરી થઇ ગઈ કે રાવણ માનશે નહીં, અને યોદ્ધ થઈને જ રહેશે ત્યારે તે અશોક વાટિકા માં સીતા ને મળવા જાય છે, અને તેને કહે છે કે તે એનાં પતિની વાત માની જાય! આ ઉપરાંત સીતા ને કોઈ પણ મદદની જરૂર હોય તો પણ જણાવવા કહ્યું. એણે પતિવ્રતા સ્ત્રીના વ્રત કરી અને પોતાના પતિનું આયુષ્ય વધારવાની કોશિશ પણ કરી હતી, એ સમયે કોઈ ચોક્કસ વડને પૂજવાથી અને વ્રત રાખવાથી પતિનું આયુષ્ય વધે છે, એવી માન્યતા પ્રચલિત હતી. મંદોદરી એ એ વ્રત પણ કર્યું, પરંતુ હનુમાન ત્યાં આગળ વાનર બનીને પહોંચ્યા,અને મંદોદરી એ રાવણ માટે એકઠા કરેલાં આયુધન ને ચોરી ગયાં એવી પણ એક દંતકથા મળે છે.
પુરાણોમાં મંદોદરીના જન્મ વિશેની પણ એક કથા મળે છે,કે મંદોદરી પૂર્વેના જન્મમાં મધુરા નામની એક અપ્સરા હતી, અને તે ભગવાન શંકરથી બહુ જ પ્રભાવિત હતી. તેને પ્રસન્ન કરવા તે તપ કરતી હતી,અને એક વાર તે કૈલાસ પર પહોંચી ગઈ. ત્યાં આગળ માતા પાર્વતીની ગેરહાજરી જોતાં, તેણે ભગવાનની કઠિન તપશ્ચર્યા કરી, અને ભગવાન શંકરને રીઝવવાનો પ્રયત્ન કર્યો. થોડીવારમાં પાર્વતીજી ત્યાં આવી પહોંચ્યા અને તેણે એ અપ્સરાનાં શરીર પર ભસ્મને જોઈ તેને મધુરાને શ્રાપ આપ્યો કે તે બાર વર્ષ સુધી દેડકી બની જશે. ભગવાન શંકરે પાર્વતીજીને શાંત કરતા કહ્યું કે દેવી તમે સમજો છો, એવું કંઈ થયું નથી, એ માત્ર તપના આવિર્ભાવમાં હતી. દેવી પાર્વતીએ કહ્યું કે હવે શ્રાપ તો મિથ્યા નહીં થાય, પરંતુ 12 વર્ષ પછી તે પોતાનું મૂળ શરીર પ્રાપ્ત કરી શકશે. અસુર રાજ મય અને તેની પત્ની હેમાને બે પુત્રો હતાં, છતાં તેમને પુત્રીની ઝંખના હતી, અને આથી તેમણે ભગવાન શંકરની તપસ્યા કરવા તેઓ કૈલાસમાં આવ્યાં, અને દંપતીએ બહુ કઠિન તપશ્ચર્યા કરી. પરંતુ ભગવાન પ્રસન્ન થાય એ પહેલાં જ કૂવામાંથી દેડકીનાં રડવાનો અવાજ આવ્યો, અને તે બંને તેને બહાર કાઢી. દેડકીએ પોતાની વિતક કથા કહી સંભળાવી. તેઓને તેની પર મમતા આવી, અને રાજ મહેલમાં લઈ આવ્યાં. સમયાંતરે દેડકીએ ફરી પાછી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. એકવાર રાવણ આવી ચડ્યો, અને તેણે અત્યંત સુંદર એવી મંદોદરીને જોઈ. રાવણ તેના રૂપથી પ્રભાવિત થયો, અને તેણે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. પરંતુ અભિમાની એવા અસૂરરાજે પ્રસ્તાવને નકાર્યો. મંદોદરી જાણતી હતી કે રાવણ પોતાના પિતા કરતાં વધુ શક્તિશાળી છે, અને પોતાને આશરો આપનાર માતા પિતાના મૃત્યુનું કારણ પોતે બનવા માંગતી નહોતી, આથી તેણે રાવણ સાથે લગ્ન સ્વીકારી લીધા, આમ મંદોદરી રાવણની પટરાણી બની.
રામાયણ કાળના સ્ત્રીપાત્રોના પરિચય પરથી બીજી એક વાત દેખાય છે કે દેવતાની પત્ની હોય, ઋષિની પત્ની હોય, રાજાની પત્ની હોય, કે રાક્ષસની પત્ની હોય, તેઓ પોતાના ચરિત્રને બરકરાર રાખી શકી. એટલે કે પતિ સિવાય કોઈ માટે તેમણે વિચાર્યું નહીં, તેમની ઈચ્છા, આજ્ઞા, કે હીત મુજબ તેઓ જીવી ગયાં.કોઈ કાગળમાં શૂન્ય દોરતા હોઈએ તો જે બિંદુ પરથી શરૂ કરીએ, એ જ બિંદુ પર પાછા આવીએ, ત્યારે વર્તુળ અથવા તો શૂન્ય કે પછી મીંડું કહો, તેની રચના થાય. સમય પણ ચક્રાકારે ગતિ કરી રહ્યો છે, અને એ રીતે વર્તુળને પૂરું કરવું હોય, તો એ જ બિંદુ પર પાછા જવું પડે! એ જ ચરિત્રોને આત્મસાત કરવા પડે! અને એ મુજબ જીવવું પડે! તો જ વર્તુળ પૂરું થાય. આપણે સૌ ઇચ્છીએ છીએ કે કળીનો આ કાળ હવે સમાપ્ત થાય, અને સતયુગની શરૂઆત થાય! પણ પ્રયત્ન તો આપણે જ કરવો પડશે, તો જ આ પ્રક્રિયા આગળ ચાલશે, અને ક્યારેક અંજામ પર પહોંચશે. આપણે સૌ એવો પ્રયત્ન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


