
કોંગ્રેસના ૬૦ વર્ષ સામે શ્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં અનેક વિકાસકામો થયા હોવાનું અને લાભાર્થી સહાય સીધી બેંક ખાતામાં જવાથી કોંગ્રેસના સમયની વચેટિયા પ્રથા બંધ થઈ હોવાનું જણાવતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને યાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દીનદયાળજીની ‘અંત્યોદય’ ની વિચારધારાને સર્વોત્તમ રીતે મૂર્તિમંત કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરતા તેઓએ જણાવ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે સ્વામી વિવેકાનંદજી જયારે જનસેવા અને પ્રભુસેવાના લોકમાર્ગે નિકળ્યા ત્યારે મહાકાળી માતાજીના આશિર્વાદ લઈને તેઓએ પ્રારંભ કર્યો હતો. તેમના વિચારો આજે પણ યુવાનો માટે દીવાદાંડી સમાન છે.
કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે દેશમાં પહેલા એવા વડાપ્રધાન આવ્યા છે કે જેમણે ભારતના પવિત્ર અને ધાર્મિક સ્થળોના જીર્ણોદ્ધાર તથા આધુનિક સુવિધાઓ સાથેના કોરિડોરોના વિકાસ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્ય હાથ ધર્યું છે. લાલ કિલ્લા પરથી જ્યારે શ્રી મોદીજીએ શૌચાલયની વાત કરી ત્યારે દિલ્હીમાં બેસતા વિદેશી વિચારધારા વાળા વિપક્ષના નેતાઓ હસતા હતા, પણ આજે દેશમાં ૧૧ કરોડથી વધુ પરિવારોને શૌચાલય આપી મહિલાઓને સન્માન આપવાનું કામ મોદીજીએ કર્યું છે. ગુજરાતમાં વાળુ સમયે સાંજે વિજળી ન હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ૨૪ કલાક વીજળીની વાત જ્યારે શ્રી મોદીજીએ કરી ત્યારે કોંગ્રેસના મિત્રો તેને અશક્ય ગણતા હતા, પણ ‘જ્યોતિગ્રામ યોજના’ થકી આજે ગુજરાત ઝળહળી રહ્યું છે.
તેમણે કહ્યું કે, મારી ઓળખ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને કમળ છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે મળતું સન્માન હકીકતમાં કાર્યકર્તાઓનું સન્માન છે. ભાજપનુ કમળ ખિલવવા માટે રાત દિવસ કાર્યકર્તાએ અથાગ પરિશ્રમ કર્યો છે. બુથ કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી “મેરા બુથ સબસે મજબૂત” ના સૂત્રોચ્ચાર સાથે તેમણે પ્રત્યેક બુથ ને મજબૂત બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. બુથ મજબૂત તો વિધાનસભા અને તેના થકી રાષ્ટ્ર મજબૂત. તેઓએ કહ્યું કે, ચોમાસા સમયે જેમ દેડકા બહાર આવે તેવી રીતે આખા દેશના કોઈપણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે વિપક્ષીઓ બહાર આવે છે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ભારત સુરક્ષીત હાથોમાં છે, ગુજરાત સુરક્ષીત હાથોમાં છે, ભાજપ પાસે શ્રી નરેન્દ્રભાઇ મોદીનું મજબૂત નેતૃત્વ છે. કોંગ્રેસના ૬૦ વર્ષ સામે શ્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં અનેક વિકાસકામો થયા છે. ભાજપના શાસનમાં ગુજરાત ગ્રામીણ વિસ્તારમાં રોડ, પાણી, કનેક્ટિવિટીની બાબતમાં અગ્રેસર બન્યું છે. કોંગ્રેસની સરકારે વર્ષો સુધી સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લાગવાની પરવાનગી ન આપી, શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પ્રધાનમંત્રી બનતા ૧૭ માં જ દિવસે પરવાનગી આપી દીધી. નર્મદા યોજનાના કેનાલ અને પાઇપલાઇનના ૭૫ હજાર કિમીના આ નેટવર્કનો લાભ ગુજરાતના કરોડો નાગરિકોને મળી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, દુનિયામાં સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ ભારતમાં છે અને યુપીઆઈથી અન્ય માધ્યમોથી સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જળ જીવન મિશન, આવાસ, આનાજ, વિધવા સહાય, નમો લક્ષ્મી નિધિ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ સહિતના અનેક પ્રકલ્પો આજે કાર્યરત છે. રાજીવ ગાંધીના “એક રૂપિયો મોકલીએ તો 15 પૈસા મળે છે”ના ઉલ્લેખ સાથે તેઓએ જણાવ્યું કે, તે સમયની વચેટિયા પ્રથા બંધ કરવાનું કામ શ્રી મોદીજીએ કર્યું છે. ભાજપા સરકારની કામગીરી લઈને કાર્યકર્તાઓને ગર્વ સાથે પ્રજા વચ્ચે જવા તેઓએ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, અગ્રેસર ગુજરાત એટલે ભાજપ પરનો જન જનનો વિશ્વાસ, ભાજપ પ્રત્યેની સમર્પિતતા, વિકાસ અને વિશ્વાસનો વિજય. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની સાડા છ કરોડની જનતાનો અકલ્પનિય પ્રેમ ભાજપાને મળ્યો છે.
ભાજપા આગેવાનો અને કાર્યકરોએ નોટબુક અને પુસ્તકથી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત-અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સહિત સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યકર્તા સંમેલન પૂર્વે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પંચમહાલ જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજી હતી.
પ્રશાંત વાળા
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
ભાજપા ગુજરાત


