
દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ‘ક્લિનચીટ’ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી અને એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં.કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. 5 મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવાયા. અમારા ડેપ્યુટી CMને બે વર્ષ સુધી જેલમાં રાખ્યા.’


