
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, પણ સમગ્ર વિશ્વમાં અત્યારે અશાંતિ છે, અશાંતિ એટલે અજ્ઞાન, અને અજ્ઞાન એટલે અંધકાર! તો આટલાં અંધકારમાં ચૈત્રનો આધ્યાત્મિક પ્રકાશ કંઈ રીતે કોઈને આકર્ષી શકે! અને ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા અત્યારે યુદ્ધના મૂડમાં છે! સૌને પેટ્રોલ, ડીઝલ, અને રાંધણગેસ મળશે કે નહીં એનો અજંપો છે. યુદ્ધ ગમે તેટલાં શુભ આશયથી થાય એમાં હિંસા થયાં વગર રહેતી નથી! અને છેલ્લાં કેટલાક વર્ષોનું અવલોકન કરીએ તો, માનવીને જાણે આવાં અજંપા અને ઉદ્વેગની આદત પડી ગઈ હોય, એમ જાગૃત થવાની બદલે જડ થતો જાય છે. મા જગત જનની જગદંબાનાં ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આ હિન્દુ સનાતન ધર્મનાં નવાં વર્ષમાં વિશ્વમાં શાંતિ સ્થપાય એવી પ્રાર્થના સાથે પ્રારંભ કરીએ. તેમજ શાંતિ માટે પહેલાં સ્વયંમાં પડેલી શક્તિ તરફ સ્વયંનું ધ્યાન કેન્દ્રિત કરી, એ શક્તિ જીવનમાં પ્રસ્થાપિત કરી, મંગલ તરફ પ્રયાણ કરીએ, કે જે મંગલ આપણને હર્ષ શોકથી મુક્ત કરી નવી સકારાત્મક ઉર્જા આપે, અને આપણે શાંત થઈએ. વર્ષની ચાર નવરાત્રિ અને એમાં આસો અને ચૈત્રી બે મુખ્ય! ચૈત્રી નવરાત્રીમાં વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ હાંસલ કરવાં મા જગદંબાના અનુષ્ઠાનો થાય છે. સાધકો શક્તિ અને સિદ્ધિ આ બંનેનો સંયોગ રચીને વિશેષ કર્મો કરવાં માટે કુંડલિની જાગરણની સાધનાઓ કરતાં હોય છે, પણ કુંડલિની જાગૃત થયાં પછી એ સિદ્ધીનો દૂર ઉપયોગ કરનારા પણ ઘણાં હોય. શિવ અને શક્તિ બંને અભિન્ન છે, અને આપણે તેમનાં સંતાનો છીએ, અને અંતે એ પરમ તત્વમાં જ આપણે એકાકાર થવાનું છે, એ સત્ય અન્ય સંસ્કૃતિ કરતાં આપણે વધું જાણીએ છીએ, છતાં એ સહજ થતું નથી! કારણ કે કાળચક્રનું પૈડું સતત ફરતું રહે છે, અને કળિયુગની અપરંપાર લીલાઓ આપણી આસપાસ એટલી હદે વિસ્તરી ચુકી છે કે, આપણે એ સત તત્વને મહેસુસ કરવાં માટે સતત ચિંતન કરવું પડે છે. ચિંતનની આ ધારા ઘણાં ઘાટે વહી ચૂકી છે, પણ બાંહ્ય પ્રકૃતિમાં પરમ તત્વ એટલું ઝડપથી અનુભવી શકાતું નથી! અથવા તો આપણાં ઈષ્ટનાં દર્શનથી પુલકિત થવાતું નથી. એનું મુખ્ય કારણ આપણી ભીતરી મલિનતા અને ધર્મ સંસ્થામાં પ્રવેશી ગયેલો ભ્રષ્ટાચાર છે. આપણી અંદર પણ એ પરમ શક્તિ છે, અને એ આદ્યશક્તિને અનુભવવા માટે ચિંતનની ધારા આ વખતે સદગુરુ કૃપાથી કુંડલિની જાગરણની શાસ્ત્રીય પંરપરાગત વાતને આપણે વ્યવહાર જીવનમાં કંઈ રીતે વણીને જાગૃતિ પૂર્વક જીવી શકીએ! એ તટ પર વહેવાં જઈ રહી છે. આ દેહમાં રહેલી શક્તિને કુંડલિની જાગરણ પ્રદેશનો બિલકુલ અનુભવ નથી, એટલે જો કોઈ ત્રુટિ હોય તો ક્ષમા કરશો, અને નાની બહેન સમજી આશીર્વાદ આપજો. પરંતુ આ વિષય પર લખવાનું કારણ એટલું જ છે કે દરેક વ્યક્તિ, એ કક્ષાએ પહોંચી શકતી નથી, અને ભોગી વિષયી કે સંસારી જીવનું જાગરણ અમુક કક્ષા સુધી થાય તો પણ મનુષ્ય જન્મ સફળ બની જાય ! બસ આ જ અહેતુ હેતુ છે. તો ચાલો નવ દુર્ગાનાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીને હ્રદયથી નમન કરી થોડે અંશે જાગવાની શરુઆત કરીએ.
કુંડલી શબ્દ ખાસ કરીને સાપ કુંડલી મારીને બેઠો છે! એની માટે વપરાય છે, એટલે કે શક્તિને સંકોરી લીધી છે એવો અર્થ થાય. કુંડલિની જાગરણ શબ્દ તંત્ર વિદ્યાનો છે, અને યોગ સિદ્ધિની અંતિમ પરાકાષ્ઠા દર્શાવે છે. એટલે કે શક્તિ તો દરેકમાં છે, અને દરેક એ શક્તિને જગાડી શકે છે, પણ આપણે જાગૃતિ નથી. દરેક જીવમાં આમ તો ઘણાં ચક્ર હોય છે, પણ સાત ચક્રો શક્તિ માટેનાં આવેલાં છે, અને પ્રથમ ચક્ર આગળ આ શક્તિ લીંગ ફરતે કુંડલી મારીને સુષુપ્ત અવસ્થામાં પડી હોય છે, એને જાગૃત કરીને ઉપર ઉઠાવવાની હોય છે. એક એક ચક્રમાંથી આ શક્તિ પસાર થઈને સૌથી ઉપરનાં ચક્ર પર પ્રસ્થાપિત કરીને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે પ્રાણને ઉપર ઉઠાવીને છેક ઉપરનાં ચક્ર પર લઈ જઈને અસ્તિત્વનાં કે ઈશ્વરનાં દેવીય તત્વ સાથે એકાકાર કરી પરમ જ્યોતમાં ભેળવી તેમાં તલ્લીન થઈ જવાનું છે. યોગ એટલે જોડાવું! એટલે કે આપણી અંદર જે આત્મતત્વ છે, એને પરમાત્મા સાથે જોડવાની ક્રિયાને યોગ કહેવાય છે. ભગવાન પતંજલિનાં યોગનાં સાત અંગો વિશે ઘણીવાર વાત ચૂક્યા છીએ, અને સમાધિ અવસ્થાએ પહોચે પછી જીવ પરમ તત્વ સાથે એકાકાર થાય છે, અને એને સમાધિ લાગી એમ કહેવાય છે. પૂજ્ય બાપુએ બગસરાની કથામાં સંસારીઓ માટે સમાધાન એ જ સમાધિ છે, એમ સ્પષ્ટ કહ્યું.
આજે આપણે સાત ચક્ર વિશેની પ્રાથમિક જાણકારી, અને શાસ્ત્રીય વાત મુજબ જે સાત શરીરની વાત કરવામાં આવી છે, એને વિશે ઉપલબ્ધ જોઈશું.પછી રોજ એક એક ચક્ર વિશે વાત કરીશું, જેથી સાચું જાગરણ થાય તો રામ નવમી એ રામ તત્વને અંતરમાં જન્માવી શકીએ!
આ સાત ચક્રોનાં નામ આ પ્રમાણે છે (૧) મૂલાધાર ચક્ર. (૨) સ્વાધિષ્ઠાન ચક્ર. (૩). મણિપુર ચક્ર. (૪)અનાહત ચક્ર (૫) વિશુદ્ધિ ચક્ર. (૬) આજ્ઞાચક્ર, (૭) સહસ્રાર ચક્ર. ક્યાંક ષડ્ ચક્રો તો ક્યાંક અષ્ટ ચક્રોનો પણ ઉલ્લેખ છે.
યોગશાસ્ત્ર એમ માને છે કે આ સ્થૂળ શરીર ઉપર બીજા છ શરીરનું આવરણ છે. પ્રાણશરીર, સુક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણશરીર, વિરાટ શરીર અને ચૈતન્ય શરીર. કુંડલિની શક્તિ ચોથા કારણ શરીરમાં આવેલ છે.
ઉપર કહ્યું તેમ કુંડલિની જાગરણ આપણી અનુભૂતિનો વિષય નથી, પણ કોઈક સિદ્ધ મુની કહે છે કે મનુષ્ય શરીરમાં સાડા ત્રણ કરોડ નાડીઓ આવેલી છે, તો કોઈ કહે છે કે 72000 નાડીઓ છે, અને એમાંથી 12 મુખ્ય છે, એમાં પણ ત્રણ મુખ્ય એટલે ઈડા, પિંગળા અને સુષુમણા, જેનાં દ્વારા યોગશક્તિને જાગૃત કરી, ઉપર ઉઠાવવામા આવે છે. જે કોઈ ત્યાં સુધી પહોંચી શક્યાં હોય એ સમસ્ત સિદ્ધજનને મારા પ્રણામ, પરંતુ સદગુરુ કૃપાથી એવું સમજાય છે, કે અઘરામાં ન જવું, અને આમ પણ આ બધું વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે છે. આપણે તો એકમેકના મન સુધી પહોંચી શકાય કે સામેવાળાનાં હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ, તો પણ ઘણું છે! પણ હું અને તમે આપણે ન કરી શકીએ, એનો મતલબ એ નથી કે આ બધું ખોટું છે. આ ખરેખર સાચું છે, અને ભારતીય અધ્યાત્મમાં સિદ્ધ થયેલી વાતો છે. કેટલાયે ઋષિઓ મુનિઓ સિદ્ધ પુરુષ કે માતાઓ આ રીતે કુંડલીની જાગૃત કરી ચૂક્યાં છે. કેટલાય બુદ્ધ પુરુષો ત્યાં સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરેલાં છે, અને આવી અસંખ્ય ચેતનાઓ આજે પણ હિમાલયમાં વિચરે છે. જે ઈચ્છા મૃત્યુ અને ઈચ્છા જન્મની સિદ્ધિ સુધી પહોંચેલા છે, અને સમય આવે ત્યારે આપણી સંસ્કૃતિને ટેકો દેવા જન્મે છે, અને એટલે જ કળીયુગનો આટલો બધો પ્રભાવ હોવા છતાં, સમયાંતરે કોઈને કોઈ બુદ્ધ પુરુષ આ ધરા પર જન્મીને માનવતાને મરી જતી બચાવે છે. આ ઉપરાંત આપણી આસપાસમાં પણ સામાન્ય પહેરવેશ અને સામાન્ય રીતે જીવતાં કેટલાંય મહાપુરુષો હશે, જેમણે કોઈને કોઈ રીતે પોતાનામાં આ શક્તિને જાગૃત કરી છે. પછી તે યોગ, ભક્તિ કે સંયોગથી હોય. તો તૈયાર થઈ જાઓ આવતીકાલથી આપણે આ સાતેય ચક્રોની શાસ્ત્રીય વાતો કરી, આમ માનવી એને કઈ રીતે મુલવી શકે છે, એ વિશે ચિંતન કરીશું. મંત્ર એટલે શુભ વિચાર એ રીતે આ અનુષ્ઠાનમાં વૈશ્વિક શાંતિને કેન્દ્ર સ્થાને રાખી, થોડું ધ્યાન કરીએ અને બાકીનાં કલાકોમાં થોડું ધ્યાન રાખીએ કે, વિશ્વમાં કંઈ રીતે શાંતિની સ્થાપના થાય? મનુષ્ય ફરી માનવી બની પોતાનો જન્મ સફળ બનાવે, અને આપણી આંતર બાંહ્ય ધરા પાપમુક્ત થાય! જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


