
31 માર્ચ સુધી રાજ્યભરમાં યોજાશે દેશભક્તિના કાર્યક્રમો
દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ‘વંદે માતરમ@150 વર્ષ’ના બીજા તબક્કાની ઉજવણી તારીખ 23 માર્ચથી 31 માર્ચ, 2026 દરમિયાન રાજ્યવ્યાપી મહાઅભિયાન તરીકે યોજવામાં આવશે. દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે. આ અંતર્ગત જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામીણ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાશે. સમગ્ર રાજ્યમાં ‘વંદે માતરમ’ના સમૂહ ગીતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની વિશાળ જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.
દેશભક્તિનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચે તે માટે વિવિધ સ્થળોએ રેલી, પદયાત્રા અને જાહેર સભાઓનું પણ આયોજન કરવામાં આવશે. શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ અને દેશભક્તિને કેન્દ્રમાં રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગીતના ઐતિહાસિક મહત્વ અને દેશપ્રેમની ભાવના વધુ ઊંડી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજ્ય સરકારે આ તમામ કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને ઉત્સાહપૂર્વક જોડાવા માટે અનુરોધ કર્યો છે. યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અભિયાન દ્વારા રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે. નાગરિકોએ પોતાના વિસ્તારમાં યોજાનારા કાર્યક્રમોમાં સક્રિય સહભાગિતા નોંધાવીને આ રાષ્ટ્રીય ઉજવણીને સફળ બનાવવા માટે આવકારવામાં આવ્યા છે.
