
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે પંજાબ કિંગ્સ (PBKS)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને 3 વિકેટથી હરાવી દીધુ હતું. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સને જીત માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે પાંચ બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો. પંજાબ કિંગ્સની જીતનો હીરો ઓસ્ટ્રેલિયાનો કૂપર કોનોલી રહ્યો, જેણે 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 44 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. બેટિંગ ઓલરાઉન્ડરનું આ IPL ડેબ્યૂ હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ ધૂમ મચાવી દીધી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે, પંજાબ કિંગ્સની ગુજરાત ટાઈટન્સ પર જીત છતાં કેપ્ટન શ્રેયસ અય્યરને સ્લો ઓવર રેટના કારણે મોટી કિંમત ચૂકવવી પડી છે. મેચ દરમિયાન પંજાબ કિંગ્સ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂર્ણ ન કરી. IPLની આચારસંહિતાની કલમ 2.22 હેઠળ આ સીઝનમાં ટીમની આ પ્રથમ ભૂલ હતી. આના કારણે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો પંજાબ કિંગ્સ દ્વારા આ સીઝનમાં બીજો સ્લો ઓવર-રેટ ગુનો થાય, તો શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ કરવામાં આવશે. આ સાથે જ ટીમના સભ્યો પર 6 લાખ રૂપિયા અથવા અથવા તેમની મેચ ફીના 25 ટકા (જે પણ ઓછું હોય) દંડ ફટકારવામાં આવશે. બીજી તરફ જો ટીમ દ્વારા ત્રીજો સ્લો ઓવર-રેટ ગુનો થાય, તો મામલો વધુ ગંભીર બની જશે. આવા કિસ્સામાં કેપ્ટન શ્રેયસ અય્યર પર એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવશે.
શ્રેયસ અય્યર માટે સ્લો ઓવર રેટનો મામલો નવો નથી, તે આ ભૂલ માટે અગાઉ પણ સજા ભોગવી ચૂક્યો છે. ગત સીઝનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શ્રેયસ અય્યર સામે બે વાર કાર્યવાહી કરી હતી. પહેલી વાર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ પણ તેમાં સુધારો ન થયો અને બીજી વાર એ જ ભૂલનું પુનરાવર્તન કરવા બદલ તેના પર 24 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.હવે IPL 2026માં શ્રેયસ અય્યર પર ફરી એક વાર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ સમસ્યા સતત તેના સાથે જોડાઈ રહી છે.
