
માનસ રત્નાવલીનાં ચોથા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે નારી એક રત્ન અને એ રીતે તો રત્નાવલી રત્ન છે જ. એક પ્રશ્ન છે નામ નિરુપણમાં નિરુપણનો અર્થ શું થાય ? માનસમાં બ્રહ્મ નિરુપણ, અને ભક્તિ નિરુપણ શબ્દ પણ છે ! પરંતુ પૂછવામાં આવ્યું છે નામ નિરુપણ! તો નિરુપણ નાં ચાર સ્તંભ છે. આપણે જેનું નિરૂપણ કરવા માંગતા હોઈએ એનું સ્વરૂપ જાણવું પડે, બીજું એનો મહિમા જાણવો પડે, ત્રીજું એનું રહસ્ય જાણવું પડે, અને ચોથું એનો પ્રભાવ જાણવો પડે, આ ચાર સ્તંભ છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે? એનો મહિમા શું છે? એનું રહસ્ય શું છે? અને એનો પ્રભાવ શું છે? એ વાતમાં આપણે ન જોઈએ, અહીં નામની વાત છે તો નામનું સ્વરૂપ શું છે? આપ રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો શિવ શિવ બોલો, અને એટલે જ નામ દીક્ષા અથવા નામદાન એવો શબ્દ પ્રયોગ થાય છે. સ્વરૂપનો બોધ ગુરુ વિના શકય નથી. રામ નામનું સ્વરૂપ કોઈ બુદ્ધ પુરુષ પાસેથી જાણવું પડે, બાકી ભ્રામક વસ્તુઓ આપણને ભ્રમિત કરી દે, અને નામ મણિને બદલે આપણે કાચ લઈ લઈએ. જેમ કે બન્દે બોધમયં નિત્યં ગુરું શંકરરુપિણમ્. બીજો એક પ્રશ્ન છે કે! ઉપદેશ કોની પાસેથી લઈએ? અંગત વાત વ્યક્તિગત હોય એનો ઉપદેશ પોતાના ગુરુ પાસેથી લેવો, પણ સાર્વભૌમ ઉપદેશ મહાદેવ પાસેથી લેવો. મહાદેવ ચોવીસ કલાક રામ રામ જપે છે, રામ બીજ મંત્ર છે અને પ્રણવ મંત્ર કે ઓમકારનું બીજ તત્વ રામ છે. જય સીયારામ પણ નામ મંત્ર છે, અને એટલાં માટે તલગાજરડા ના સાધુનો મંત્ર જય સીયારામ છે, પણ આ નારાને સાંપ્રદાયિક નામ આપી દીધું.
નામ નાં નિરૂપણ માટે જેણે નામ કે રામના સ્વરૂપ ને જાણ્યું છે, એને પાસેથી લેવો. શિવ સમાન કોણ સાર્વભૌમ છે? ત્રિભુવન ગુરૂ છે. ભગવાન શિવ વિશ્વનાથ છે, અને રામ વિશ્વાસ છે! એટલે તત્વતઃ બંને એક જ છે! મૂળમાં મારા દાદા કહેતા કે સતત જપ કરનાર માટે નામનું સ્વરૂપ પ્રગટ થાય છે! જેને આલેખી શકાતું નથી! એને મહેસૂસ કરી શકો.બીજુ નામ નો મહિમા! તુલસીદાસજી એ રામનામ વંદનામાં નવ દોહામાં રામનામનો મહિમા ગાયો છે, અને બધાં જ શાસ્ત્રકારોએ નામનો મહિમા ગાયો છે. ત્રીજું છે નામ નિરૂપણનું રહસ્ય માનસમાં તુલસીદાસજી એક શબ્દ પ્રયોગ કર્યો છે, રામ રહસ્ય! રામનાં ઘણા રહસ્યો છે, એમના નામના તો એનાથી પણ વધારે રહસ્ય છે. જે એ રહસ્ય નથી જાણતાં, એ લોકો આલોચના કરે છે. નામનું અંગત રહસ્ય એને સાંભળવાથી અથવા તો વાંચવાથી નહીં થાય,પણ નામ મહિમા થોડો સમજાઈ જાય. પરંતુ રહસ્ય પામવા માટે તો ગુરુની જરૂર પડે. ચોથુ નામ પ્રભાવ, નામ પ્રભાવ જાન શિવ નિકો. જ્યાં કથા હોય ત્યાં આટલા લોકો કથા સાંભળવા આવે આ શું મોરારીબાપુ નો પ્રભાવ છે? કથા ના પંડાલનો પ્રભાવ છે? ના આ નામનો પ્રભાવ છે! ગઈકાલે 70 હજાર લોકોએ પ્રસાદ લીધો. કોનો પ્રતાપ છે આ કોનો મહિમા છે, બધા જ એ નામનાં પ્રભાવમાં આનંદ કરી રહ્યા છે,આ કેવળ રામ નામનો પ્રભાવ!
બરેલીની કથામાં મને પૂછવામાં આવ્યું કે હનુમાનજીના હાથમાંથી ગદા લઈ લીધી, અને વીણા પકડાવી દીધી, પણ એ ગદા ગઈ ક્યાં? મેં કહ્યું એ ગદા આપણી ચારે બાજુ ઘૂમી રહી છે, રક્ષા કરી રહી છે, આપણા તનની, મનની, બુદ્ધિની, બધાની રક્ષા હનુમાનજીની ગદા કરી રહી છે! જ્યાં પણ કથા થાય છે ત્યાં હનુમાનજી હોય છે, પ્રાણ વાયુના રૂપમાં, પવનના રૂપમાં, હનુમાન આવતા ન્હોય તો હું કથાનાં પ્રારંભે એને બોલાવુ શા માટે? આઈએ હનુમંત બિરાજીએ અને કથા વિસર્જન થાય, ત્યારે એને જવાનું કહું છું, એ કોઈ ચમત્કાર નથી. આપણે બધાં જ શ્વાસ લઈ રહ્યાં છીએ, એ હનુમાન છે. વિશ્વ વ્યાપક તત્વ આપણી સુરક્ષામાં છે, પરંતુ સાવધાન તો રહેવું જોઈએ! એટલે અહીં મૃત્યુની વાત નથી, પરમાત્મા સમયસર મૃત્યુ દરેકને આપે જ છે, પણ ભયભીત થવાનું નથી.
નામ રત્ન છે, તો એનું પણ સ્વરૂપ હોય એનો મહિમા અને એનું રહસ્ય શું? એ પણ જાણીએ ,અને એનો પ્રભાવ શું? નામ નિરૂપન નામ જતન તે, જતન નો અર્થ થાય છે શ્રદ્ધાપૂર્વક જાપ કરવા.
સંપુટ ભરત સનેહ રતન કે,
આખર જગ જનુ જીવ જતન કે.
ભક્તિ નિરૂપણમાં ભરતના પ્રેમને જતનથી રાખનારા બે અક્ષર છે રા અને મ રતનનું જતન થવું જોઈએ રત્નાવલી નું જતન થવું જોઈએ, રત્નાવલી એક બહુમૂલ્ય રત્ન છે. વિષયી લોકોને સ્ત્રી કેવી દેખાય? એને સ્ત્રીમાં સૌથી પહેલા એની કાયા જ દેખાય, એનું શીલ એનો સ્વભાવ એ કંઈ દેખાતું નથી. પરંતુ એ જ વિષયી લોકો જ્યારે સાધક બને ત્યારે, એને કાયા એટલે કે રૂપ ઓછું દેખાય, અને સાધકની ભૂમિકામાં જતાં જતાં સ્વરૂપનો ખ્યાલ આવવાં લાગે કે, આ તો માયા છે, પરંતુ જે સિદ્ધ થઈ જાય એને એ પરમાત્માની છાંયા લાગે, કે આ સ્ત્રી પરમાત્માનું પ્રતિબિંબ છે, પરમાત્માની ઝલક છે, અને એટલે જ એ નારી, તુલસીને તુલસી બનાવવાનું અદભુત કાર્ય કરી ગઈ.
એક અન્ય પ્રશ્ન છે બાપુ પુરુષ કેટલી કલાથી પૂર્ણ હોય છે, અને સ્ત્રી કેટલી કલાથી પૂર્ણ હોય! બ્રહ્મ સિવાય કોણ પૂર્ણ ? પૂર્ણમદઃ પૂર્ણમિદં,.. આપણે બધા જ અધુરા છીએ અને બ્રહ્મ પણ જ્યારે 16 કળા અર્જીત કરે, ત્યારે જ એ મનુષ્ય બન્યાં. ભગવાન કૃષ્ણને સોળ કળાના અવતાર માન્યા છે, રામ પણ 16 કળાના અવતાર છે, જોકે અન્ય લોકો રામને બાર કળાના અવતાર કહે છે, એ એમના વિચાર છે.
પુરુષ એ પૂર્ણ થવું હોય તો એનામાં 16 કળા હોવી જોઈએ પરંતુ સ્ત્રીને પૂર્ણ થવામાં 16 કલાની જરૂર નથી, એનામાં 15 કળા પર્યાપ્ત છે. વિશ્વની કોઈપણ નારી રત્ન છે, અને જતનથી રત્નાવલી થઈ જાય છે, તો માતૃ શરીર 15 કળાથી પૂર્ણ થઈ જાય, રત્નાવલીમાં 15 કળા છે. સાત કલા ભગવત ગીતાની, અને આઠ કલા રામચરિત માનસની, આ રીતે તલગાજરડી આખો રત્નાવલીનું દર્શન કરી રહી છે, આવું ચરિત્ર પ્રાપ્ત થાય એ પ્રત્યેક વ્યક્તિ નારી રત્ન છે. ભગવત ગીતાની સાત કલા, જે ભગવાન કૃષ્ણએ માતૃ શરીરમાં ગણાવી છે.
કીર્તિ શ્રીવાક્ય નારીણાં,
સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા.
રામચરિત માનસની આઠ કલા
સાહસ અનૃત ચપલતા માયા,
ભય અબિબેક અસૌચ અદાયા,
રાવણ મંદોદરીને નારીના અવગુણ તરીકે આ આઠ ગણાવે છે, પરંતુ એ પણ એની કલા જ છે. આમ આ પંદર કલાથી નારી પૂર્ણ છે. રત્નાવલીની કીર્તિ ગાવા અને સાંભળવા માટે આપણે એકઠા થયા છીએ કેટલા દેશ લાઇવ કથા સાંભળી રહ્યા છે અને અને એની કીર્તિ કેવી હશે કે આટલા વર્ષો બાદ પણ આપણે આનંદ લઈ રહ્યા છીએ. શ્રી કોઈપણ સ્ત્રી શ્રી છે. શ્રી એટલે લક્ષ્મી એ રીતે જોઈએ તો ગરીબની સ્ત્રી પણ સ્ત્રી છે કારણ કે પોતાના બાળક કે પરિવાર માટે એ લક્ષ્મીસ્વરૂપ બની એનું જતન કરતી હોય છે. શંકર વિવાહ માટે હિમાચલ પ્રદેશ જાન લઈને પહોંચે છે, અને શંકર પાર્વતી નો વિવાહ થાય છે, અને પછી રામ જન્મ સુધીની કથા ગાઈ ! ચોથા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
