સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હાલનાં સમયમાં સુખ સુવિધાનાં સાધનોની રોજ શોધ થાય છે, અને તેથી એક વસ્તુ ઘરમાં આવે તો તરત જ બીજાની ઈચ્છા થાય ! અને એટલે જ વાસ્તવિકતા ગમે તે હોય પણ માનવીની કલ્પનામાં પણ સુખ અને ભોગ જ હોય છે. પરંતુ સાચું ધન સંતોષ છે! એ જ્યાં સુધી સમજાય નહીં, ત્યાં સુધી આ દોડાદોડી યથાવત રહેશે! માટે જ સમય છે ત્યાં ઈશ્વર વિશે જરાં ખોજ કરી લઈએ! મૃત્યુ પછી સ્વર્ગ મળશે જ, એટલે કે શ્રીધામ જ્યાં નિરંતર ઈશ્વરનો વાસ છે, અને પછી તો એની સાથે જ રહેવાનું છે, એવું વિચાર્યા વગર આ સમયને જ સ્વર્ગ એટલે કે શ્રેષ્ઠ બનાવીએ, અને હરિને ત્યાં જ રહેવું પડે એવું જીવીએ! સામાન્ય જીવનમાં પણ ઘણાં પ્રશ્નો હોય છે, પરંતુ આધ્યાત્મિક જીવન એટલે જે પરમ તત્વ અધ્યાર છે એની વિશે જોવું, જાણવું, અને માણવું સાધનાની એ સફરને આધ્યાત્મિક સફર કહેવાય છે, અને અહીં જીજ્ઞાસા એટલે એવાં પ્રશ્નોની ઝડી કે જે તત્વતઃ બ્રહ્મનાં સ્વરૂપ અને કાર્ય વિશેની સહજ સમજ, જે માત્રને માત્ર એક ગુરુ પોતાના શિષ્યને આપી શકે છે, અને શિષ્ય પરમ તત્વ વિશેની સરળ સહજ સમજથી સત્ય રુપી બ્રહ્મની નિષ્ઠામાં જીવન વ્યતીત કરવાનો સંકલ્પ કરે છે. તો આજે શુક્રવાર અને એટલે ત્રીજા ઉપનિષદીય સૂત્રોને સદગુરુ કૃપાથી સરળ બનાવવાં ચિંતન કરીશું.
ત્રીજા ઉપનિષદનો ત્રીજો પ્રશ્ન ઋષિ કૌશલ્ય આશ્વલાયન દ્વારા ગુરુ પિપ્પલાદ ઋષિને પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો મુખ્ય વિષય પ્રાણનું સ્વરૂપ, તેનો ઉદ્ભવ, શરીરમાં પ્રવેશ, પાંચ વિભાગો અને તેની કાર્યપદ્ધતિ છે.
**અથ હૈનં કૌશલ્યશ્ચાશ્વલાયનઃ પપ્રચ્છ।
ભગવન્! કુત એષઃ પ્રાણો જાયતે? કથમાયાત્યસ્મિન્શરીરે?
આત્માનં વા પ્રવિભજ્ય કથં પ્રતિષ્ઠતે?
કેન ઉત્ક્રામતિ? કથં બાહ્યમભિધત્તે? કથમધ્યાત્મમિતિ?
“હે ભગવન! આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તે શરીરમાં કેવી રીતે આવે છે? પોતાને વિવિધ ભાગોમાં વહેંચીને શરીરમાં કેવી રીતે સ્થિર રહે છે? શરીરમાંથી કેવી રીતે નીકળે છે? બહારના જગતનું સંચાલન કેવી રીતે કરે છે અને શરીરની અંદર કેવી રીતે કાર્ય કરે છે? પ્રાણ એટલે માત્ર શ્વાસ વિશે નથી. તે જીવનશક્તિનું મૂળ શું છે, જીવ અને આત્માનો સંબંધ શું છે, અને સમગ્ર જીવનને ચલાવતી દિવ્ય શક્તિ કેવી રીતે કાર્ય કરે છે.
**આત્મન એષઃ પ્રાણો જાયતે।
યથૈષા પુરુષે છાયા એતસ્મિન્નેતદાતતં। મનોકૃતેનાયાત્યસ્મિન્શરીરે॥
પ્રાણ આત્મામાંથી ઉત્પન્ન થાય છે. જેમ મનુષ્યની છાયા મનુષ્ય સાથે રહે છે, તેમ પ્રાણ આત્મા સાથે જોડાયેલો છે. મનના સંસ્કારો અનુસાર તે શરીરમાં પ્રવેશ કરે છે.
પ્રાણનું મૂળ આત્મા છે; તે સ્વતંત્ર નથી. મનની વૃત્તિઓ અને કર્મોના આધારે જીવને યોગ્ય શરીર મળે છે. તેથી મનને શુદ્ધ કરવું આધ્યાત્મિક માર્ગમાં અત્યંત મહત્વનું છે.
**યથા સમ્રાડેવાધિકૃતાન્ વિનિયુંક્તે,
એતાન્ ગ્રામાનેતાન્ ગ્રામાનધિતિષ્ઠસ્વ ઇતિ; એવમેવૈષ પ્રાણ ઇતરાન્,
પ્રાણાન્ પૃથક્ પૃથગેવ સન્નિધત્તે।
જેમ રાજા પોતાનાં અધિકારીઓને જુદા જુદા પ્રદેશોમાં કાર્ય સોંપે છે, તેમ મુખ્ય પ્રાણ બીજા પ્રાણોને જુદા જુદા કાર્યો માટે નિયુક્ત કરે છે.
આપણા શરીરમાં એક જ જીવનશક્તિ વિવિધ રૂપે કાર્ય કરે છે. બધાં કાર્યો પાછળ એક જ ચેતન શક્તિ કાર્યરત છે.
*”પાયૂપસ્થયોરપાનઃ।
ચક્ષુઃશ્રોત્રે મુખનાસિકાભ્યાં પ્રાણઃ।
મધ્યે તુ સમાનઃ।
અપાન નીચેનાં ભાગોમાં કાર્ય કરે છે, પ્રાણ આંખ, કાન, નાક અને મુખમાં કાર્ય કરે છે અને સમાન નાભિ પ્રદેશમાં પાચનનું કાર્ય કરે છે.
શરીરની દરેક ક્રિયા પાછળ દિવ્ય વ્યવસ્થા કાર્ય કરે છે. યોગમાં પ્રાણનાં આ વિભાગોને સમજીને મન અને ચેતનાને સ્થિર કરવામાં આવે છે.
*”હૃદિ હ્યેષ આત્મા।
અત્રૈતદેકશતં નાડીનામ્।
તસાં શતમેકૈકસ્યા દ્વાસપ્તતિઃ સહસ્રાણિ ભવન્તિ।
આસુ વ્યાનશ્ચરતિ॥
આત્માનું મુખ્ય સ્થાન હૃદય છે. ત્યાંથી 101 મુખ્ય નાડીઓ નીકળે છે, તેમની અનેક શાખાઓમાં વ્યાન પ્રાણ સંચાર કરે છે.
હૃદય માત્ર શારીરિક અંગ નથી; તે ચેતનાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. સમગ્ર શરીરમાં ચેતનાશક્તિનું વિતરણ વ્યાન દ્વારા થાય છે.
**શંકરાચાર્ય કહે છે કે પ્રાણ આત્મા નથી; પ્રાણ આત્માની શક્તિ છે. મંત્રમાં કહેવામાં આવ્યું છે:
“આત્મન એષઃ પ્રાણો જાયતે।” તેનો અર્થ એ નથી કે આત્મામાં કોઈ ફેરફાર થઈને પ્રાણ બને છે. આત્મા તો સદા અપરિવર્તિત છે. પ્રાણ આત્માની ઉપસ્થિતિથી પ્રગટ થતી જીવનશક્તિ છે.જેમ રાત કે દિવસ થાય પણ સૂર્ય પોતે બદલાતો નથી, છતાં તેનાં પ્રકાશથી સમગ્ર જગત પ્રકાશિત થાય છે; તેમ આત્મા બદલાતો નથી, પરંતુ તેની ઉપસ્થિતિથી પ્રાણ અને શરીરની તમામ ક્રિયાઓ શક્ય બને છે.
** સ્વામી ચિન્મયાનંદ પ્રાણને માત્ર શ્વાસ તરીકે સમજવાનું અધૂરું માને છે. તેમના મત પ્રમાણે પ્રાણ એ સમગ્ર જીવનને ગતિ આપતી ચેતનાશક્તિ છે. પાવર હાઉસ એક જ હોય છે, પરંતુ એ જ વીજળીથી બધાં ઉપકરણ કાર્ય કરે છે, શક્તિ એક જ છે. તેવી જ રીતે પાંચ પ્રાણો કાર્યમાં જુદા છે, પરંતુ જીવનશક્તિ એક જ છે.
**સ્વામી રંગનાથાન માનવજીવનને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને દૃષ્ટિએ સમજાવે છે. શરીરમાં અનેક પ્રક્રિયાઓ ચાલે છે, પરંતુ તેમની પાછળ એક સંકલિત જીવનવ્યવસ્થા છે.
એક મોટી કંપનીમાં ઉત્પાદન, હિસાબ, વેચાણ અને વ્યવસ્થાપન જેવા વિભાગો અલગ હોય છે, છતાં બધું એક કેન્દ્રિય નેતૃત્વ હેઠળ ચાલે છે. તેવી જ રીતે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન અલગ કાર્ય કરે છે, પરંતુ એક જ મુખ્ય પ્રાણના આધારે.
**સ્વામી શિવાનંદજી નાં મતે જે વ્યક્તિ પ્રાણને સમજે છે, અને તેને યોગ દ્વારા સંતુલિત કરે છે, તેનું મન પણ સ્થિર થવા લાગે છે. પ્રાણ અને મન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
જ્યારે ગુસ્સો આવે ત્યારે શ્વાસ ઝડપી થઈ જાય છે; જ્યારે મન શાંત હોય ત્યારે શ્વાસ પણ ધીમો અને સમતોલ બને છે. તેથી પ્રાણાયામ દ્વારા મન પર પણ અસર થાય છે.
ટૂંકમાં સાર જોઈએ તો આત્મા મૂળ સત્ય છે.
પ્રાણ આત્માની જીવનપ્રેરક શક્તિ છે.
પાંચ પ્રાણો જીવનના વિવિધ કાર્યોનું સંચાલન કરે છે.મન અને પ્રાણ એકબીજા સાથે સંકળાયેલા છે; એકને શાંત કરવાથી બીજું પણ સ્થિર થાય છે. પ્રાણની સાચી સમજ અંતે આત્મજ્ઞાન તરફ દોરી જાય છે.
સદગુરુ કૃપા હજી પણ સુક્ષ્મ સ્તરે જાય છે! પાંચ પ્રકારનાં પ્રાણની વાત એ ફક્ત માહિતી બની રહેશે પરંતુ જો એ પંચમહાભૂત સાથે સાંકળીએ તો એ સરળતાથી સમજાય છે! જળ જડ છે, પણ માનવીને જીવવા માટે એની જરૂર છે, એટલે એક પ્રાણ એ, એ જ રીતે વાયુ, અગ્નિ આકાશ, પૃથ્વી, તત્વ તરીકે એક એક પ્રાણ તત્વ શરીરમાં પ્રવૃત થઈને જીવન શક્તિ નું નિર્માણ કરે છે! અને આમ આત્મા એટલે પરમ પૃરુષ અને પ્રાકૃતિક તત્વ સ્વરૂપે ની શક્તિ એમ એનું નિરુપણ કરીએ ત્યારે આત્મ શક્તિ કે આત્મ બળ એવંમ પ્રાણશક્તિ રુપે જીવન શક્તિ પ્રાપ્ત થાય છે, અને આપણે શ્વાસ લઈ શકીએ છીએ, અન્ન પચાવી શકીએ છીએ, હલનચલન કરી શકીએ છીએ, આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, નાક સુંધી શકે છે અને હાથ આપ લે કરી શકે છે, પરંતુ પ્રકૃતિ પણ પરમ તત્વ નું સર્જન હોયને પ્રાણનું મૂળ આત્મા છે.આપણે સૌ આ રીતે પંચમહાભૂતના પાંચેય પ્રાણનાં મૂળ સ્વભાવને, એટલે જળ એટલે પારદર્શકતા, પૃથ્વી અચલતા, આકાશ વ્યાપકતા, અગ્નિ તેજ, અને વાયુ નિર્ભાર એવું સમજી અને એ મુજબ જીવીએ તો જીવનશક્તિને વધુ વેગ મળે! જીવનને વધુ નિખાર મળે, વધુ પ્રસન્નતા રહે! તો આ રીતે આપણે સૌ જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારાં આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
