
આણંદ, તા. 02 જુલાઈ, 2026:
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કેસર લાલવાણીના માર્ગદર્શન હેઠળ આણંદ શહેરમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને મગ પુલાવનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવાનો હતો.
શ્રી કેસર લાલવાણી છેલ્લા ઘણા વર્ષોથી સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રહી જરૂરિયાતમંદ લોકો તેમજ અબોલ પશુઓની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. એક ઇન્ફ્લુએન્સર તરીકે આણંદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ અને લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા બાદ તેમણે અબોલ પશુઓની સેવા અને સંરક્ષણના ઉદ્દેશ્યથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે માનવસેવા, જીવદયા અને ગૌસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે શ્રી કેસર લાલવાણીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આણંદ ખાતે “જીવદયા ગૌધામ”ની શરૂઆત કરવામાં આવશે. આ ગૌધામમાં બીમાર, અકસ્માતગ્રસ્ત, ત્યજી દેવાયેલી તેમજ દૂધ ન આપતી ગાયોને નિઃશુલ્ક સારવાર, પોષણ, યોગ્ય સંભાળ અને કાયમી આશ્રય આપવામાં આવશે. ગૌધામનો મુખ્ય હેતુ અબોલ પશુઓને સુરક્ષિત જીવન અને સન્માનપૂર્ણ સંભાળ પૂરી પાડવાનો રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સેવાભાવી કાર્યકરો અને નાગરિકોએ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પહેલને બિરદાવી હતી. શ્રી કેસર લાલવાણીએ સમાજના દાતાશ્રીઓ, ગૌપ્રેમીઓ અને સેવાભાવી નાગરિકોને આ માનવસેવા અને જીવદયાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
“માનવ સેવા એ જ માધવ સેવા અને જીવદયા એ જ સાચી સેવા.” આ સંદેશ સાથે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં પણ સમાજ અને અબોલ પશુઓના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક સ્તરે ચાલુ રાખશે.
