
બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે DRM અને CRS સાથે કરી બેઠક, ખારા પાણીની સમસ્યાના ઝડપી ઉકેલની ખાતરી આપી
નાગરિકોએ ખુશી વ્યક્ત કરી, બહુચરાજી સુધી રેલ સંપર્ક માટે પ્રધાનમંત્રી અને રેલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અંતર્ગત કટોસણ રોડ–રાણુજ રેલખંડ પર રેલવે સંરક્ષા આયુક્ત (સીઆરએસ) શ્રી ઈ. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવી રહેલા સંરક્ષા નિરીક્ષણ દરમિયાન બહુચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી સોમાજી ઠાકોરે મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશ સાથે મુલાકાત કરી.
સુરક્ષા નિરીક્ષણના બીજા દિવસે બહુચરાજી રેલવે સ્ટેશન પર ધારાસભ્ય શ્રી સુખાજી સોમાજી ઠાકોરે રેલવે સુરક્ષા આયુક્ત (સીઆરએસ) શ્રી ઈ. શ્રીનિવાસ અને મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ સાથે સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા નાગરિકોની ઉપસ્થિતિમાં ચર્ચા કરી.
આ દરમિયાન, વિસ્તારના રહેવાસીઓએ કટોસણ રોડ–રાણુજ રેલખંડ પર મુસાફર રેલ સેવાઓ શરૂ કરવાની દિશામાં થઈ રહેલી પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
સ્થાનિક નાગરિકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રેલવે સંરક્ષા આયુક્ત ની મંજૂરી મળ્યા બાદ આ રેલખંડ પર મુસાફર રેલ સેવાઓ શરૂ થવાથી દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને મા બહુચરાજી મંદિર સુધી વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક રેલ સંપર્ક ઉપલબ્ધ થશે. તેમજ આ વિસ્તારના વેપાર, પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી ગતિ મળશે. ધારાસભ્ય શ્રી સુખાજી સોમાજી ઠાકોરે પણ આ પરિયોજનાને વિસ્તારના વિકાસની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાવી પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ દ્વારા બહુચરાજી રેલવે સ્ટેશન તથા રેલવે કોલોનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય શ્રી સુખાજી સોમાજી ઠાકોરે સ્ટેશન અને રેલવે કોલોનીમાં ખારા પાણીની સમસ્યા તરફ ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે આ સમસ્યાના કારણે રેલ મુસાફરો, રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને દૈનિક ઉપયોગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ધારાસભ્ય શ્રી ઠાકોરે સ્થાનિક નગરપાલિકા સાથે સમન્વય સ્થાપિત કરી સમસ્યાના ઝડપી ઉકેલ માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લેતા આશ્વાસન આપ્યું કે તેના ઉકેલ માટે સ્થાનિક નગરપાલિકા તથા સંબંધિત વિભાગો સાથે સમન્વય સ્થાપિત કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વધુ સારી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ મંડળ પ્રશાસનની પ્રાથમિકતા છે તથા સમસ્યાના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન શ્રી વેદ પ્રકાશે રેલવે કોલોનીમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની પણ સમીક્ષા કરી. ત્યારબાદ રેલવે કોલોની પરિસરમાં રેલવે સંરક્ષા આયુક્ત શ્રી ઈ. શ્રીનિવાસ અને મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
