
વિશ્વ શાંતિના પ્રહરી : સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળમાં ભારતનું ગૌરવપૂર્ણ યોગદાન
દર વર્ષે 29 મેના રોજ સમગ્ર વિશ્વમાં “સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ યુનાઇટેડ નેશન્સ (UN)ના શાંતિ મિશનમાં સેવા આપનાર સૈનિકો, પોલીસ કર્મચારીઓ અને નાગરિક કર્મચારીઓની બહાદુરી, સેવા અને બલિદાનને સમર્પિત છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2002માં 29 મેના રોજ “International Day of United Nations Peacekeepers” તરીકે જાહેર કર્યો હતો અને તેની પ્રથમ સત્તાવાર ઉજવણી વર્ષ 2003થી શરૂ કરવામાં આવી હતી. 29 મેની તારીખ ખાસ એટલા માટે પસંદ કરવામાં આવી હતી કે આ દિવસે વર્ષ 1948માં પ્રથમ યુએન શાંતિ મિશન “United Nations Truce Supervision Organization (UNTSO)” શરૂ થયું હતું.
વર્ષ 2026માં “સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ”ની થીમ “Invest in Peace” એટલે કે “શાંતિમાં રોકાણ” રાખવામાં આવી છે. આ થીમ વિશ્વ સમક્ષ એ સંદેશ આપે છે કે માનવ કલ્યાણ, વૈશ્વિક સહકાર અને શાંતિ માટે કરાયેલું રોકાણ જ ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે.
ભારત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપનાર દેશોમાંનું એક છે. વર્ષ 1950માં ભારતે કોરિયા યુદ્ધ દરમિયાન યુએનના શાંતિ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય સૈનિકો અને તબીબી દળોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં માનવતાવાદી સહાય પહોંચાડીને વિશ્વમાં ભારતની શાંતિપ્રિય છબી મજબૂત બનાવી હતી.
વર્ષ 2007માં ભારતે વિશ્વ ઇતિહાસ રચ્યો હતો જ્યારે લાઇબેરિયામાં યુએન મિશન માટે સંપૂર્ણ મહિલા પોલીસ દળ મોકલનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. ભારતીય મહિલા દળે સ્થાનિક મહિલાઓમાં સુરક્ષા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને વૈશ્વિક સ્તરે પ્રશંસા મેળવી હતી.
તે ઉપરાંત વર્ષ 2021માં પણ ભારતે યુએન શાંતિ મિશનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. ભારતીય શાંતિરક્ષકોએ દક્ષિણ સુદાન, કોંગો સહિતના વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા, આરોગ્ય સહાય અને માનવતાવાદી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય સૈનિકોની વ્યાવસાયિકતા અને માનવતાવાદી અભિગમને વિશ્વસ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે.
આજ સુધીમાં ભારતના હજારો જવાનો યુએનના વિવિધ શાંતિ મિશનમાં સેવા આપી ચૂક્યા છે. અનેક ભારતીય સૈનિકોએ વિશ્વ શાંતિ માટે પોતાનું બલિદાન પણ આપ્યું છે. ભારતની “વસુધૈવ કુટુંબકમ્”ની ભાવના યુએનના શાંતિ મિશનમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
“સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ” માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ વિશ્વ શાંતિ માટે જીવન અર્પણ કરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પવાનો અવસર છે. આજના વૈશ્વિક સંઘર્ષ અને અસ્થીર પરિસ્થિતિ વચ્ચે “Invest in Peace”ની થીમ સમગ્ર વિશ્વને સહઅસ્તિત્વ, માનવતા અને શાંતિ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
***
મિતેષ સોલંકી,
પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
