
મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા છે.
કૃષ્ણ સ્વયં સનાતન ધર્મ છે.
“ઇતિહાસ જ બતાવશે કે કોણ સનાતનની સેવા કરી રહ્યું છે.”
આજે મૌલિક સર્જકોની જરૂર છે.
મંગળવાર સાંજથી-તેરમી સદીમાં દ્વેત દર્શનનાં પ્રણેતા માધવાચાર્યજી દ્વારા સ્થાપિત પ્રસિધ્ધ કૃષ્ણ મંદિર તથા મઠની પાવન ધરા ઉડ્ડુપી ખાતે કર્ણાટકની ધરતી પરની ૧૬મી અને કથા ક્રમની-૯૮૩મી રામકથાનો આરંભ થયો.આ કથાનાં મનોરથી પ્રવિણભાઇ તન્ના પરિવાર દ્વારા સ્વાગત બાદ દીપ પ્રાગટ્ય અને વેદઋચાઓનું ગાન થયું.
જબ જદુબંસ કૃષ્ન અવતારા,
હોઇહિ હરન મહા મહિભારા.
-બાલકાંડ-૮૭
કૃષ્ન તનય હોઇહિ પતિ તોરા,
બચનુ અન્યથા હોઇ ન મોરા.
-બાલકાંડ-૮૭/૧.
રતિ ગવની સુની સંકર બાની,
કથા અપર અબ કહઉં બખાની.
-બાલકાંડ-૮૭/૨
પૂર્ણાવતાર ભગવાન કૃષ્ણની કૃપાથી કૃષ્ણધામ ઉડુપીમાં કથા આરંભે તીર્થભૂમિ સહિત બધાને પ્રણામ કરીને આ કથાનો વિષય સ્પષ્ટ કરતા બાપુએ જણાવ્યું કે અહીં બિરાજતાં કૃષ્ણનાં સ્વરૂપને દ્વારકાધીશ સાથે સંબંધ છે.
શિવનો મહિનો,ત્રણ દિવસ પછી જન્માષ્ટમી ત્યારે માનસ કૃષ્ણાવતાર પર સંવાદની વાત કરવા અહીં બાલકાંડની પ્રસિદ્ધ પંક્તિઓ-જે ભગવાન શંકર ખુદ બોલે છે,કેન્દ્રમાં ભગવાન શ્રીકૃષ્ણ છે.ભવાનીની સામે મૂકે છે ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખીને આ પંક્તિઓ બે-ત્રણ કથાઓમાં પણ ઉઠાવેલી છે.
અહીં ભૂમિકામાં કામદેવનાં દહન પછી એની પત્ની રતિ રોતી,કકળતી,આક્રંદ કરતી શિવ પાસે આવે છે ત્યારે સદાશિવ કહે છે કે તારા પતિનું નામ અનંગ થશે.જે શરીર વગર બધાને વ્યાપશે.રતિ કહે છે કે મારે શરીર ધારી પતિ જોઈએ.આપે એને મનથી પ્રગટ કરતા-મનોજ કર્યો.શરીરથી ક્યારે મળશે?એ વખતે આ પંક્તિ કહે છે.દ્વાપર યુગમાં યદુવંશમાં ભગવાન શ્રીકૃષ્ણ અવતાર લેશે અને પૃથ્વીનો મહાભાર હટાવશે.સમાજમાં વ્યાપ્ત દુષ્કૃતોનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરશે.કયો ધર્મ?બાપુ કહે એક જ શબ્દ મારા મનમાં છે:સનાતન ધર્મની સ્થાપના. શ્રીમદ ભાગવતનું આંતર દર્શન કરીએ તો મળે છે કે મૂળ ધર્મ સનાતન છે.જેનો આદિ પકડવો કઠિન છે પણ પાંચ પ્રકારના અધર્મ કહ્યા છે.એક-વિધર્મ.બે-પર ધર્મ.ત્રણ-ઉપમા ધર્મ.ચાર-આભાસી છજ્ઞ ધર્મ.પાંચ-છલ ધર્મ.પૃથ્વીને સૌથી મોટો બોજ ધર્મનાં નામ ઉપર આ પાંચ અધર્મ,બીમારીને કારણે લાગે છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજીના અંતિમ અધ્યાયમાં સ્પષ્ટ કહે છે કે બધા ધર્મને છોડીને મારી પાસે આવ. એ પાંચ અધર્મ છોડવાનું કહે છે.અર્જુનને પૂછ્યું હશે કે તમે કયો ધર્મ છો?ત્યારે ભગવાન કહે છે સનાતન ધર્મ છું.આ મારા શબ્દ નથી.અર્જુન ખુદ કહે છે આપ સનાતન છો.
આજે દેશ અને દુનિયામાં ઘણા લોકો કથાકારોની ટીકા આલોચના કરતા કહે છે કે મોટા કથાકારો સનાતન ધર્મની સેવા નથી કરી રહ્યા,અમે કરીએ છીએ!પણ,ઇતિહાસ જ બતાવશે કે કોણ સનાતનની સેવા કરી રહ્યું છે.હું આપ બધાની અને માનસની કૃપાથી આખી દુનિયામાં ફરી ચૂક્યો છું.કૃષ્ણ સ્વયં સનાતન ધર્મ છે.કેવી સ્થિતિ હશે,જગતની જ્યારે કહેવું પડ્યું હોય કે મારી શરણમાં આવી જાવ! મૂળ ધર્મને ગ્લાનિ થાય ત્યારે કહે છે:ભારત(ભારતવાસી) આ પાંચ અધર્મનો નાશ કરીને હું ખુદ આવું છું.સાધુનું પરિત્રાણ કરવા અહીં પ્રતિનિધિનાં રૂપમાં નહીં,ખુદ આવવાનું કહે છે.કોઇ ધર્મ પોતાના પુત્રને,કોઈ સંદેશા વાહકોને,કોઈ આચાર્યને મોકલે છે.અહીં વિદ્વાન પંડિત કે મહાપુરુષો માટે નહીં,’સાધુ’ શબ્દ ખૂબ મહત્વનો છે.આજે સાધુ શબ્દ પર ઘણા જ વિચારકો ઘણું જ લખી રહ્યા છે.પણ એક ખતરો પણ છે લોકો એ.આઈ.ને પૂછીને કવિતાઓ કાઢી રહ્યા છે!એ.આઈ.ને સાધુનો શું અનુભવ?ઘણાં અખબારોમાં મોટા લેખ પણ એ.આઈ.ને પૂછીને લખાય છે.તમારું મૌલિક શું?મૌલિક સર્જકોની જરૂર છે.મારી વ્યાસપીઠ સુધી એ જ વાત પહોંચશે જે અંદરથી ઊઠી હોય.વ્યાસજીએ અહીં કૃષ્ણની હકીકત વ્યક્ત કરી છે.જેનું વચન ક્યારેય અન્યથા ન હોય સમજવું એમાં વિશેષ રૂપમાં શિવ તત્ત્વ છે.
મંગલાચરણ,વંદનાઓ,ગ્રંથ પરિચય,ગુરૂવંદના બાદ હનુમંત વંદના થઇ.
કથાસાર:
પૂજન અને સેવન
ગુરુનું પૂજન થવું જોઈએ,ગુરુના વચનનું સેવન થવું જોઈએ.સાધુનું પૂજન,સાધુતાનું સેવન થવું જોઈએ. વક્તાનું પૂજન,પરંતુ વક્તવ્યનું સેવન થવું જોઈએ. ગાયનું પૂજન થવું જોઈએ,પંચગવ્યનું સેવન થવું જોઈએ.રાજાનું પૂજન,પણ પ્રજાનું સેવન થવું જોઈએ.તો વૈદનું પૂજન પણ ઔષધીનું સેવન થવું જોઈએ.
કથા-વિશેષ
ઉડ્ડુપીનાં રાજાએ કરી મહાભારતનાં યુધ્ધ વખતે ભોજન વ્યવસ્થા
મહાભારત યુધ્ધનાં જે રણમેદાનમાં ૧૮-૧૮ અક્ષૌહિણી સેનાઓ જમા થઇ હોય (અંદાજે ૫૦ લાખ લોકો) ત્યાં ખાવાનાનો શું પ્રબંધ હતો,પ્રબંધ હતો પણ કે નહિ?અને જો હતો,તો આટલી મોટી સંખ્યા માટે તે પ્રબંધ કઈ રીતે થયો હશે?
કહેવાય છે કે માત્ર બે વ્યક્તિ આ યુદ્ધમાં સામેલ નહોતા થયા. એક હતા બલરામ અને બીજા હતા રૂક્મી.પણ… વાસ્તવમાં આ માહિતી અધૂરી છે. મહાભારતના યુદ્ધમાં બે વ્યક્તિ સ્વેચ્છાએ બહાર રહ્યા હતા.બીજા બે જણા એવા હતા કે જે યુદ્ધમાં સમ્મલિત થવા આવ્યા હતા પરંતુ નહોતા થયા.એક હતા મહાવીર બાર્બરિક અને બીજા દક્ષિણ ભારતના ઉડ્ડુપીના રાજવી પણ પોતાની સેના સાથે કુરુક્ષેત્ર પહોંચ્યા.ઉડ્ડુપીના પ્રતાપી રાજાને આવેલા જોઈ કૌરવ અને પાંડવો બંને તેમને પોતાની સેનામાં સામેલ કરી લેવા માટે પ્રયત્નશીલ થયા.ઉડ્ડુપીનાં રાજવીના સંબંધો બંને પક્ષે એક સરખા હતા.આથી તેમણે કઈ તરફ કે કોના પક્ષે લડવું,એનો નિર્ણય તેમણે હજી કર્યો નહોતો.તેમણે શ્રીકૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધમાં ભાગ લેવા નથી માગતો.પરંતુ, મારી ઈચ્છા છે કે મારી સમસ્ત સેના સાથે હું અહીં ઉપસ્થિત તમામ સેના માટે ભોજનનો પ્રબંધ કરું!
યુદ્ધ શરૂ થયું અને રોજે-રોજ બંને પક્ષની સેના માટે ભોજન પણ તૈયાર થતું રહ્યું. સ્વાભાવિક છે યુદ્ધમાં રોજ કેટલાંક સૈનિકો મૃત્યુ પામતા હોય.આથી જમાવાવાળા સૈનિકોની સંખ્યા નિશ્ચિત નહિ હોય. છતાં, ઉડ્ડુપીના રાજવીની વ્યવસ્થા એટલી કુશળ હતી કે કોઈ સૈનિક ભોજન વિના રહેતો નહોતો અને ભોજન બાદ એકપણ દાણો બચતો નહોતો.આ એક કોયડા સમાન થઇ ગયુ હતું.ઉડ્ડુપીના રાજવી આટલી સચોટ ગણતરી કઈ રીતે કરી શકે?કેટલા સૈનિકો હણાયા છે એ તો લડનાર પક્ષને પણ ખબર નથી હોતી.તો પછી ભોજનનું પ્રમાણ આટલું સચોટ કઈ રીતે હોય શકે કે,એક દાણો પણ બગડે નહિ, બચે નહિ કે બરબાદ નહિ થાય! દરેક માટે આ એક ચમત્કારથી ઓછી બાબત નહોતી.
યુદ્ધ સમાપ્તી પર,ધર્મરાજ યુધિષ્ઠિરે ઉડ્ડુપી નરેશને પ્રશ્ન કર્યો કે તમે આટલી સચોટ ગણતરી કઈ રીતે કરી એ મારા માટે એક રહસ્ય સમાન છે.કૃપા કરી મને આ ચમત્કાર વિષે જણાવો.
ઉડુપી નરેશે કહ્યું કે તમે જેને ચમત્કાર કહી રહ્યા છો,એ પણ શ્રીકૃષ્ણનો જ પ્રતાપ છે.હે રાજન,દેવકી નંદન રોજ રાત્રે મગફળી ખાતા હતા.હું રોજ તેમની શિબિરમાં ગણીને મગફળી મૂકતો હતો. તેઓ તે મગફળી ખાઈ લેતા ત્યારબાદ જેટલી બાકી બચતી હતી તે હું ફરી એકવાર ગણી લેતો હતો.કૃષ્ણ જેટલી મગફળી ખાતા બરાબર તેના ૧૦૦૦ ગણા સૈનિકો બીજા દિવસે યુદ્ધમાં મૃત્યુ પામતા હતા.અર્થાત તેઓ ૨૦ મગફળી ખાય તો નક્કી બીજા દિવસે ૨૦ હજાર સૈનિકો વીરગતિને પ્રાપ્ત થતા હતાં.બસ એ જ આધારે હું બીજા દિવસની ભોજનની વ્યવસ્થા કરતો હતો.આ જ કારણ હતું કે ભોજન ક્યારેય વ્યર્થ નહોતું જતું અને જેટલા સૈનિકો હોય એટલું જ ભોજન તૈયાર થતું હતું.
