બ્રિટિશ ગુજરાતીઓ રોયલ ફેમિલી વિશે શું માને છે? : ‘કિંગ ચાર્લ્સને ભારતીયો પ્રત્યે માન, આપણે સંબંધો પર ધ્યાન આપવું જોઈએ, કોહિનૂર પર નહીં’

0
8
બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ 2નું નિધન થયું છે ત્યારે યુકે સહિત સમગ્ર દુનિયામાં લોકો ભાવુક થઈ ગયા છે.
કિંગ ચાર્લ્સને ભારતીયો પ્રત્યે માન.

અમદાવાદ : બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ 2નું નિધન થયું છે ત્યારે યુકે સહિત સમગ્ર દુનિયામાં લોકો ભાવુક થઈ ગયા છે. બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં વસતા ગુજરાતીઓએ મંદિરોમાં પણ મહારાણી માટે પ્રાર્થનાસભા યોજી હતી. બ્રિટનમાં ગુજરાતીઓ પણ હજારોની સંખ્યામાં રહે છે ત્યારે ત્યાં રહેતાં ગુજરાતીઓ રાણી અને રોયલ ફેમિલી વિશે શું માને છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાંના કેટલાક ગુજરાતીઓ સાથે વાત કરી હતી. આ અંગે લેસ્ટરમાં રહેતા હર્ષ પટેલે વાતચીતમાં કહ્યું હતું, ‘મને અહીંયા આવે 6 મહિના થયા છે, પરંતુ અહીયાં બધા એવું કહે છે કે ભારતીયો માટે તેઓ બહુ સારાં હતાં. રાણી ઓલ ટાઇમ ઇન્ડિયન્સની ફેવરમાં હતાં. કંઈ પણ થવાનું હોય તો તેઓ પ્રોટેક્ટ કરતાં હતાં. બધા એવું કહે છે કે હવે રાજાશાહી થશે તો એશિયન કે ઇન્ડિયન માટે સારું નથી, પરંતુ જોઈએ કે કેવું રહેશે. બ્રિટિશર્સ રાણીને બહુ જ માન આપે છે. એમનું અવસાન થયું તે સીધી રીતે લોકો સાથે કોઈ લેવાદેવા નથી, તેમ છતાંય અહીંયા લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. રાણીને ભારતીયો પણ બહુ જ માનતા હતા.’ કોહિનૂર હીરા વિશે પૂછતાં તેમણે કહ્યું, ‘હા, એ આપણો છે તો આપણને પાછો મળવો જોઈએ. એમાં આપણે કંઈ ના કરી શકીએ, પરંતુ પોલિટિશયને કંઈક કરવું જોઈએ.કાંતિભાઈ નાગડા આશરે 50 વર્ષથી લંડનમાં રહે છે. તેમણે કહ્યું હતું, ‘બ્રિટિશર્સ ક્વીનને બહુ લોયલ છે. અહી રહેતા ભારતીયો પણ ક્વીનને બહુ જ રિસ્પેક્ટ આપે છે, કારણ કે ક્વીન કોઈ દિવસ રાજકારણમાં દખલ ના કરે. કોમનવેલ્થના હેડ તરીકે તેઓ રંગભેદમાં નહોતાં માનતાં. પ્રિન્સ ચાર્લ્સને પણ લોકો માન આપે છે, પરંતુ ક્વીન જેટલું નહીં, કારણ કે એમની પહેલી પત્નીનું અકસ્માતમાં મોત થયું પછી લોકો થોડા ચિંતિત હતા. હવે તેઓ રાજા બની ગયા છે એટલે બ્રિટિશર એમને પણ રિસ્પેક્ટ આપશે જ. ક્યારેક તેમણે રાજકારણમાં દખલ કરી હતી પણ રાજા બન્યા પછી એ નહીં કરે તો લોકો એમને પણ માન આપશે. રોયલ ફેમિલી ભારતીયો અને બ્રિટિશરોમાં કોઈ તફાવત કરતું નથી. અમારા એક સેન્ટરનું ઉદ્ઘાટન રાણીના દીકરાએ કર્યું હતું. બ્રિટન માટે રાજાશાહી સારી છે, કારણ કે રાજા પોલિટિક્સ કે દેશની રોજની બાબતોમાં, સરકારમાં દખલગીરી નથી કરતાં. અવારનવાર તે લોકોને મળતા હોય છે. રાણીએ મને બે વખત બર્મિંગહામ પેલેસમાં ઇન્વાઇટ કર્યો હતો. એ ખૂબ જ હોશિયાર હતાં અને બધાના જાણકાર હતાં. એ તમને ઇમ્પ્રેસ કરી દે. તેમનો મળતાવડો સ્વભાવ હતો. લોકોને એવું લાગે કે રાણીને મળવા જઈએ છીએ પણ તેઓ સાવ સરળતાથી વાત કરે.’ ‘રોયલ ફેમિલીનું અહીંયા બહુ રિસ્પેક્ટ છે. અહીંયાં દસ દિવસ પછી બેન્ક હોલિડે (રજા) છે. ક્વીનને વિશે કહેવા માટે કોઈ શબ્દો નથી. એટલું માન છે કે ગઇકાલથી અહીંયાં મોટી LED, હોર્ડિંગ્સ, લોકોના ફોનના સ્ટેટસમાં, સોશિયલ મીડિયામાં બધે જ એમનાં ફોટા અને થીમ મૂકી છે. ગુજરાતી, પાકિસ્તાની કે કોઈપણ એશિયન દેશોના લોકો હોય એ બધા રાણીનું સન્માન કરે છે. રોયલ ફેમિલી બધા માટે સમાન ભાવે જુએ છે. હું એટલું કહી શકું કે અહીંયાં ઇંગ્લેન્ડમાં સુખી છીએ. ભગવાનની મહેરબાની છે અને રાણીના આશીર્વાદ છે’, તેજસભાઈ આશરે 10 વરસથી બર્મિંગહામ શહેરમાં રહે છે અને પોતાનો વ્યાપાર કરે છે.પ્રવીણભાઈ પટેલ સાઉથ લંડનમાં ફાઇનાન્સર છે. તેમણે કહ્યું હતું, ‘રાણીને અહીંયા લોકો એટલું બધું માન આપે છે કે એમના જવાથી બધાને દુઃખ થઈ રહ્યું છે. મંદિરોમાં એમના માટે પૂજા થઈ રહી છે. રાણી માટે ભારતીયોમાં ખૂબ પ્રેમ છે. આજે બધા બકિંગહામ પેલેસ, વિન્ડસર કાસલ, સ્કોટલેન્ડમાં બહુ જ માણસો ભેગા થયા છે અને હજુ થશે. દસ દિવસનો શોક જાહેર કરાયો છે. આજે ઘણી બધી ઑફિશિયલ મિટિંગ રદ થઈ ગઈ. અમારે ઇન્ડિયન હાઇ કમિશનમાં મિટિંગ હતી એ પણ રદ થઈ. આ ઉપરાંત બીજી ઘણી મોટી ઇવેન્ટ બંધ રાખી છે. આમ તો એમના વિના ચાલશે તેમ છતાં લોકોમાં ઘણું જ દુઃખ છે. ગુજરાતીઓએ પણ શોક દર્શાવ્યો છે. આપણા ગુજરાતીઓ આ દેશને ઇકોનોમિક સપોર્ટ બહુ આપે છે. આ દેશમાં પણ લોકતંત્ર જ ચાલે છે પણ મહારાણી નામ માટે છે. એમનું રાજ નથી. દેશ માટે એમણે જબ્બરનું કામ કર્યું છે. અમારા નવા કિંગ ચાર્લ્સ રાણી જેવું કામ કરી શકશે કે નહીં એ ખબર નથી, કારણ કે એ એટલા પોપ્યુલર નથી.’ કોહિનૂર અંગે પ્રવીણભાઈએ કહ્યું હતું, ‘અત્યારે UK અને ભારતનો સંબંધ વધારવાની જરૂર છે, એમાંથી આપણી બધી કમાણી થઈ જશે. એ કોહિનૂર હીરાએ આખું બ્રિટિશરાજ સમાપ્ત કરી નાખ્યું. એ આપણે પાછો ઇન્ડિયામાં નથી જોઈતો. આપણાં મોદીજીનું રાજ સમાપ્ત ના થવું જોઈએ.’વિનુભાઈ ભટ્ટેસ્સા પોતે હોટેલિયર છે ઉપરાંત BAPS મંદિરોમાં સેવા આપે છે. તેમણે કહ્યું હતું, ‘મારું કામ મંદિરો બાંધવાનું અને હિન્દુ કલ્ચર જાળવવાનું છે. ક્વીન એલિઝાબેથે કોમનવેલ્થ માટે ઘણું કર્યું છે. ખૂબ જ પોલાઇટ હતાં. એમની પાસેથી ઘણું શીખવાનું હતું. કિંગ ચાર્લ્સ પણ ઘણા સારા અને ફેમસ માણસ છે. અમારા મંદિરમાં પણ 3 વખત આવી ગયા. હું પોતે 3 વખત મળ્યો છું. એ ખૂબ જેન્ટલમેન છે. વર્ષ 2000માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે હું એમને મળ્યો હતો. અમારે ફંડ રાઇઝિંગ કરવું હતું તો એ ફરી પાછા મંદિરે આવ્યા અને અમે 4થી 5 મિલિયન પાઉન્ડ ભેગા કર્યા હતા. એમને ભારતીયો અને હિન્દુઓ માટે ખૂબ માન છે. મંદિરમાં પણ એ દિવાળી, હોળી ઉપરાંત દરેક ફંક્શનમાં આવે છે. રોયલ ફેમિલીનું વલણ ભારતીયો પ્રત્યે ઘણું સારું છે. તમે જુઓ તો આ દેશમાં આપણા લોકો ઘણા સક્સેસફુલ છે. એમને ભારત માટે પણ ઘણું માન છે. ફેમિલીમાં પ્રોબ્લમ હોવા છતાં રાણીએ બહુ સરસ રીતે બધાને સંભાળી લીધાં હતાં. એ ઓચિંતા જતાં રહ્યાં તો ખૂબ શોક લાગ્યો છે. બે દિવસ પહેલાં જ એમની તબિયત ખરાબ હોવા છતાં નવા પ્રાઇમ મિનિસ્ટરને મળ્યા હતા. રાણીને હું એક જ વખત મળ્યો છું. એમના માનમાં પ્રાર્થનાસભા રાખીશું. ઘણું સારું છે વિનુભાઈએ કોહિનૂર હીરા અંગે કહ્યું હતું કે તે ભલેને એ રાખતા શું ફરક પડે છે? આપણે રાખીને શું કરીશું? બ્રિટને આપણા માટે પણ ઘણું કર્યું છે. ઋષિ સુનક પણ ક્યાં સુધી પહોંચી ગયા. અમે યુકે અને યુરોપનાં તમામ મંદિરોમાં પ્રાર્થનાસભા રાખી છે.’45 વર્ષથી લંડનમાં રહેતાં ક્રિષ્નાબેન પૂજારાએ કહ્યું હતું, ‘બ્રિટિશર જ નહીં પણ આખી દુનિયામાં જેટલું માન મહારાણીનું છે, એટલું કોઈનું નથી. સામાન્ય લોકોના જીવનમાં થાય છે, એમ સિત્તેર વર્ષ દરમિયાન એમના જીવનમાં પણ ઘણાં પરિવર્તન આવ્યાં. એ વન ઓફ ધ બેસ્ટ પર્સન અને મહાન આત્મા હતો.’ કિંગ ચાર્લ્સ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘વર્ષો અગાઉ પ્રિન્સેસ ડાયનાનાં મૃત્યુ પછી તેમની પ્રાઇવેટ લાઈફ બહાર આવી હતી. ત્યાર પછી તેમનું માન ઘટી ગયું હતું, પરંતુ એ પછી આટલાં વર્ષો દરમિયાન લોકોએ સ્વીકારી લીધું છે કે એ તેમની પ્રાઇવેટ લાઈફ હતી. વર્ષ 2000ની આસપાસ હું મહારાણીને મળી હતી. અમે નજીકના જ ડિનર ટેબલ પર હતાં. હું મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપની સાથે હતી. પછી મેં મહારાણીને કહ્યું હતું, ‘હું આફ્રિકાથી છું તો એમણે મારી સાથે સ્વાહિલી (આફ્રિકાની ભાષા)માં વાત કરી હતી.’ એમનો આત્મા એટલો સરસ હતો કે હમણાં જ નવાં વડાપ્રધાન લીઝ ટ્રસને મળ્યાં હતાં ત્યારે મહારાણીના હાથમાં ઘણા બ્રુઝ અને લોહી ચઢાવવાની નીડલ પણ દેખાતી હતી. કહેવાનો મતલબ છે કે એમણે જીવનપર્યંત કમ્યુનિટી સર્વિસ છોડી નથી.’ કોહિનૂર વિશે ક્રિષ્નાબેને કહ્યું હતું, ‘આ અંગે હું વધારે ના કહી શકું પણ ચર્ચા કરવાને બદલે જો કોહિનૂર હીરો ભારતને મળવાનો હશે તો એ એના સમયે મળી જશે.’ ક્રિષ્નાબેન ઘણી બધી સામાજિક સંસ્થા સાથે જોડાયેલાં છે.