અમદાવાદ બજારમાં પતંગો ઓછી બની હોવાથી મંદીનો માહોલ

0
29
આ વખતની ઉત્તરાયણ વખતે પતંગ-ફિરકીબજારમાં બહુ ભીડ જોવા મળવાની શક્યતા ઓછી છે. આ વર્ષે ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો કરવો પડ્યો છે.
આ વખતની ઉત્તરાયણ વખતે પતંગ-ફિરકીબજારમાં બહુ ભીડ જોવા મળવાની શક્યતા ઓછી છે. આ વર્ષે ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો કરવો પડ્યો છે.

અમદાવાદ : રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારમાં આ વર્ષે કોરોનાની મહામારીએ વેપારીઓના ધંધાને પણ અસર કરી છે. ઉત્તરાયણના તહેવારમાં કરોડો રૂપિયાની પતંગો અને ફિરકીનું વેચાણ થતું હોય છે, જોકે અમદાવાદમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનથી પતંગો ઓછી બની છે અને બજારમાં પતંગો પણ ઓછી આવી છે, જેને કારણે વેપારીઓને ભાવવધારો કરવાની ફરજ પડી છે. દિવાળી બાદ તરત જ કેટલાક વેપારીઓ પતંગો હોલસેલમાં ખરીદી લેતા હોય છે, જોકે આ વર્ષે બજારમાં પતંગો જ ઓછી આવી છે, જેને કારણે બજારમાં પણ મંદી રહેશે.આ વર્ષે કોરોના મહામારીને કારણે પતંગો ઓછી બની છે અને અત્યારથી જ હોલસેલના વેપારીઓ હોય કે નાના રિટેલ વેપારી હોય, તેમણે પતંગોની ખરીદી કરી લીધી છે. આ વખતની ઉત્તરાયણ વખતે પતંગ-ફિરકીબજારમાં બહુ ભીડ જોવા મળવાની શક્યતા ઓછી છે. આ વર્ષે ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો કરવો પડ્યો છે. રેગ્યુલર પતંગ આવે છે એવા 1000 પતંગનું બંડલ રૂ. 2600થી 2800માં ગત વર્ષે મળતું હતું, જેના આ વર્ષે રૂ. 3500 થઈ ગયા છે.

ઉપરાંત આ વર્ષે ઉત્તરપ્રદેશની બરેલીની જે ફિરકીઓ આવતી હોય છે એ ખૂબ જ ઓછી આવી છે, જેને કારણે બરેલી દોરીનું વેચાણ પણ ઓછું છે.

ફિરકીના ભાવ પણ વધ્યા છે.જ્યારે પતંગબજારના રિટેલ વેપારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ વર્ષે રિટેલમાં ગ્રાહકોની ખરીદી હજી દર વર્ષે જોઈએ એવી નથી. આ વર્ષે કોરોનાને કારણે બજારમાં પતંગો ઓછી છે અને ભાવ વધુ છે. હોલસેલમાં પણ વધુ ભાવ હોવાથી પતંગો મોંઘી થઈ ગઈ છે. 5000 વાર દોરીની ફિરકીના ભાવ 600થી 700 રૂપિયા છે. પિપૂડાં અને અવાજ કરતાં રમકડાંની તો કોઈ ખરીદી જ નથી થતી.