અમદાવાદ : વરસાદ બાદથી રોગચાળાના કેસોમાં વધારો

0
34

અમદાવાદ, તા.૭
અમદાવાદ શહેરમાં હાલમાં ભારે વરસાદ થયા બાદ હવે રોગચાળાના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનનો માત્ર ૧૦ ઈંચ જ વરસાદ પડ્‌યો હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમાં પણ સાદા મેલેરીયા, ઝેરી મેલેરીયા,ડેંગ્યુ, ચીકન ગુનીયા સહિતના રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ દોડતુ થયું છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વટવા, દાણીલીમડા, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાના ભરડામાં સપડાયા છે. દુષિત પાણી અને અખાદ્ય પદાર્થના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ઓગસ્ટના એક જ અઠવાડિયામાં ૧૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે. જેમાં ઝાડા ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડના ૭૦થી વધુ કેસો નોંધાયા છે. જા કે, અમ્યુકો સંચાલિત અને સરકારી હોÂસ્પટલો સિવાયના રોગચાળામાં સપડાયેલા દર્દીઓનો બિન સત્તાવાર આંક ઘણો મોટો થવા જાય છે. શહેરમાં વકરી રહેલી પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય અને મચ્છરોના બ્રીડીંંગ અને મચ્છરોના કારણે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં ગત સપ્તાહ દરમ્યાન થયેલ ત્રણ ચાર ઈંચ વરસાદના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં મેલેરીયાના ૧૫૦ દર્દીઓ નોંધાયા છે. ગત જુલાઈ માસમાં ઝાડા ઉલ્ટીના ૯૧૧ કેસો, કમળાના ૪૫૩ અને ટાઈફોઈડના ૬૩૯ કેસો અને કોલેરાના ૭ કેસો નોંધાયા છે. જયારે સાદા મેલેરિયાના ૬૫૪, ઝેરી મેલેરિયાના ૨૫, ડેન્ગ્યુના ૧૦૫ અને ચિકનગુનિયાના ૧૩ કેસો નોંધાયા છે. આમ શહેરમાં રોગચાળો વકર્યો છે અને કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર માત્ર નોટિસો અને દંડ વસુલ કરી સંતોષ માની રહી છે. મ્યુનિસિપલના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, દૂષિત પાણીના કારણે કેસોમાં વધારો થાય છે. આજે અમારી ટીમો દ્વારા તમામ ઝોનમાં ઉંડી ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી.