છોટાઉદેપુરમાં આનંદ સાથે સ્વાતંત્રતા દિવસની ઉજવણી

0
42

આઝાદી પહેલા ડાઈ ફોર દ નેશન અને હવે લિવ ફોર દ નેશનનો મંત્ર જન જનમાં ગુંજતો થયો છે : મુખ્યપ્રધાન

અમદાવાદ, તા. ૧૬
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ૭૩માં આઝાદી પર્વની ઉજવણી કરી છે. અહીં જનશક્તિના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે થયેલી રાજ્ય ઉજવણીથી રાષ્ટ્રચેતનાનો અદ્દભૂત સંચાર થયો છે. મુખ્યમંત્રીએ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ કલમ નાબૂદ કરવાના કારણે આ વખતની ૧૫મી ઓગસ્ટની ઉજવણીને ઐતિહાસિક ગણાવી હતી.ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કાશ્મીરમાં ૩૭૦ની કલમ ૩૫-એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું સ્ટેટ બન્યું હોય એવું સમગ્ર દેશને લાગતું હતું. કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કર્યો. ર્ડા. શ્યામાપ્રસાદ મુખરજીએ શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઇ લડ્‌યા હતા. કાશ્મીરી ઘાટીમાં સાત સાત દાયકા સુધી અલગતાવાદીઓ આતંકવાદને વધારતા ગયા. ૪૧ હજારથી વધુ નિર્દોષ લોકો આતંકનો ભોગ બન્યા, જાન ગુમાવ્યા. કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું હતું. ગુજરાતના બે નરબંકાઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ૭ર વર્ષ પછી પમી ઓગસ્ટ, ર૦૧૯એ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન સાકાર કર્યું છે. તેથી ૩૭૦ની કલમ હટાવી, ૩૫એ કલમ દૂર કરી અને સવાસો કરોડ ભારતીયો માટે ખરા અર્થમાં આ ૭૩મું આઝાદી પર્વ એક ઐતિહાસિક પર્વ બની ગયું છે. સરકારના શાસનસૂત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં પણ આ સરકારે ગાંધી, સરદાર, નરેન્દ્ર મોદી, અમિત શાહના પદચિન્હો પર ચાલીને સ્વરાજ્ય પછી સુરાજ્ય ગુડ-ગવર્નન્સની નવતર કેડી પ્રસ્થાપિત કરી છે. આઝાદી પહેલા ‘‘ડાઇ ફોર ધ નેશન’’ અને હવે “લિવ ફોર ધ નેશન”નો મંત્ર જન જનમાં ગૂંજતો કર્યો છે. દેશમાં પોલીટીકલ ડેવલપમેન્ટના નવો યુગ – વિકાસની રાજનીતિ ગુજરાતે પ્રસ્થાપિત કરી છે. તેમણે ઉમેર્યું કે, સરકાર લોકો માટે, લોકો વડે, લોકો થકી, લોકોના સપનાઓને સિદ્ધ કરે, જ્ઞાતિ-જાતિ, ભાષા-ધર્મ- પ્રાંત-પ્રદેશથી ઉપર ઉઠીને સામાજિક સમરસતા-સૌહાર્દથી સૌના સાથ અને સૌના વિકાસને સાકાર કરનારી આ સરકાર છે. પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે અને પ્રજાએ હંમેશા કટોકટીના કાળમાં પ્રજાએ એક મેચ્યોર મેન્ડેન્ટ આપ્યા છે. લોકશાહીની ગરિમાને વધારી છે. સામાન્યમાં સામાન્ય માનવી ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગામડું, ખેડૂત, યુવા, મહિલા આ બધાને લાગે કે સરકાર પોતીકી છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, એક પળ પણ આરામ કર્યા વગર દિન-રાત પ્રજાકલ્યાણના કામોમાં આ સરકાર સમર્પિત છે. ૬૦૦થી વધુ નિર્ણયો કરીને અનિર્ણાયકતાને ફગાવીને નિર્ણાયકતાના આધાર પર આપણે આગળ વધી રહ્યા છીએ. સંવેદનશીલ સરકાર તરીકે પ્રત્યેક જીવોની ચિંતા, બધાંયને અભયદાન અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક નિર્ણયો એવા છે કે જે નિર્ણયોમાં સંવેદનશીલતા અને સંવેદના લોકો, ગરીબો અને પીડિતો માટે આપણે વ્યકત કરી છે. ગુજરાતના ૬૦ લાખ પરિવારોને આરોગ્યની સુરક્ષા આપવા માટે મા અમૃતમ અને મા વાત્સલ્યની યોજના ચલાવીને સૌને આરોગ્યની સુરક્ષા, કોઇની પાસે હાથ લાંબો કરવો ન પડે તેવી વ્યવસ્થા આપી છે. બેટીને જન્મથી જ વધાવવા ‘‘વ્હાલી દીકરી યોજના’’ શરૂ કરી છે. બેટી બચાવો, બેટી પઢાવો અને હવે બેટી વધાવો – એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે કયાંય પણ અકસ્માત થયો હોય તો ગોલ્ડન અવરમાં પચાસ હજાર રૂપિયા સરકાર આપે. ડોકટરોએ-હોસ્પિટલોએ પૈસાની રાહ જોવી ન પડે એ દિશામાં આપણા પ્રયત્નો છે અને એ યોજના આપણે લાગુ કરી દીધી છે. ગરીબ પરિવારોના લગ્ન માટે જાનમાં જવા માટે નબળા વાહનોના ઉપયોગથી અકસ્માતો થતા હતા.