ભરૂચઃ કોરોનાના શંકાસ્પદ દર્દીનો મૃતદેહ એક કલાક રઝળ્યો, અંતે પરિવાર રિક્ષામાં લઇ ગયો

0
75

ભરૂચ,તા.૧૬
સિવિલ હાૅસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચની સિવિલ હાૅસ્પિટલમાં કોરોના શંકાસ્પદ વોર્ડમાં એક દર્દીનું મોત થતા મૃતદેહ તંત્રએ પરિવારને સોંપ્યો હતો. આ સાથે તંત્રએ મૃતદેહને લઇ જવા માટે કોઇ એમ્યુલન્સ કે શબવાહીની આપી નહીં. પરિવારે મૃતદેહ સાથે હાૅસ્પિટલમાં જ એક કલાક રાહ જોઇ. પરિવાર હાૅસ્પિટલ તંત્ર પર આરોપ લગાવતા જણાવે છે કે, તંત્રએ મૃતદેહ લઇ જવાની કોઇ વ્યવસ્થા ન કરી તેથી અમારે મૃતદેહ રિક્ષામાં લઇ જવો પડ્યો.
આ સમાચાર સામે આવતા લોકમાં રોષની લાગણી છવાઇ ગઇ છે. લોકોમાં રોષ છે કે, એક તરફ જ્યારે રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સિવિલ હાૅસ્પિટલે આટલી મોટી બેદરકારી કેમ કરી? મૃતકના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે મૃતકને હાર્ટ એટેક આવતા તને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં તેમને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં રાખવામાં આવ્યાં હતા. તે દરમિયાન દર્દીનું મોત થયું હતું. સામાન્ય રીતે કોરનાનાં કે કોરોનાના શંકાસ્પદ દર્દીઓનાં મૃતદેહને હાૅસ્પિટલનાં તંત્ર દ્વારા અંતિમ સંસ્કાર કરતા હોય છે. પરંતુ ભરૂચ સિવિલ હાૅસ્પિટલે દર્દીને શંકાસ્પદ વોર્ડમાં રાખ્યા બાદ પણ મૃતદેહને પરિવારને સોંપતા ભારે રોષ વ્યાપ્યો છે.
નોંઝનીય છે કે, ચાર દિવસ પહેલા પણ તેલંગાણાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. નિઝામાબાદ સ્થિત સરકારી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામનારા એક વ્યક્તિના મૃતદેહને ઓટો રિક્ષામાં મૂકીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. રિપોટર્સ મુજબ, હોસ્પિટલ તંત્રએ એમ્બ્યુલન્સ વગર જ દર્દીના પરિવારના લોકોએ મૃતદેહ સોંપી દીધો હતો. નિઝામાબાદ સરકારી હાૅસ્પિટલના સુપરિટેન્ડેટ ડાૅ. નાગેશ્વર રાવે જણાવ્યું કે, એક ૫૦ વર્ષીય દર્દીને ૨૭ જૂનના રોજ નિઝામાબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેનામાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.