તન-મનના રોગો દૂર કરવા કરો ૭મિનિટની ૭ એક્સરસાઇઝ

0
87

‘બ્રીથ ઈન લવ બ્રિથ આઉટ ફરગિવનેસ’ એટલે કે લેતા શ્વાસે પ્રેમ અને નીકળતા શ્વાસે ક્ષમા. આ સૂત્ર આપનારા યોગ અને ધ્યાનના ઉપાસક એસ. એન. તાવરિયાએ પોતાના ગુરુ પાસેથી ગુરુ-શિષ્ય પરંપરામાં ચાલી આવતી લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવાની રીત જાહેરમાં મુકી છે. સમગ્ર વિશ્વમાં એક પણ રૂપિયાના ચાર્જ વગર તેમના સેવકો આ વિદ્યા
લોકોને શીખવાડે છે. તાવરિયાજી કહેતા કે લયબદ્ધ શ્વસન, થ્રી એસઆરબી એ શ્વસનની સાચી રીત છે, જે પ્રકૃતિ તરફથી આપણને ભેટ મળી છે. એક ઓરકેસ્ટ્રામાં જેમ દસ જાતનાં વાજિંત્રો હોય અને તે બધાં એક હાર્મનીમાં વાગે તેને સિમ્ફની કહેવાય છે એમ આ આખું બ્રહ્માંડ રિધમ પર ચાલે છે તે સિમ્ફની આપણા શ્વાસોચ્છ્વાસમાં બેસી જાય તો ઘણાં લાભ થાય છે. કરવાનું શું?
આપણું સ્થૂળ શરીર શ્વાસ લે છે અને છોડે છે પરંતુ તેની પાછળ છુપાયેલું સુક્ષ્‍મ શરીર એક મિનિટમાં ૧૨ વખત પ્રાણ લે છે અને છોડે છે. જ્યારે આપણું સ્થૂળ શરીર આપણા ભાવો બદલાય તે પ્રમાણે ૮-૨૦-૨૨ શ્વાસોચ્છ્વાસ લે છે. શ્વાસ અને પ્રાણની આ ગતિ બેસતી નથી, તેથી સંઘર્ષ થાય છે. તેથી ૨૪ કલાક કરી શકાય તેવી શ્વાસની પ્રક્રિયા બતાવી છે, જેમાં શ્વાસ લે ત્યારે છાતી અને પેટ બંને એકસાથે ફૂલે અને શ્વાસ કાઢે ત્યારે બંને એકસાથે સંકોચાય તેનું ધ્યાન રાખવાનું છે. ત્રણ સેકન્ડમાં શ્વાસ લેવાનો છે અને બે સેકન્ડમાં શ્વાસ કાઢવાનો છે, તેને થ્રિ એસઆરબી એટલે કે થ્રિ સ્ટેપ રિધમેટિક બ્રીધિંગ કહેવામાં આવે છે. મન દ્વારા શ્વાસ પર નિયંત્રણ લાવવા કરતાં શ્વાસ દ્વારા મન પર નિયંત્રણ લાવવું સરળ છે.

૩ એસઆરબીના વારસાને વ્યવસ્થિત રીતે આગળ વધારનાર આંતરાષ્ટ્રીય પ્રશિક્ષક રાજેન્દ્ર વકીલ કહે છે, ‘આ ૩ એસઆરબી કોઈ શ્વાસની કસરત નથી પરંતુ પ્રકૃતિનો લય છે. નાનાં બાળકો શ્વાસ લે ત્યારે પેટ અને છાતી બંને ફુલાવે છે અને શ્વાસછોડે ત્યારે બંને સાથે સંકોચે છે અને શ્વાસોચ્છ્વાસની આ જ સાચી પદ્ધતિ છે, જેમાં શ્વાસની ટૅક્નિક, વૉલ્યુમ અને રિધમ – આ ૩ પગથિયાં છે. ૩ સેકેન્ડમાં સળંગ શ્વાસ લેવાનો અને ૨ સેકેન્ડમાં સહેજ ફોર્સથી કાઢવાથી શ્વાસ પૂર્ણ અને ઊંડા બનતાં મગજ, શરીરના કોષોને પ્રાણવાયુનો પૂરતો જથ્થો મળતો રહે છે અને દિવસમાં લગભગ ૯ હજાર કરતાં વધારે શ્વાસ બચે છે. શ્વાસની લયબદ્ધતાથી બ્રેઈન સિસ્ટમ પુન: શિક્ષિત થાય છે, વિચારપ્રવાહ શાંત થાય છે.’

સામાન્ય રીતે ડૉ. કીનના પુસ્તક ‘સેવન સ્ટેજીસ ઓફ કોન્સિયસનેસ’માં જણાવ્યા મુજબ દર સેકન્ડે 30 હજાર પ્રાણસ્પંદનો આપણા શરીરમાં દાખલ થાય છે એમ જણાવીને રાજેન્દ્રભાઈ ઉમેરે છે, ‘શાસ્ત્રો કહે છે કે એક મિનિટમાં 7200 વિચારચિત્રો બંધાય છે અને એક ધબકારામાં 120 વિચાર ચાલે છે. સીમિત જાગૃતિને લીધે થોડા જ નોંધક્ષેત્રમાં આવે છે પરંતુ લયબદ્ધ શ્વસન પદ્ધતિથી એક સેકન્ડમાં 1200 વિચારો એટલે કે એક ધબકારામાં 20 વિચાર ઉપર લાવીને મૂકી દે છે. મગજના નોંધક્ષેત્રમાં આવેલાં બૌદ્ધિક કેન્દ્ર, ભાવ કેન્દ્ર, કામ કેન્દ્ર અને ક્રિયા કેન્દ્ર નિયંત્રિત થવાથી અને સ્થૂળ અને સુક્ષ્‍મ શરીરમાં સંવાદિતા પેદા થવાથી રોગ પ્રવેશવાની શક્યતા નહિવત્ થઈ જાય છે.’

૭ રિફાઈનિંગ એક્સરસાઈઝીસ
રિફાઈનિંગ એક્સરસાઈઝ પણ આ ૩ એસઆરબીનો ભાગ છે. જેમાં શ્વાસ સાથે સંકળાયેલી કેટલીક કસરત કરવાની હોય છે. ૭ રિફાઇનિંગ એક્સરસાઈઝની ટૂંકી સમજણ મેળવીએ. પ્રથમ એક્સરસાઈઝમાં ૧ મિનિટમાં ૩૬ વખત શ્વાસોચ્છ્વાસ લેવાના છે, જેમાં શ્વાસ લેતી વખતે માત્ર છાતી ફૂલવી જોઈએ અને ૩ઃ૨માં શ્વાસ લે-મૂક કરવાનો હોય છે. શ્વાસ લેતાં-મૂકતાં માત્ર છાતીનો ભાગ જ
અંદર-બહાર આવે અને ખભા સહિતના બધા ભાગો રિલેક્સ રાખવાના છે.

બીજી એક્સરસાઈઝ પણ એક મિનિટમાં ૩૬ વાર કરવાની છે જેમાં શ્વાસ લેતાં અને મૂકતાં પેટ બહાર અને અંદર આવે તે રીતે પ્રયત્ન કરવાનો છે.

ત્રીજી એક્સરસાઈઝમાં પગ સીધા લંબાવીને ગોઠણમાંથી વાળ્યા વગર હાથેથી પગના અંગૂઠા પકડવાના છે અને નહીં તો હાથ જ્યાં સુધી પહોંચે ત્યાં પગ પકડવાના છે પણ ગોઠણમાંથી પગ વાળવાના નથી. ડોક સીધી ન રાખતાં ૪૫ ડિગ્રીના ખૂણે ઉપર તરફ કરવાની છે અને શ્વાસ લેતાં-મૂકતાં છાતી અને પેટ બંને ફૂલવાં અને સંકોચાવાં જોઈએ.

ચોથી એક્સરસાઈઝમાં ટુકડેટુકડે શ્વાસ લઈને છાતી સંપૂર્ણ ભરાઈ જાય પછી શ્વાસ છોડતી વખતે આપણાથી દૂર પડેલી મીણબત્તી જાણે કે ઓલવતાં હોય તે રીતે જોરથી શ્વાસ બહાર કાઢવાનો હોય છે, જે એક મિનિટમાં ૧૮થી ૨૦ વખત કરવાની હોય છે.

પાંચમી એક્સરસાઈઝમાં પાંચ સેકન્ડ છાતી-પેટમાં પૂરક દ્વારા શ્વાસ ભરવાનો ત્યાર બાદ પાંચ સેકન્ડ આંતરકુંભકથી રોકવાનો અને ત્યાર બાદ ૫ સેકન્ડ રેચક દ્વારા શ્વાસ બહાર કાઢવાનો અને ત્યાર બાદ પાંચ સેકન્ડ બાહ્યકુંભક એટલે કે શ્વાસ લીધા વગર રહેવાનું. ૨૦ સેકન્ડની એક સાઈકલ તેવી ત્રણ સાઈકલ એક મિનિટમાં કરવાની.

છઠ્ઠી એક્સરસાઈઝમાં નાકેથી શ્વાસ લઈને છાતી-પેટ પૂરેપૂરાં ભરી લેવાનાં અને આંગળી અને અંગૂઠાથી નાક પકડીને નસકોરાં બંધ કરી દેવાનાં અને દાઢીને ગળાના પોલાણમાં દબાવી પાણી પીતાં હોય તેમ ઘૂંટડા ગળા નીચે ઉતારવાના છે.

સાતમી એક્સરસાઈઝ બે તબક્કામાં કરવાની છે. પ્રથમ શ્વાસ અંદર ભરીને તેને છોડતી વખતે ફેફસાંમાંથી સંપૂર્ણ શ્વાસ બહાર કાઢી નાખવો અને શ્વાસ કાઢેલી સ્થિતિમાં નાભીથી નીચેના ભાગને અંદરની તરફ ખેંચવાનો છે અને શ્વાસ લીધા વગર ૪૦ સેકન્ડ સુધી આ પ્રમાણે પહોંચવાનું છે. અને બીજા તબક્કામાં ૪૦ સેકન્ડ પછી નાભીની નીચેનો ભાગ ખેંચેલો રાખીને જ નાકેથી છીછરા શ્વાસ ઝડપથી લેવાના છે. દિવસમાં માત્ર એક જ વાર આ ૭મી એક્સરસાઈઝ કરવાની છે.

૭ એક્સરસાઈઝના ફાયદા
પ્રથમ એક્સરસાઈઝથી છાતીના એરિયામાં ૧૨ પ્રકારના ક્ષારો આવેલા છે, ત્યાં શ્વાસ અથડાવાથી તે ક્ષાર બેલેન્સ થવા લાગે છે અને માનસિક સ્વાસ્થ્યનો અનુભવ થાય છે. અને સૂક્ષ્‍મ શરીરમાં અનાહત ચક્રમાં સ્પંદનો થવાને કારણે આ ક્રિયાથી અધિરાઈ નીકળી જાય છે અને ધીરજ સ્વભાવમાં ઘડાઈ જાય છે. નિરાશા, એકલતા અને નેગેટિવિટી પણ દૂર થાય છે.

બીજી એક્સરસાઈઝથી પેટની અંદર આવેલા લિવર, કિડની, યકૃત, જઠર વગેરે અવયવોનો મસાજ થાય છે અને એડ્રેનલ જેવી અગત્યની ગ્રંથિ કાર્યરત થવાથી ઍસિડીટી, ગેસ, કબજિયાત વગેરે ફરિયાદો દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓ દિવસમાં બે વાર કરી શકે છે જેનાથી ખૂબ જ ફાયદો થાય છે. નાભિના મણિપુર ચક્રમાં પ્રાણિસૃષ્ટિના સંસ્કારો હોવાથી સતત ઉત્તેજના રહ્યા કરે છે, તેને શાંત કરે છે અને અજ્ઞાત ભયને પણ દૂર કરે છે અને માનવીય સંવેદનાઓ કાર્યરત થાય છે.

ત્રીજી એક્સરસાઈઝથી કરોડરજ્જુ, મણકા, ગાદી અને ડોકમાં થતી તકલીફોમાં રાહત થાય છે અને શરીરમાં સાંધામાં જમા થયેલો આમવાત દૂર થાય છે. સાયટિકા, ઘુટણનો વા અને ડોકની તકલીફવાળા દિવસમાં બે વાર કરી શકે છે, જેથી કરોડરજ્જુમાં રહેલા ટેન્શન દૂર થાય છે. કરોડરજ્જુમાં સુષુમ્ણા નાડી પસાર થતી હોવાથી વૅક્યુમ ક્લિનરનું કામ કરીને કચરો સાફ કરે છે, તેથી જીવનમાં ખોટાં ખેંચાણો દૂર થાય છે અને સ્વભાવમાં સ્થિરતા અને સર્જનાત્મક શક્તિ વધે છે. ઈર્ષ્યા અને ક્રોધ દૂર થાય છે.

ચોથી એક્સરસાઈઝથી ફેફસાં, શ્વસનતંત્ર મજબૂત બને છે, દમ-અસ્થમાના રોગીઓ બે વાર કરી શકે છે. ત્વચાના રોગોમાં રાહત થાય છે અને મસ્ક્યુલર ટેન્શન દૂર થાય છે. નાડીઓનું થ્રી ફેઝ વાયરિંગ થાય છે, યાદશક્તિ સુધરે છે અને નકારાત્મકતા શમી જાય છે. ‍

પાંચમી એક્સરસાઈઝથી મન શાંત પડે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, લોહી શુદ્ધ બને છે, નકામા વાઇરસનો નાશ થાય છે, સ્વભાવમાં ઉશ્કેરાટ અને સમજ્યા વગર પ્રતિક્રિયા આપવાના વલણમાં ઘટાડો થાય છે.

છઠ્ઠી એક્સરસાઈઝથી ઈએનટીના રોગો એટલે કે નાક, ગળા અને કાનના રોગો દૂર થાય છે. થાઈરોડથી પેનક્રિયાઝ સુધીની અંત:સ્રાવી ગ્રંથિઓ પર અસર કરે છે. જીવનમાં સ્થિરતા અનુભવાય છે, અધિરાઈની ગાંઠ ઓગળીને કદાગ્રહ દૂર થાય છે.

સાતમી એક્સરસાઈઝ નાડીઓને શુદ્ધ કરે છે, બગડેલા જ્ઞાનતંતુઓને રીપેર કરે છે. સાતમી એક્સરસાઈઝ માત્ર દિવસમાં એક જ વાર કરવાની હોય છે. જેનાથી અનુક્રમે કુંડલિની શક્તિ જાગ્રત થાય છે.