
પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. રોપવે તૂટી પડતાં 6ના મોત મળતી માહિતી મુજબ, પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપ-વેનો તાર અચનાક તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી, આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.ગુડ્સ રોપવે તૂટવાની ઘટનાને લઈને પંચમહાલ એસપીએ જણાવ્યું હતું કે, ‘મટિરિયલ લઈ જતો રોપવે તૂટી પડ્યો હતો. ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે. હાલ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પવન અને વરસાદી સ્થિતિને લઈને પેસેન્જર રોપવે પણ બંધ કરવા જણાવ્યું છે. જેમાં જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.’


