
ગુજરાતમાં હાલમાં ચાલી રહેલ ભાજપના પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ વચ્ચે કૉંગ્રેસે આજે રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો છે, જેનું નામ આપવામાં આવ્યું છે – ‘વોટ ચોર – ગદ્દી છોડ અભિયાન’. આજે 3 ઓક્ટોબરથી શરૂ થયેલું આ અભિયાન 10 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચૂંટણીમાં થતી ગેરરીતિઓ, મતદાર યાદીમાં ખોટા નામો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો છે.
આ અભિયાનની માહિતી આપવા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, ‘દેશભરમાં ચૂંટણી પ્રણાલી અંગે શંકાઓ વધતી જતી હતી. હવે કોંગ્રેસે પુરાવાઓ સાથે બતાવ્યું છે કે મતદાર યાદીમાં મોટી ગેરરીતિઓ છે અને એનો લાભ ભાજપ લઈ રહ્યું છે.’ તેમણે આક્ષેપ કર્યો કે, “ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી છે અને આજે ભાજપની કઠપૂતળી બની ગયું છે.”અમિત ચાવડાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં માત્ર 84 બેઠકો પર જ 2.40 લાખ મતદારોની ચકાસણી હાથ ધરતા, 30 હજારથી વધુ મતદારો શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા માત્ર શરૂઆત છે. સમગ્ર રાજ્યમાં જો ગંભીરતાથી ચકાસણી થાય તો આ સંખ્યા હજી વધી શકે છે. આ જ ગેરરીતિઓને કારણે ચૂંટણી પરિણામો પ્રભાવિત થાય છે. જેથી કોંગ્રેસ પક્ષે પુરાવાઓ એકત્ર કરીને તે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની કવાયત શરૂ કરી છે.


