
શહેરની સુરત SOGએ અમરોલી વિસ્તારમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ પર છાપો મારી વિશાળ મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. 9000 કિલોથી વધુ નકલી ઘી, મશીનરી, રો મટીરીયલ સહિત અંદાજે ₹1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે. નકલી ઘીનો મોટો રેકેટ માધવ ડેરી અને આદિનાથ ડેરી પ્રોડક્ટના નામે બજારમાં નકલી ઘીનું વેચાણ થતું હતું. સુરતથી લઈ મહારાષ્ટ્રના નંદુરબાર સુધી આ નકલી ઘીનો સપ્લાય કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નકલી ઘી માર્કેટિંગ માટે અલગ અલગ માણસોની ટીમ બનાવવામાં આવી હતી, જે ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ, કેટરિંગ અને હોટેલ ઉદ્યોગમાં સસ્તા ભાવે આ નકલી ઘી સપ્લાય કરતી હતી.આરોપીઓએ નકલી ઘી બનાવવાની રીત ડીસામાંથી શીખી હતી. નકલી ઘી બનાવવામાં વનસ્પતિ તેલ સાથે એસ.એસ. કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘીને દાણાદાર અને સુગંધીદાર બનાવવા માટે અલગ અલગ કેમિકલ મિક્સ કરવામાં આવતા હતા, જેથી ગ્રાહકોને તે શુદ્ધ ઘી જેવું જ લાગે.


