
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે એક મોટું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર પર વાત કરતા આર્મી ચીફ જનરલએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર તો ટ્રેલર હતું, આખી પિક્ચર તો શરુ પણ નથી થઈ. છેલ્લા એક વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે અને રાજકીય નેતાઓ વચ્ચે વાતચીત થવાથી સંબંધોમાં ઘણો સુધારો થયો છે.’ તેમણે સ્વીકાર્યું કે સામાન્ય સ્થિતિ આવવાથી ફાયદો થશે.
સોમવારે દિલ્હીના માણેક શો સેન્ટર ખાતે ડિફેન્સ ડાયલોગ કાર્યક્રમમાં હાજર રહેલા થલ સેનાધ્યક્ષ(COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ‘ભારત કોઈપણ પરિસ્થિતિમાં લાંબી લડાઈ માટે તૈયાર છે અને દુશ્મન ભલે પાકિસ્તાન હોય કે તેના સમર્થિત આતંકવાદીઓ, સેના દરેક ખતરાનો જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન ભલે પડદા પાછળ છુપાઈને આતંકવાદને ગમે તેટલો પ્રોત્સાહન આપે, ભારતીય સેના તેની દરેક હરકત પર નજર રાખે છે.’ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને લઈને જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘સિંદૂર 2 નવી ચેતવણી છે. પાણી અને લોહી એકસાથે ન ચાલી શકે. જો તમે બ્લેકમેઇલ કરશો, તો અમે શાંત નહીં બેસીએ. હજુ તો મૂવી શરુ પણ નહોતી થઈ અને પાકિસ્તાનને 88 કલાકમાં જ સમજાવી દેવામાં આવ્યું.’


