
અમદાવાદ: આખરે રાજ્ય સરકારે વિવાદિત સેવનથ ડે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરતા આજથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓએ શાળાનો વહીવટ હાથમાં લઈ લીધો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તેવી પ્રવૃત્તિ નહીં કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સ્ટાફને કડક સૂચના આપી છે.
બે મહિના અગાઉ સેવનથ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી. જે બાદ ભારે હોબાળો થતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા. સરકારે નિમેલી તપાસ કમિટીએ કરેલી તપાસમાં સ્કૂલના બિલ્ડિંગ સહિત અલગ અલગ મુદ્દે 13 જેટલી ખામીઓ સામે આવી હતી. આખરે સરકારે આ સ્કૂલને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો, જેને તાત્કાલિક અસરથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલનો વહીવટ હાથમાં લઈ લીધો છે.અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે વાતને ધ્યાનમાં રાખીને જ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સેવનથ ડે સ્કૂલનો વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને જિલ્લા શિક્ષણાધિકારીએ અન્ય બે અધિકારીની વહીવટદારની નિમણૂક કરી છે. આ બંને વહીવટદાર સવાર અને બપોરની પાળીમાં શાળાએ અચૂક હાજર રહેશે. શાળાઓ પર થતી પ્રવૃત્તિ પર વહીવટદાર બાજ નજર રાખશે. સ્કૂલની તમામ વહીવટી કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી કરશે.


