
એઆઈનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ઈજનેરી-સાયન્સમાં વિદ્યાર્થીઓને એઆઈ અલગથી કોર્સ તરીકે ભણાવાવામા આવી રહ્યો છે પરંતુ સ્કૂલ લેવલે પણ વિદ્યાર્થીઓને એઆઈની સમજ આપવાની જરૂર છે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક-2023નો અમલ કરવાનું શરૂ કરવામા આવી રહ્યું છે ત્યારે એનસીઈઆરટી દ્વારા સૌપ્રથમ ધો. 11-12માં એઆઈને એક અલગ વિષય તરીકે અન્ય વિષયોના બાસ્કેટ સાથે આપવાનું નક્કી કરાયુ છે. એઆઈનો આખો અભ્યાસક્રમ જ તૈયાર કરવા માટે એક કમિટી પણ રચાઈ છે. એનઈપી મુજબ નવા ઈમર્જિંગ સબ્જેકટ-ટેકનોલોજીને અભ્યાસક્રમમાં ઈન્ટિગ્રેટેડ કરવાની જોગવાઈને અનુરૂપ ધો. 9થી 12ના પુસ્તકો પણ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાશે.એનસીઈઆરટી પાસેથી મળતી માહિતી મુજબ હાલ એનઈપી મુજબના નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબના પુસ્તકો તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં 2026-27થી પ્રથમ તબક્કામાં ધો. 9 અને ધો. 11 માટેના નવા પુસ્તકો આવશે. જ્યારે 2027-28થી ધો. 10 અને ધો. 12 માટેના નવા પુસ્તકો આવશે. જેમાં એનઈપી મુજબના કેટલાક નવા ચેપ્ટર્સ અને નવા વિષયો સાથે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.


