
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઈન્સ્ટાગ્રામ જોવાની અને મોનિટર કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, શેર કે કોમેન્ટ કરી શકશે નહીં.ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સૈનિકોને જાગૃતિ અને માહિતી મેળવવાના હેતુથી સોશિયલ મીડિયા કન્ટેન્ટ માત્ર જોવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે સૈનિકો કોઈપણ પોસ્ટ પર લાઈક, શેર કે કોમેન્ટ કરી શકશે નહીં.તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ‘ચાણક્ય ડિફેન્સ ડાયલોગ’ દરમિયાન સૈનિકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, આજની ‘જનરેશન-Z’ના યુવાનો સેનામાં જોડાવા માંગે છે, પરંતુ સેનાના શિસ્ત અને સોશિયલ મીડિયા વચ્ચે એક વિરોધાભાસ દેખાય છે. આના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘આ ખરેખર એક મોટો પડકાર છે. જ્યારે યુવાન કેડેટ્સ NDAમાં આવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના રૂમમાં છુપાવેલા ફોન શોધે છે. તેમને એ સમજાવતા ત્રણથી છ મહિના લાગી જાય છે કે ફોન વગર પણ જિંદગી છે.’


