
ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભા હવે માત્ર શાસનનું કેન્દ્ર નહીં, પરંતુ રાજ્યની પ્રાચીન અને સમૃદ્ધ કલા સંસ્કૃતિનો જીવંત અરીસો બની ગઈ છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલા બજેટ સત્ર પૂર્વે વિધાનસભા સંકુલને ગુજરાતની પરંપરાગત હસ્તકલા અને કારીગરીથી શણગારવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને ‘ગરવી ગુર્જરી'(GSHHDC)ના સંયુક્ત પ્રયાસોથી અનેક કારીગરોની મહેનતને આ ગૌરવવંતુ મંચ મળ્યું છે.વિધાનસભાની ભીંતો પર ગુજરાતના રંગો વિધાનસભા સંકુલમાં આવતા પ્રતિનિધિઓ અને મુલાકાતીઓ માટે ત્રણ મુખ્ય લોકકળાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.છોટા ઉદેપુરના રાજ્ય પુરસ્કાર વિજેતા કલાકાર અર્ચનાબેન રાઠવા દ્વારા વારલી પેન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ કલા દ્વારા પ્રાચીન રાજસભાથી લઈને આજની આધુનિક વિધાનસભા સુધીની વિકાસયાત્રા અને ગ્રામીણથી શહેરી પરિવર્તનને દૃશ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે.કચ્છના ભૂંગા ઘરોની શાન ગણાતી આ કળાને ગીરીશભાઈ પરમાર દ્વારા વિધાનસભાની દિવાલો પર જીવંત કરવામાં આવી છે. મુલતાની માટી અને રંગીન કાચના ઉપયોગથી તૈયાર થયેલી આ કલાકૃતિઓ સંકુલમાં આવતા દેશ-વિદેશના અધિકારીઓ માટે વિશેષ આકર્ષણ જમાવશે.અમદાવાદની વિશ્વવિખ્યાત કલમકારી કળા ‘માતાની પછેડી’ને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંતભાઈ ચિતારા અને તેમના પુત્રી મિત્તલ ચિતારા દ્વારા કંડારવામાં આવી છે. વર્ષો જૂની આ હસ્તકલાને વિધાનસભા જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ સ્થાન મળતા કારીગર સમુદાયમાં ગર્વની લાગણી છે.રાજ્યના હસ્તકલા નિગમની બ્રાન્ડ ‘ગરવી-ગુર્જરી’એ આ પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કારીગરોની પસંદગીથી લઈને તેમના કૌશલ્યના પ્રદર્શન સુધીના તમામ તબક્કે માર્ગદર્શન પૂરું પાડીને સ્થાનિક કલાને વૈશ્વિક ઓળખ અપાવવાનું કામ કરવામાં આવ્યું છે.હજારો હસ્તકલા કારીગરોને પોતાનું કૌશલ્ય આગળ વધારવા માટે પ્રેરણાબળ મળશે. લોકશાહીના પવિત્ર મંદિરમાં લોકકલાને સ્થાન આપીને સરકારે ભાતીગળ વારસાને જીવંત રાખ્યો છે. બજેટ સત્ર દરમિયાન આવનારા અતિથિઓ ગુજરાતના શાસન સાથે તેની સંસ્કૃતિની ઝાંખી પણ માણી શકશે. વિધાનસભા એ પ્રજાના પ્રતિબિંબ સમાન છે, અને હવે ત્યાંની કલા કારીગરોના કૌશલ્યને વાચા આપતી જોવા મળશે.


