
બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને બહુમતી મળી છે. આ જીત પર પીએમ મોદી સહિત તમામ રાષ્ટ્રોના વડાઓએ BNPના તારિક રહેમાનને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, આ જીત (તારિક રહેમાન) તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના વિશ્વાસને દર્શાવે છે. સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટમાં પીએમ મોદીએ આગળ લખ્યું કે, બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPને નિર્ણાયક જીત અપાવવા માટે તારિક રહેમાનને હ્રદયથી શુભકામના પાઠવું છું. આ જીત બાંગ્લાદેશના લોકોનો પોતાના નેતૃત્વ પર ભરોસો દર્શાવે છે. તેમણે કહ્યું કે, ભારત એક લોકતાંત્રિક અને પ્રગતિશીલ બાંગ્લાદેશને સહયોગ કરતો રહેશે અને બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવાની આશા રાખે છે. તેમણે લખ્યું કે, ભારત એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સૌને સાથે લઈને ચાલનારા બાંગ્લાદેશના સમર્થનમાં ઊભો રહેશે. હું આપણા ઘણા પ્રકારના સંબંધોને મજબૂત કરવા અને આપણા સમાન વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા માટે રાહ જોઈ રહ્યો છું.આ પહેલા ચૂંટણીમાં મોટી જીત મળ્યા બાદ BNPએ કહ્યું કે, તે સરકાર રચવા માટે તૈયાર છે. પોસ્ટ શેર કરતા BNPના મીડિયા સેલે કહ્યું કે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP મોટાભાગની સીટો જીતીને સરકાર બનાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પદથી હટ્યા બાદ બાંગ્લાદેશમાં આ પહેલી મોટી ચૂંટણી હતી. BNPના તારિક રહેમાન લગભગ 17 વર્ષ બાદ સ્વદેશ પાછા આવ્યા અને સત્તામાં જોરદાર રીતે પાછા ફર્યા. ભારતે તેમની જીત પર આ સંકેત આપ્યો છે કે, નવી સરકાર સાથે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરશે. બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી યોજાઈ, જે બાદ કાઉન્ટિંગ શરૂ થયું હતું. અત્યાર સુધી જે જાણકારી મળી છે તે મુજબ, તારિક રહેમાનની BNPને 299 સીટોમાંથી 209 સીટો પર જીત મળી છે. આ ઐતિહાસિક જીત પર તારિક રહેમાન દેશની જનતાને અપીલ કરી છે કે, તેઓ ઉજવણી ના કરે, પરંતુ ખાલિદા જિયાને યાદ કરે અને જુમ્માની નમાઝ અદા કરે.


