
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન “જલ મહોત્સવ 2026″ની શરૂઆત થઈ ગઈ છે. આ મહોત્સવ 8 માર્ચથી 22 માર્ચ સુધી ચાલશે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર જળ અર્પણ દિવસની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી, જેને “સુજલામ શક્તિ દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થાને સમુદાયના હાથમાં મજબૂત બનાવવાનો અને જળ જીવન મિશન હેઠળ પાણી સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામમાંથી આ મહોત્સવનો શુભારંભ કર્યો. આ કાર્યક્રમમાં ગામની મહિલાઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંત્રીએ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી, જ્યાં જળ જીવન મિશનની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવી હતી. તેમણે પાણીની ગુણવત્તા પરીક્ષણ કરતી મહિલા જૂથો સાથે વાતચીત કરી અને ફિલ્ડ ટેસ્ટ કીટ (FTK)નો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોયું હતું.
જળ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠાની યોજનાઓને ગ્રામ પંચાયત અને ગ્રામ્ય પાણી તથા સ્વચ્છતા સમિતિ (VWSC)ને ઔપચારિક રીતે સોંપવામાં આવી હતી. આ પ્રતિકાત્મક કાર્યવાહીથી સમુદાયને પોતાની પાણી વ્યવસ્થાની જવાબદારી અને માલિકીનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. ગામના પાણીના માળખાગત સ્થળોએ જલ બંધન પ્રવૃત્તિ કરવામાં આવી, જ્યાં લોકોએ પવિત્ર દોરા બાંધીને જળસ્ત્રોતોના રક્ષણ અને જાળવણી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


