
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમાજ અને પરિવાર મામલે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓને સંતાનોના, ખાસ કરીને દીકરીઓના બદલાતા વર્તન પર નજર રાખવા અને સાવચેતી રાખવાની ખુબ જ જરૂરી છે. આનંદીબેન પટેલે વાલીઓને સંબોધતા ઉદાહરણ આપતા કહ્યું કે, “જો તમારી 8-10 વર્ષની દીકરી અત્યાર સુધી તમારી બાજુમાં બેસીને મામા, કાકા કે મિત્રો સાથે ફોન પર વાત કરતી હોય, પણ અચાનક તે ફોન આવતા જ બાજુના રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરી દે, તો તમારે સાવધ થઈ જવું જોઈએ. આમાં શંકા નથી પણ સાવચેતી છે.” તેમણે વાલીઓને સંતાનોના મિત્ર વર્તુળ પર નજર રાખવા અને તેઓ માર્ગ ન ભટકે તે જોવાની જવાબદારી સમજાવી હતી.પોતાના રાજકીય અનુભવો વાગોળતા તેમણે ચૂંટણી ખર્ચના આંકડાઓથી સૌને ચોંકાવી દીધા હતા. આનંદીબેને જણાવ્યું કે, જ્યારે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડતા ત્યારે તેમનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ રહેતો હતો. અન્ય રાજ્યોમાં આ આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે. તેમણે ઉમેર્યું કે ઘાટલોડિયા જેવી બેઠકો પર ખર્ચ એટલો ઓછો થતો કે કલેક્ટર પણ તે માનવા તૈયાર ન થતા. આ સફળતાનું રહસ્ય તેમણે કાર્યકર્તાઓ સાથેનો આત્મીય સંબંધ ગણાવ્યો હતો.
