સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા આદ્યશક્તિ ને પ્રાર્થના કરીએ.
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આમ તો આજે મંગળવાર અને ગીતા જ્ઞાનનો દિવસ, પણ અષાઢ નવરાત્રી હવે પૂરી થવામાં છે, અને અષાઢ નવરાત્રીને ભલે ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે, પણ મા આદ્યશક્તિ અંબાની કોઈપણ નવરાત્રી હોય એ વિશ્વ મંગલ માટે જ અસ્તિત્વમાં આવી છે, તો આપણે પણ આજે શક્તિનાં ગુપ્ત ભાવ પર થોડું કંઈક વિશિષ્ટ ચિંતન કરીશું. સનાતનની પરંપરા મુજબ વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે, મહા, ચૈત્ર, અષાઢ, અને આસો. મહા મહિનાની અને અષાઢ મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. સામાન્ય રીતે મહા મહિનાની અને અષાઢ મહિનાની આ ગુપ્ત નવરાત્રી તંત્ર માર્ગના સાધકો માટે છે, અને તેઓ વિશિષ્ટ સિદ્ધિ માટે આ નવરાત્રીમાં અનુષ્ઠાન કરતાં હોય છે. ગુપ્ત નવરાત્રિમાં મા કાલી, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, મા ધુમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે. અષાઢ સુદ એકમને દિવસે મહાકવિ કાલિદાસનો જન્મ દિવસ માનવામાં આવે છે, અને આપણે સૌ જાણીએ છીએ કે કાલિદાસને મહામૂર્ખની ઉપાધિ મળી હતી, અને પછી એ મા કાલીની ઉપાસના કરી મહાકવિ બન્યાં, એટલે અષાઢી નવરાત્રી એ મૂર્ખ માંથી મહાન બનવાની સીડી છે, એમ કહી શકાય. પણ આપણાં જેવાં સંસારીઓ માટે તો સિદ્ધિ નહીં પણ શુદ્ધિનું મહત્વ હોવાથી, સીધાસાદા પાઠ પૂજા કરીને એને ઉજવવી જોઈએ, કારણકે આજકાલ સમાજ સુખી હોવા છતાં શાંત નથી. મા દુર્ગાનું કોઈપણ સ્વરૂપ હોય પણ, તત્વતઃ તે શક્તિ પ્રદાન કરનાર છે, અને આ ઘોર કળિયુગમાં માત્ર સ્થૂળ શક્તિથી કામ નથી ચાલતું, એની માટે આંતરિક ભાવ શક્તિ વગર સુખ શાંતિ મળતાં નથી. તો ચાલો આ અષાઢી નવરાત્રી એ સિદ્ધિ નહીં, પણ શુદ્ધિ માટે કરીએ મા દુર્ગાને આહવાન! જે આપણાં આંતરિક મનોભાવને શુદ્ધ કરીને આપણાં જીવનની દિશાને એક નવો મોડ આપે, જ્યાં શાંતિનો બહોળો વ્યાપ હોય!
મા અષાઢી અંબા ક્યારેક વર્ષા રુપે વરસીને, તો ક્યાંક લીલીછમ્મ પ્રકૃતિ રુપે, તો ક્યાંક પૃથ્વીને રસાતાળ કરીને આપણું પોષણ કરે છે. બાહ્ય પ્રકૃતિ શક્તિનું એક સ્વરૂપ છે જ, પરંતુ આંતર બાહ્ય પ્રકૃતિનું પોષણ કરનાર જો કોઈ તત્વ હોય તો એ શક્તિ છે! અને એ રીતે પોષણ કર્તા ઈશ્વર તત્વ પણ જો શક્તિ વિહિન હોય તો સર્જન શક્ય નથી! જૈવિક બાહ્ય વિશ્વમાં તો શક્તિનાં ઘણાં રુપ છે, અને એ આપણાં રોજિંદા જીવનનો હિસ્સો છે જ! પરંતુ ગુપ્ત નવરાત્રિમાં આપણા માનસમાં પનપતા ગુપ્ત ભાવ થકી પણ એક ભાવ વિશ્વનું નિર્માણ થાય છે, અને એ ભાવ જ તેની આંતરિક શક્તિ છે. આપણે એ રીતે ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત ભાવને શુદ્ધ કરી, આપણી ભાવ શક્તિને સમૃદ્ધ બનાવી શકીએ.
માનવી માટે આજે રૂપિયા પૈસા કમાવા એ એટલું મુશ્કેલ નથી! પરંતુ શાંતિ મેળવવી એ બહુ દુર્લભ છે! અને શાંતિ જ આપણાં આંતર ભાવ વિશ્વની સૌથી મહત્વની ગુપ્ત શક્તિ છે! અને એવું પણ નથી કે શાંતિ સંન્યાસી માટે સાવ સહેલી ઉપલબ્ધિ છે, તો સંસારી માટે તો ક્યાંથી હોય જ! મનુષ્ય સમાજિક પ્રાણી છે અને એની માટે શારિરીક જેમ માનસિક પોષણ પણ જરૂરી છે. શારિરીક પોષણ માટે એને આહાર ની જરૂર પડે અને આહાર દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય કે જેને સીધાસાદા શબ્દોમાં આપણે બળ કહીએ છીએ, અને એનાથી એ ક્રિયા, કાર્ય, અને કર્મ કરે! તેમજ શારીરિક વૃદ્ધિ પણ તેમાંથી થાય. એટલે કે શક્તિ બુદ્ધિ અને વિદ્યા, શક્તિનાં એ ત્રણે સ્વરૂપ શરીર માટે જરૂરી છે, પરંતુ પૂરતાં એશોઆરામ અને સંપૂર્ણ પણે પોષણ મળતું હોવા છતાં, એને જરુરી પોષક ભાવ એટલે કે લાગણી મળે નહીં તો એ ખુશ રહી શકતો નથી, કોઈવાર મનોરોગી બની જાય, વિકૃત બને , મંદ બુદ્ધિ પણ બને! એટલે કે પાગલ થઇ શકે!
લાગણી કે પ્રેમનાં આ ભાવ એટલે કે દયા, મૈત્રી, પ્રિતી, ક્ષમા, અહિંસા, ભક્તિ અને કરુણા અને શાંતિ, આ બધાં જ ભાવ મનુષ્યની આંતરિક તાકાત છે, અને જો એનું પૂરતું પોષણ થયું હોય તો જ, એની ભીતરી અવસ્થા ભાવથી ભીજાયેલી ભીની ભીની રહે! અને તો જ એમાં પ્રેમનું એવમ ભક્તિનું અંકુરણ ફૂટી શકે! અને તો જ આપણને પરમની પ્રાપ્તિ થાય! એકડા ને મીંડું કરીને ઘૂંટો કે અન્ય રીતે પણ મહત્વનો એકડો છે, એમ મનુષ્ય જીવનની સાર્થકતા આત્મ બોધ કે આત્મ દર્શનમાં સમાયેલી છે, આત્મ સાક્ષાત્કાર વગર બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ બોધ મળી શકતો નથી. માનવીને સામાન્ય જીવનમાં નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે છે, અને ક્યારેક વધુ તકલીફ આવે ત્યારે એ રડી પડે છે, તો ક્યારેક એ જ રીતે અન્યની તકલીફ પણ આંસુ આપી જાય છે, વેદના ના હોય કે સંવેદના નાં આ આંસુ એની ભીતરી ધરાને ભીની ભીની રાખે છે, અને એમાં હરિ નામ સ્મરણનું બીજ તરત અંકુરિત થઈ જાય! અને કોઈ બુદ્ધ પુરુષ કે સદગુરુનાં ચરણ સેવ્યાં હોય તો, સત્ય, પ્રેમ અને કરુણા ની ફસલ પણ પાકે છે. રામ એટલે સત્ય, કૃષ્ણ એટલે પ્રેમ અને કરુણા એટલે શંકરનું શુદ્ધ સ્વરૂપ છે, અને આ ભાવ ત્રીવેણી સાધકના જીવનને સદા પવિત્ર રાખે છે. મૈત્રી વગર પ્રિતી થઈ શકે નહીં! અને રામચરિત માનસમાં વાનર રાજ સુગ્રીવ ભગવાન રામ સાથે મૈત્રી ભાવે જોડાયેલ છે! અને પરિણામ આપણે જાણીએ છીએ કે રાવણ કુળનો નાશ થાય છે. એ જ રીતે શ્રીકૃષ્ણ અને અર્જુન પણ સખા ભાવે જોડાયેલ છે, અને આપણે જાણીએ છીએ કે અર્જુન ગમે તેટલો મોટો ધનુર્ધર કેમ ન્હોય! કુરુક્ષેત્રનું યુદ્ધ શ્રીકૃષ્ણ વગર જીતવું શક્ય જ નહોતું! સુદામા અને કૃષ્ણ વચ્ચે પણ મૈત્રી હતી, અને એનું દારિદ્રય દૂર થયું. આખું જીવન પુરું થાય તોય શાંતિ મળતી નથી, એનું કારણ આ ગુપ્ત ભાવની ગેરહાજરી તો છે જ, પરંતુ બીજું કારણ ભીતરમાં સંઘરવા જોઈએ નહીં એવાં બીજાં કેટલાંય ભાવ નો ભરાવો છે! જેમ વસ્તુનો અપરિગ્રહ જરુરી છે, એમ ઈર્ષા, નિંદા, ક્રોધ,લોભ લાલચ, રાગ દ્વેષ, હિંસા, વેર,બદલો, આગ્રહ નિગ્રહ અને દુરાગ્રહ કે પૂર્વ ગ્રહ આવાં નકામાં ભાવ આપણી શાશ્વત શાંતિને ડહોળી નાખે છે, અને જીવન જાણે ચૂલે ચડ્યું હોય એમ સતત તપતું રહે છે! જે આપણને તો દઝાડે જ છે, પણ નજીકનાં ને પણ દાઝવાનો ભય રહે છે એટલે કે ઉતારી પાડવું કે અત્યાચાર કરીને દાબમાં રાખવા કોશિશ કરવી! અને તેથી કોઈ નજીક આવતું નથી! ભીતરમાં અહિંસા અને કરુણાનો ભાવ વધે નહીં, ત્યાં સુધી શાંતિ અનુભવી શકાતી નથી! તો આ અષાઢ નવરાત્રી એ ભીતરી ધરાને, સદા લીલીછમ્મ રાખતાં સત્ય, પ્રેમ, અને કરુણાની ત્રીવેણી વહેતી રહે એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
