
ચૈત્રનાં ઉત્સવ વાળા 15 દિવસ સમાપ્ત થયાં, એટલે કે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાઈ ગયો! વૈશાખ જેવી અત્યંત ગરમીમાં માવઠાંની આગાહીની પણ વરાળ થઈ ગઈ. માર્ચ પૂરો થતાં હિસાબી વર્ષનાં જમા ઉધાર પણ પત્યા! જોકે રુપિયા પૈસા હોય કે લાગણી, માનવી માંથી દેવાની માનસિકતા ઘટતી જાય છે, અને આવાં સમયે કોઈ એવું યાદ આવી ગયું, કે જેણે દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ગાંધીજીનાં ચરણે પોતાનું આખું રજવાડું આપી દીધું. ગઈકાલે બીજી એપ્રિલ હતી, અને બીજી એપ્રિલનો દિવસ ભાવનગરનાં રાજા કૃષ્ણકુમારજીની પુણ્યતિથિનો દિવસ છે, માત્ર 52 વર્ષની ઉંમરમાં જ એમણે આ ધરતી પરથી વિદાય લીધી હતી. પરંતુ એમના જીવનનો શ્રેષ્ઠ જીવનકાળ આપણને સૌને બતાવે છે કે, શ્રેષ્ઠ જીવવા માટે માત્ર લાંબુ આયુષ્ય જરૂરી નથી! સમયની એક એક પળ એમણે પ્રજાનાં હિત માટે અથવા તો દેશને સમર્પિત કરી દીધી!
રાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરનાં રાજા ભાવસિંહજી અને નંદકુંવરવાનાં પુત્ર હતા! અને એમનો જન્મ 2 જી મે 1912 માં થયો હતો. 1948 માં જ્યારે આઝાદ દેશને એક કરવા માટેનું બીડું સરદાર વલ્લભભાઈ પટેલે ઉઠાવ્યું, અને રજવાડાઓને પોતાના રજવાડા સરકારને સોંપી દેવા સમજાવ્યું, ત્યારે સૌથી પહેલાં વહેલાં ભાવનગરનાં રાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું ગાંધીજીનાં ચરણે ધરી દીધું હતું! માત્ર 900 ગામ સાથે રાજની સીમાઓ જ નહીં પણ પોતાની તમામ સંપત્તિ પણ એમણે ભારત સંધને સમર્પિત કરી દીધી હતી, એમાં પોતાની ધર્મ પત્નીનાં પિયરથી આવેલ દર દાગીનાની ભેટ પણ એમણે દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કરી દીધી હતી, અને હાથી ગયો તો હવે અંબાડી માં મોહ શું કામ રાખવો ! આવું સત્ય સમજાવનાર એ સમયના એમનાં કુશળ વહીવટકર્તા દિવાન પ્રવાશંકર પટણીને કેમ ભૂલી શકાય! અને છતાં સરકાર હજી રાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરી શકી નથી, એ આશ્ચર્યની વાત છે!
રજવાડું સમર્પિત કર્યા પછી રાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસનાં ગવર્નર તરીકે નિયુક્ત થયાં, પણ એમણે માત્ર 1 રુપિયો માસિક આમદની સ્વીકારી હતી, અને એ રીતે દેશની સેવા કરી! રાજા વિજયરાજ સિંહજી એ
રાજા કૃષ્ણકુમારસિંહજી વિશે એવી ઘણી વાત કરી કે જે લોકો સુધી પહોંચી પણ નથી. મદ્રાસ નાં ગવર્નર તરીકે નિયુક્ત થયા બાદ ભાવનગરથી એક ખેડૂત ત્યાં પહોંચ્યા અને દરવાન સાથે એમની રાજા કૃષ્ણકુમારસિંહજી ને મળવાની રકઝક એમનાં કાન સુધી પહોંચી! મુલાકાત દરમિયાન ખેડૂતે જણાવ્યું કે એનાં બળદો વૃદ્ધ થઈ ગયા છે અને હવે ખેતર ખેડી શકે એમ નથી! માટે બળદની એક જોડ અપાવવા કહ્યું! એમણે કહ્યું કે હવે હું ભાવનગરનો રાજા નથી! ત્યારે ખેડૂત એ કહ્યું કે એ હું કંઈ જાણું નહીં, અમારા તો તમે જ માઈબાપ! અને એમણે એને બળદની જોડી લઈ આપી!
ચૈત્ર સુદ નોમનાં દિવસે ભગવાન રામનો જન્મ થયો, અને યથા સમયે અયોધ્યામાં રામરાજ્યની સ્થાપના થઈ! રામ રાજ્ય કોને કહેવાય એ સંદર્ભે આપણે ઘણીવાર ચિંતનમાં વાત કરી ચૂક્યા છીએ! પરંતુ મને કહેવા દો કે રાજા કૃષ્ણકુમારસિંહજીનું શાસન બિલકુલ રામરાજ્યને મળતું આવે છે! એમણે માત્ર 7 વર્ષની વયે જ ગાદી સંભાળી હતી, અને રાજ રજવાડાનાં દૂષણોથી બચીને પ્રજાનાં હિત માટે ઘણાં સારાં કાર્યો કર્યા છે. રાજા કૃષ્ણકુમારસિંહજી એ શિક્ષણ, આરોગ્ય, અને સિંચાઇ જેવાં પ્રજા હિત માટેનાં મહત્વનાં કાર્યો કર્યા, અને એ આજે પણ ભાવનગરમાં જોવાં મળે છે, આ ઉપરાંત ગ્રામ પંચાયત પણ એ સમયથી શરૂ થયું. રાજા કૃષ્ણકુમારસિંહજી નામે યુનિવર્સિટીની સ્થાપના થઈ, અને એમાંથી જ મેં બીએસઇની ડીગ્રી લીધી. કન્યા શાળા માટે માતા નંદકુવરબા નામની શાળા શરૂ કરી અને ધોરણ 10 સુધી એ શાળામાં મેં પણ અભ્યાસ કર્યો છે! આજે તો હવે નંદકુંવરબા કોલેજ પણ શરૂ થઈ છે. ભાવનગરનું ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરનાં રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં, પરંતુ માળનાથનાં ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ, સાથે ભાવનગર વાસીઓ માટે ગૌરવરૂપ અને આશીર્વાદ રૂપ પણ છે! બોરતળાવ માટે ગંગા શંકર ઓઝા નું નેક નાગર નામ પણ જોડાયેલું છે. તખ્તસિંહજી હોસ્પિટલ, પીલ ગાર્ડન નામે બગીચો, તાજ મહેલની ઝાંખી કરાવતી ગંગા ડેરી! શહેરની મધ્યમાં આવેલ તખ્તેશ્વર વગેરે ભાવનગર શહેરને રાજ પરિવાર તરફથી મળેલ ભેટ છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભારતના એકમાત્ર એવા રાજા હતાં કે જે પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે.
પ્રજાનું કલ્યાણ થાઓ આ સૂત્રને જીવન પર્યંત નિભાવનાર પ્રજા પ્રેમી રાજા કૃષ્ણકુમારસિંહજી અને એમના પિતા ભાવસિંહજીને આજે પણ ભાવનગર વાસીઓ ખૂબ જ આદર અને શ્રદ્ધા પૂર્વક યાદ કરે છે, રાજા ભાવસિંહજી વિશે વાત કરતાં વિજયરાજ સિંહજી એ કહ્યું હતું કે એકવાર નિલમબાગ પેલેસ ખાતે એ બેઠા હતાં અને બહારથી આવી એક પત્થર એમનાં માથે પડ્યો, પણ વાગ્યું નહીં! બહારથી પત્થર ફેંકનાર ને બોલાવ્યો અને કારણ પુછ્યું તો એણે કહ્યું કે મને બહુ ભૂખ લાગી હતી એટલે બોરડી માંથી બોર ખેરવતો હતો, અને રાજા ભાવસિંહજી એ પુછ્યું કેટલાં બોર મળ્યાં? એમણે કહ્યું એક મુઠ્ઠી, એમણે સિપાહીને કહ્યું એમને એક મુઠ્ઠી સોનામહોર આપી! બધાએ કહ્યું કે એને તો દંડ આપવો જોઈએ! ત્યારે એમણે કહ્યું કે પત્થર મારવાથી એક બોરડી એને એક મુઠ્ઠી બોર આપે, તો હું તો એનો રાજા કહેવાઉં! રાજા ભાવસિંહજી ને ઘરે સંતાનનો જન્મ થાય એટલે એમનાં દિવાન પ્રભાશંકર પટ્ટણી એ દાઢી ન કરવાની બાધા રાખી હતી, ત્યારબાદ પુત્ર જન્મ થતાં, એનું નામકરણ કરવા સુરતથી જ્યોતિષ ને તેડાવ્યા હતા! અને એમણે પ્રુત્ર પ્રજાવત્સલ થશે અને કૃષ્ણકુમારસિંહ નામ સૂચવ્યું, પીંગળશી બાપુ એ હાલરડું લખ્યું હતું. બ્રીટીશરો સાથે પણ એમનો સારો વ્યવહાર હતો,એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યાં હતાં.19 મી સદીનાં ઉત્તરાર્ધમાં, ભાવનગર રાજ્યમાં રેલ્વેનું નિર્માણ થયું હતું, અને ભાવનગર કેન્દ્ર સરકારની સહાય વિના તેની રેલ્વે સિસ્ટમનું નિર્માણ કરવામાં સક્ષમ હતું, જેનો ઉલ્લેખ ભારતના શાહી ગેઝેટરમાં થયો હતો. આમ 52 વર્ષમાં 46 વર્ષનો એમનો સોનેરી શાસનકાળ ભાવનગર વાસીઓ આજે પણ યાદ કરે છે!
ઘણીવાર એવું લાગે કે આપણાં નાનાં રજવાડાંના રાજાઓ એ એમની રૈયત માટે જે કાર્ય કર્યું હતું, રામરાજ્યની જેમ રૈયત રાજાને પોતાની તકલીફો જણાવતી અને એક બાપ જેમ રાજા એ તકલીફ દૂર કરવાં કોશિશ કરતા! પણ સરકારમાં દરેક કૃષ્ણકુમારસિંહજી જેવા પ્રજા પ્રેમી શાસકો હોતા નથી! લોકતંત્રના નેતાઓ માંથી મારી પ્રજા જેવી ભાવના લુપ્ત થતી જાય છે! કારણ કે શાસક વરણ થી,કે કરમ થી એક પણ રીતે સાચો ક્ષત્રિય નથી હોતો! અને આ કારણથી રામરાજ્ય થતાં થતાં રહી જાય છે. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
