
અનાશ્રિતઃ કર્મફલં*” એટલે કર્મફલનો આશ્રય લીધાં વગર.. સમયનાં આ દોરમાં જે કંઈ 20/30% કર્મ થઈ રહ્યું છે, એ બધું કર્મફલ માટે જ થઈ રહ્યું છે, બાકી તો બધું ખુદનાં ભોગ માટે જ થાય છે, અને ભોગની ભૂખ એવી છે કે, બધું જ સ્વાહા થઈ જાય છે, પણ ભૂખ મટતી નથી.
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે મંગળવાર એટલે ગીતા જ્ઞાનનો દિવસ. અનાશ્રિતઃ કર્મફલં કાર્ય કર્મ કરોતિ યઃ, સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન સક્રિયઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં આત્મસંયમ યોગ નામનાં છઠ્ઠા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે કે, જે માણસ કર્મફળનો આશ્રય લીધાં વગર કરવા યોગ્ય કર્મ એટલે કે કર્તવ્ય કર્મનું આચરણ કરે છે, તે સંન્યાસી અને યોગી બંનેની ઉપલબ્ધિ મેળવ છે, જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનાર સંન્યાસી નથી, અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી નથી કહેવાતો. છઠ્ઠા અધ્યાયનો આ પહેલો જ શ્લોક છે! શ્લોકનો ભાવાર્થ આપણે જોયો એમ સાવ સીધાસાદો છે! એમાં કોઈ આંટીઘૂંટી નથી! મને ઘણીવાર વિચાર આવે કે ભગવાન શ્રીકૃષ્ણે ભગવત્ ગીતા અર્જુનને સંબોધીને જ શું કામ કહી ? બીજાં ઘણાં યોગ્ય પાત્ર હતાં, કે જેની આગળ એ ભગવત્ ગીતાનું જ્ઞાન પેશ કરી શક્યા હોત! અથવા તો 700 શ્લોક માંથી અધ્યાય મુજબ વિભાગ પાડી શક્યા હોત! એટલે જ્ઞાન યોગની વાત યુધિષ્ઠિરને કરી હોત, કર્મની વાત ભીમને કરી હોત! એ રીતે અર્જુન, નકુલ, અને સહદેવ એમ કરી શક્યાં હોત, અરે કર્ણ કે અસવસ્થા માં કે પછી વિદુર અને દ્રોણાચાર્ય વગેરે વગેરે! પરંતુ અર્જુન જ શું કામ? એનું કારણ માત્ર એટલું જ છે કે, સર્વ સમર્થ હોવાં છતાં એક અર્જુન જ હતો, જે સમયે શરણાગત પણ થઈ શકે એમ હતો! પોતાનાં રથનાં સારથી સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ છે, એ જાણવાં છતાં અર્જુનને વિજય વિશે સંશય હતો! એની આ દ્વિધા બતાવે છે કે અર્જુન પૂર્ણ પણે ભોગી વિષયી અને સંસારી જીવ હતો!
ભગવાન શ્રીકૃષ્ણ જાણતાં હતાં કે સમયનું ચક્ર ફરશે અને કળિયુગ આવશે, ત્યારે સમાજમાં ભોગી, વિષયી, અને સંસારી જીવનું પ્રાધાન્ય હશે. એ લોકોને પોતાનું જીવન ધોરણ નક્કી કરવાં માટે ધર્મ પણ મદદ કરી શકશે નહીં! કારણ કે ધર્મ પણ ધંધો બની જશે! અને ધર્મનાં આચળાં હેઠળ જ અધર્મ પનપતો હશે! બાકી રહે એ જીવન સંસારનાં વ્યવહારો અને મારું તારું! કે પછી હું! એવી હઠીલી વૃત્તિમાં અધ્યાત્મ કે વૈરાગ્ય સંભવ નથી! અને આવાં સમયે માનવી પોતે ભગવત્ ગીતા થકી જાગૃત થઈ શકે છે, પોતાનાં ભોગ કે વિષયો પર સંયમ મેળવી શકે છે, અને જીવનને આત્મ ખોજનાં વિજય પથ સુધી દોરી જઈ શકે છે. હવે વાત કરીએ ઉપરનાં શ્લોકની, જેમાં ચાર શબ્દ એવાં છે, જે ખરેખર ચિંતન કરવા પ્રેરે છે.
આપણે ત્યાં શાસ્ત્રોમાં દાનની વાત આવી છે, અને લોકો દાન પણ કરે છે! ભલે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે પણ દાન થાય છે! એમાં ના પાડી શકાય નહીં! અને જે આવકાર્ય છે, કારણ કે ભારતની આટલી મોટી વસ્તીમાં કેટલાય અનાથ હોય, કેટલાય તરછોડાયેલા હોય! કેટલાંય રોગીષ્ઠ હોય અને આ ઉપરાંત સમાજ કે પરિવાર દ્વારા સતાવેલા હોય! ભારતભરમાં આવી તો કેટલીય એનજીઓ હશે! એટલે દાન ગમે તે રીતે, કે ગમે તે કારણથી થાય, આવકાર્ય છે!
કર્તવ્ય કર્મ** સામાન્ય રીતે આ શબ્દ પરિવાર જનોનાં અંદરોઅંદરનાં કર્તવ્ય માટે છે. એટલે કે જે રીતે માતાપિતા પોતાનાં સંતાનોને ઉછેરે છે, એને ભણાવી લાયક બનાવે છે, અને જીવનનાં સારાં ખરાબ પરિણામ વખતે સાથે ઉભા રહી એને સંભાળે, એ માતાપિતાનું કર્તવ્ય કર્મ છે. આમ પતિ પત્ની, ભાઈ ભાઈ, ભાઈ બહેન, બહેન બહેન, પિતા પુત્ર, પુત્રી, કે પછી માતા પુત્ર કે પુત્રી, અને પુત્રવધૂ! દરેક સંબંધો અને એમનું કર્તવ્ય આપણે ત્યાં નિશ્ચિત કરાયું છે! બાળકનો ઉછેર જેમ માતાપિતાની જવાબદારી છે! એ જ રીતે એ બાળક મોટું થાય ,ત્યારે માતાપિતા એની જવાબદારી બને છે, અને એનું પાલન પોષણ કરવું કે ધ્યાન રાખવું, સેવા કરવી, આ પુત્ર પુત્રવધૂનું કર્તવ્ય કર્મ છે! અને એ પણ કર્મફલની આશા વગર! પેઢી દર પેઢી જનરેશન ગેપ વધતો જ જાય છે, અને આજે સમાજમાં જે રીતે વૃદ્ધાશ્રમમાં ભરતી થાય છે, એ જોતાં એવું લાગે કે આજની પેઢી કર્તવ્ય કર્મ ભૂલતી જાય છે! માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અને અતિથિ દેવો ભવ નાં ચાર સ્તંભ પર ઉભેલી સંસ્કૃતિની આવતીકાલ કેવી હશે! પોતાનાં માતાપિતાને રાખતાં ન્હોય એવાં લોકો પાછા આવાં એનજીઓમાં દાન આપી પ્રતિષ્ઠા મેળવે!
અગ્નિ ત્યાગી** આ શબ્દ સંન્યાસી માટે પ્રયોજવામાં આવે છે, અને જે રાંધેલો આહાર ગ્રહણ નથી કરતા એવાં સંન્યાસી માટે વાપરવામાં આવે છે! ભગવાન કહે છે કે માત્ર આવા લોકો જ સંન્યાસી નથી, પણ જે કર્તવ્ય કર્મ પૂરી નિષ્ઠાથી કરે, છતાં ફળની આશા રાખતાં નથી, એ પણ સંન્યાસી છે. પરંતુ સંન્યાસી માટે પણ ભીતરનાં એવાં કેટલાંય ભાવ છે, જે અગ્નિનું કામ કરે છે! ખાસ કરીને ઈર્ષા અને દ્વેષ એ બે ભાવ, અગ્નિ જેવો દાહ ઉત્પન્ન કરે છે! એટલે રાંધેલો આહાર ત્યાગી શકાય છે, પણ .. આજકાલ તો એ ક્ષેત્રમાં પણ દેખાદેખી અને હુંસાતુંસી છે! સિદ્ધ થવું સહેલું છે પણ શુદ્ધ રહેવું સહેલું નથી! અને એટલે જ સ્થૂળ રુપે અગ્નિ ત્યાગે ,પણ ઈર્ષા નિંદા દ્વેષનાં ભાવ ભીતર ભર્યા હોય એ સંન્યાસી નથી.
સક્રિય ** અહીં આ શબ્દ યોગી માટે પ્રયોજાયો છે, યોગી એને જ કહેવાય જે સંકલ્પ વિકલ્પથી મુક્ત હોય અને તે બીજા એકપણ ક્ષેત્રે પ્રવૃત્ત ન્હોય! ખરા અર્થમાં તો જેને વૃત્તિઓનો વૈરાગ્ય આવ્યો છે, એ જ યોગી છે! અને તે પોતાની સિદ્ધિ કે ઉપલબ્ધિ મેળવવાં માટે પણ ક્રિયાશીલ નથી! માત્ર ને માત્ર ઈશ્વર અનુસંધાન માટે યોગનાં અંગોને અનુસરે છે, અને એમાં જ સક્રિય છે. પણ ત્યાય અત્યારે, મઠ કે આશ્રમનાં મહંત, મહા મંડલેશ્વર અને શંકરાચાર્યનાં પદની ખેંચતાણ છે! પરંતુ એટલે ભગવાન કહે છે કે તું કર્તવ્ય કર્મ કરે જા!
ભોગની ભૂખની આડે માનવી એક બીજું સત્ય ભૂલી ગયો છે, કે માનવી એક સામાજિક પ્રાણી છે, અને એને આહારની જેમ જ હુંફ, લાગણી પ્રેમ એ બધું પણ જોઈએ ! જે રીતે એ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા નાં નશામાં એક પછી એક સંબંધો તોડતો જાય છે! એને ખબર નથી કે એનું બહુ મોટું નુક્સાન થઈ રહ્યું છે! અને ખબર પડે ત્યારે બહુ મોડું થઈ જાય છે. એટલે જ ઈશ્વરે આપણી જેવાં સંસારી અને ભોગી જીવ માટે સંન્યાસી કે યોગીની ઉપલબ્ધિ આ રીતે સરળ અને સહજ બનાવી છે. આપણે સૌ આપણાં કર્તવ્ય કર્મને બખૂબી નિભાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
