
એક ગોપી કહે છે અમારા ઘરમાં ઘૂસી જઈને આવાં તોફાન કરે છે! એવી ફરિયાદ હું વારંવાર કરું છું! અત્યાર સુધી તો થોડીક શરમ હતી! પણ હવે નહીં, રોજ ઊઠીને આવી ધમાલ કરે! અમારું નુકસાન કરે! આવું કેટલું સહન થાય; આ નગરમાં રહેવું અમને હવે ભારે પડે છે.
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ગુરુવાર એટલે કે પ્રાર્થનાંનો દિવસ. પ્રવર્તમાન સમયમાં સૌ કોઈ મનોમન યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થાય નહીં, એની પ્રાર્થના કરતાં જ હશે! અને આમ તો ચિંતનની ધારા સર્વત્ર સામાજિક શાંતિનાં જયઘોષ માટે જ નિત નૂતન પહેલું લઈ વહી રહી છે. પરંતુ આપણી એક નાદાની એ છે કે સુધરવાની જરુર સામેવાળાને છે! પોતે તો સર્વગુણ સંપન્ન છે! સ્વયંના જાગરણ વગર સામાજિક શાંતિ કે યુગ પરિવર્તન શક્ય નથી. નરસિંહ મહેતા એ જીવને જગાડતી અને આત્મ તત્વ સુધી પહોંચાડતી કેટલીય રચના લખી છે! અને આપણે કેટલીય રચનાનો આસ્વાદ કરી એનાં આધ્યાત્મિક અર્થને જાણ્યાં અને માણ્યાં પણ છે. નરસિંહ એ રાધાકૃષ્ણની ભક્તિ થકી જ પરમ ભક્તનું અસાધારણ પદ પ્રાપ્ત કર્યું હતું. આમ તો એ સદા ગોપી ભાવે જ ભક્તિ કરતાં રહ્યાં! પણ છતાં એ વેદ વેદાંતના ગૂઢ રહસ્યોને પામી ગયાં હોય એવું એની રચના પરથી સ્પષ્ટ દેખાય છે. ગોપીઓની માનસિકતા સદા એવી રહી કે એને કાનુડાની આસપાસ જ રહેવું હોય! અને એટલે જ એ કાયમ એની ફરિયાદ કરવાં નંદ જશોદાનાં ઘરે પહોંચી જાય! બસ એકવાર ફરિયાદ સાંભળીને માખણ ખાતો ખાતો મા જશોદાના પાલવમાં સંતાઈ જતો કાનુડો જોવાં મળી જાય! આ ગોપીઓની તમન્ના રહેતી. તો આજે પણ સાવ સીધાસાદા શબ્દોમાં કહેવાયેલી બહુ મોટી વાત!
*નરસિંહ મહેતા*
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.
ગોપીઓ કાનુડાની ફરિયાદ કરવા મા જશોદા પાસે આવે છે અને કહે છે કે જશોદા તારા કાનુડાને જરાં ખિજાઈને અમને હેરાન પરેશાન ન કરે એવું કહે ! અથવા તો તોફાન કરતા રોકી લે.
શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
બારી કે બારણું ખોલીને અંદર આવી ગયો,માખણ કે દહીં રાખવાનું શીકું તોડ્યું અને માખણ ખાધું થોડું પણ ગોરસ એટલે કે માખણ મિસરી દહીં છાસ ઢોળી નાખ્યું, અને ઘરમાં કોઈ આવે એ પહેલાં ઢોળાયેલું સાફ કરવામાં અમારાં જીવ તાળવે ચોંટી જાય છે.
ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
અમારી ગેરહાજરીમાં આખાં ઘરમાં ખાંખાખોળા કરે છે! દહીં વલોવીને માખણ કાઢવાની ગોળી ફોડી નાખી! તમે એને બહુ ચડાવ્યો છે! કંઈ કહેતાં ખિજાતાં નથી,આવાં તે કંઈ લાડ હોય!
વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.
એક ગોપી કહે છે અમારા ઘરમાં ઘૂસી જઈને આવાં તોફાન કરે છે! એવી ફરિયાદ હું વારંવાર કરું છું! અત્યાર સુધી તો થોડીક શરમ હતી! પણ હવે નહીં, રોજ ઊઠીને આવી ધમાલ કરે! અમારું નુકસાન કરે! આવું કેટલું સહન થાય; આ નગરમાં રહેવું અમને હવે ભારે પડે છે.
આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.
અત્યાર સુધી ગોપીઓની ફરિયાદ સાંભળતી મા જશોદા ચોખ્ખું કહી દે છે કે, હું તમારી કોઈ વાત સાંભળવી નથી! મારો લાડકો દીકરો કાનો તમે કહ્યું એવું તો કોઈ દિવસ કરે જ નહીં.
મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.
મારો કાનો તો હજી ઉઠ્યો જ નથી, ઘરમાં જ સૂતો છે, અને જેના ઘરમાં દહીં દૂધના માટલાં ભર્યા હોય છતાં એ ચાખતો પણ નથી! અને તમે કહો છો એ તમારે ઘેર આવી માખણની ચોરી કરે છે?
શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.
ફરિયાદના બૂમ બરાડા પાડતી ભલે દસ બાર ગોપીઓ આવી! પણ નરસિંહ નો સ્વામી જ સાચો છે, વ્રજની ગોપીઓ જૂઠી છે.
સ્થૂળ રીતે જોઈએ તો કવિ અહીં ગોપી અને જશોદા એટલે કે પ્રેમનાં જ બે ભાવ પ્રીતિ અને મમતા વચ્ચે થતી મધુર રકઝક ને રજૂ કરે છે! પણ નરસિંહ ની રચના ગૂઢ અધ્યાત્મ થી ભરેલી હોય છે, અને મૂળમાં કર્મેન્દ્રિયો થકી ઉદભવતી વૃત્તિઓ જ તો ગોપી છે, અને કહે છે કે મમતાનું અતિક્રમણ થાય ત્યારે ખામીઓ જોઈ શકતી નથી! અને એટલે જ માતા ને પોતાનાં સંતાનોના દોષ દેખાતા નથી. આખી રચનાનો મૂળ ભાવ આ જ છે! પરંતુ સ્થૂળ મમતા જ્યારે આધિપત્ય જમાવે ત્યારે એ ખોટી વાતને પ્રોત્સાહન આપે છે, અને એની ભૂલને નજર અંદાજ કરે છે. પણ અહીં ભક્તિનો મહિમા ગાતાં નરસિંહ કહે છે, શીકું તોડ્યું એટલે કે જન્મોજન્મની જન્મ મૃત્યુની જંજાળ માંથી આત્મ તત્વને મુક્ત કર્યું, અને ગોરસ એટલે કે ભક્તિ ભાવનું પ્રેમામૃત ઢોળ્યું, સ્થૂળ રુપે તો કાના એ માખણ ખાધું, પણ ભક્તિનો મહિમા છે કે ઈષ્ટ પ્રસાદ ગ્રહણ કરે તો ઓડકાર ભક્તને આવે! ખાંખાખોળા કરવાનો સ્વભાવ જીવનો છે, એ ભક્તિ કે સાધનાને નામે બહુ ખાંખાખોળા કરે, અને બીવે નહીં લગાર! આ બંને વિરોધાભાસી ભાવ છે! પણ આત્મા અમર અને અભય છે, એ સત્ય ખાંખાખોળાથી પ્રાપ્ત થતું નથી! અને એટલે ભગવાન ભક્તમાં ભક્તિ થકી સદભાવની ખોજ કરાવે છે! અને એ રીતે અભયતાનુ દાન દે છે. દહીં મથવું એટલે આ સાચું ને આ ખોટું! ભગવાન કહે છે હવે તારે મંથન કરવાની જરૂર નથી! હું કહું એ જ સાચું એ સત્ય પર સ્થિર થઈ જા. ગોપીઓની સંખ્યા બતાવીને નરસિંહ આપણી ઈન્દ્રિયો તરફ સંકેત કરે છે, દસ કર્મેન્દ્રિય, અગિયારમું મન અને બારમો પ્રાણ! બધાંજ એક થઇ જાય ! અને આ ભક્તિની પરાકાષ્ઠા છે, જ્યારે ભક્તને પ્રાણ તત્વની પણ સુધી રહેતી નથી. પરંતુ ઘણીવાર એવું થાય કે ઈન્દ્રિયો પોકારી પોકારીને સત્ય તરફ નિર્દેશ કરે, પણ દરેક ઈન્દ્રિયની ફરિયાદ જુદી હોય એટલે કે સત્ય જુદું હોય, કોઈને ઈશ્વર સત્ય રુપે પ્રતિપાદિત થાય તો, કોઈને શક્તિ રુપે, કોઈને સાકાર, કોઈને નિરાકાર, અને મૂળમાં પ્રિતી હોય છતાં હું કહું એ જ સાચું એવો મમતાનો ભાવ હાવી થાય, ત્યારે એને પોતાનો પક્ષ સાચો લાગે છે! અને બાકી બધાં ખોટા! અને આમ અહીં જશોદા વ્રજની નાર ને ખોટી ઠેરવે છે! એટલે કે નરસિંહ જાણે જશોદાના મુખે ગોપી રુપી કર્મેન્દ્રિયો ને કહેતાં હોય કે ઈશ્વર કોણ છે? એ હું નથી જાણતી, પણ મારી માટે તો મારો કાનુડો જ સૌથી મોટું સત્ય છે, શક્તિ છે સાકાર છે, અને નિરાકાર પણ છે, ભલે આ બધી એની લીલા છે, પણ મને એ જ રસ( ભક્તિ) ભાવ શ્રેષ્ઠ છે, એવો જય ઘોષ કરે છે.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
