
દશરથ નંદન રામને જ્યારે વનવાસ થયો, ત્યારે લક્ષ્મણ અને પત્ની સીતા સાથે તેઓ ફરતા ફરતા વનમાં એટલેકે પંચવટીમાં વસે છે. ત્યાં લંકા પતિ રાવણ આવીને સીતાનું અપહરણ કરી જાય છે. એ વાત આપણાં દેશનો નાનામાં નાનું બાળક પણ જાણે છે.
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આપણે સમાજ દર્શનમાં જોયું એમ ખબર પડે કે ન પડે બધાં યુદ્ધ વિશે ચર્ચા કરતાં જોવા મળે છે. જોકે યુદ્ધ અને એનાં વિનાશક પરિણામોથી આપણે સૌ પરિચિત છીએ. કળિયુગનાં યુદ્ધમાં તો હવે રણનીતિ જેવું કંઈ રહ્યું નથી! એમાં ક્યાંય કલ્યાણની વાત જોવા મળતી નથી! ક્યાંય ધર્મની રક્ષા માટેની વાત જોવા મળતી નથી, સૌને પોતપોતાનુ સાજું કરી લેવું છે! કોણ જાણે સત્તા અને સંપત્તિની આ ખેંચતાણ માનવી ને ક્યાં લઈ જશે! આપણી સંસ્કૃતિનાં બે મહાયુદ્ધ રામ રાવણ અને કૌરવ પાંડવનાં યુદ્ધની વાત કરીએ તો, બંનેમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કલ્યાણની હાજરી હતી. આપણે શંકર ચરિત્રની ગાથા ગાઈ ત્યારે કલ્યાણ એટલે શિવ અને શિવ એટલે કલ્યાણ એવું એક ચિંતન કર્યું હતું! અને હનુમાનજીને શંકરાવતાર કહેવામાં આવે છે. રામ રાવણનાં યુદ્ધમાં શંકર સ્વરૂપ હનુમાનજી પ્રત્યક્ષ રુપે હતાં, જ્યારે મહાભારતનાં યુધ્ધ વખતે હનુમાનજી અર્જુનનાં રથની ધ્વજામાં અપ્રત્યક્ષ રીતે હાજર હતાં, એટલે યુદ્ધમાં પણ કલ્યાણની મહત્તા રહેતી, હમણાં જ હનુમાન જયંતિ ગઈ અને આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખમાં એને વિશે વધુ જોઈએ.
હિંદુ સનાતન ધારાનું કોઈ સૌથી પ્રિય તત્વ હોય તો એ હનુમંત છે. હનુમાન તો આપણો પ્રાણ આધાર છે, એ વાતને કોઈ નકારી નહીં શકે. હનુમાનને એક બ્રહ્મચારી અને પૂર્ણ વૈરાગી દેવ માનવામાં આવે છે. ભગવાન શંકરનાં રુદ્રાવતાર તરીકે માનવામાં આવતાં, હનુમાન એ ત્રેતાયુગમાં અંજની અને કેસરીનાં પુત્ર તરીકે ઓળખાય છે. આજે મનુષ્ય પણ તપ કે તપશ્ચર્યા કરતાં નથી, પણ તે યુગમાં વાનરો પણ તપશ્ચર્યા કરતાં હતાં. માતા અંજનીએ તેજસ્વી પુત્ર પામવાં માટે થઈને તપશ્ચર્યા કરી, અને પવનદેવે પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું, આથી તેઓ પવનપુત્ર પણ કહેવાયા. બાળ હનુમાનની વીરતાની વાતો સાંભળીને પણ એની શક્તિનો અંદાજ આવી જાય, કે ખૂબ શક્તિશાળી હતા. એક દિવસ સૂર્યને ગળી જવાં માટે નીકળ્યાં હતાં, આથી તે શાપિત થયાં અને તેમની વિદ્યા ભૂલી ગયાં.
દશરથ નંદન રામને જ્યારે વનવાસ થયો, ત્યારે લક્ષ્મણ અને પત્ની સીતા સાથે તેઓ ફરતા ફરતા વનમાં એટલેકે પંચવટીમાં વસે છે. ત્યાં લંકા પતિ રાવણ આવીને સીતાનું અપહરણ કરી જાય છે. એ વાત આપણાં દેશનો નાનામાં નાનું બાળક પણ જાણે છે. સીતાની શોધ માટે, કિષ્કીનધા નરેશ વાલીને સુગ્રીવ સાથે રામની મુલાકાત થાય છે. વાલીનો વધ કરી, રામ સુગ્રીવને તેનું રાજ્ય સોંપે છે. પછી હનુમાન, જાંબુવંત, અંગદ, નલ, નીલ અને અન્ય વાનરો સાથે સીતાજીની શોધમાં નીકળે છે. માર્ગમાં ભગવાનનું સ્મરણ કરતાં તેમની બધી જ વિદ્યાઓ તેમને પાછી પ્રાપ્ત થાય છે, અને આપણે જાણીએ છીએ કે હનુમાનજી ઉડીને લંકા પહોંચે છે. રસ્તામાં પણ સુરસાને લંકીનીનો સામનો કરે છે. વિભીષણને ઘરે તુલસી ક્યારો જોઈ વૈષ્ણવના મનોમન દર્શન કરે છે. અશોક વાટિકામાં સીતાને હૈયાધારણ આપે છે. રાવણનાં અહમને તોડવા લંકાને જલાવે છે. પાછા ફરી રામને આખું વૃતાંત જણાવે છે, પછી રામ લક્ષ્મણ સાથે વાનર સેના લંકા પર ચઢાઈ કરે છે. અંતે ભયંકર યુદ્ધને પરિણામે રાવણનો નાશ થાય છે.
પોતાનું જીવન તેમણે બ્રહ્મચારી તરીકે વ્યતિત કર્યું છે, અને રામ એટલે વિષ્ણુના પરમ ભક્ત હોવાથી, તેની સેવામાં આખું જીવન સમર્પિત છે. તેઓ બ્રહ્મચારી હોવા છતાં પણ એક પરોક્ષ પુત્રના પિતા છે, એ વાત કદાચ કોઈ જાણતું ન પણ હોય. લંકામાં સીતાની શોધમાં ગયેલા હનુમાનને બંદી બનાવીને, જ્યારે પકડી લેવામાં આવે છે. ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ, કે લંકામાં તેને પૂંછડીને જલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને તેના કારણે હનુમાનની પોતાની પૂંછડી વધારતાં ગયાં, અને લંકા આખુ જલાવી દીધી. પછી જ્યારે તે પોતાની પૂંછડીની આગ ઠારવા માટે થઈને સમુદ્રમાં ગયા, ત્યારે તેમના પરસેવાનું કે વીર્યનું એક ટીપું, એક મકર નામની માછલીનાં મોઢામાં ગયું, અને આ માછલીને પાતાળમાં અહીરાવણના સૈનિકોએ પકડી લીધી, ત્યારે તેનું પેટ કાપતા તેમાંથી આ બાળ મળ્યો, અને તે મકરનાં પેટમાંથી મળ્યો હોવાથી, તેનું નામ મકર ધ્વજ પડ્યું. તુલસીકૃત રામાયણમાં આ વાતનો ઉલ્લેખ નથી, પણ વાલ્મીકિ કૃત રામાયણમાં આનો આછડતો ઉલ્લેખ જોવા મળે છે. ઉપરાંત બીજા પણ કંઈક રામાયણોમાં આ વિશે થોડી વાત થઇ છે. તેમાં તો એવું પણ છે કે અહિ રાવણ રામ-લક્ષ્મણને બંદી બનાવી, પાતાળમાં લઈ જાય છે, અને હનુમાન તેમને છોડાવવાં પાતાળ પહોંચે છે, ત્યારે દ્વારપાળ તરીકે મકરધ્વજ તેમને રોકે છે, અને પોતાને હનુમાન પુત્ર બતાવે છે. હનુમાન પોતે બ્રહ્મચારી હોવાથી આ વાત જાણતા નથી, પરંતુ ધ્યાનમાં જઈને જુએ છે, પછી તેમને ખ્યાલ આવે છે કે આવું કંઈક થયું. એટલે તે મકરધ્વજને આશીર્વાદ આપે છે, પરંતુ મકરધ્વજ અહિરાવણ સાથે દગો કરવાં નથી માગતો,અને પિતા પુત્ર બંને દ્વંદ યુદ્ધ કરે છે. તે હનુમાન જેટલાં જ તે શક્તિશાળી હોવાથી, આ યુદ્ધ બહુ કઠિન રહ્યું. આ ઉપરાંત મહાભારતમાં પણ હનુમાનનો ઉલ્લેખ છે. ભગવાન રામે અને સીતાજીએ, હનુમાનને અજર અમરનાં વરદાન આપ્યા છે. એટલે યુગોયુગોથી, હનુમાન ચરિત્ર આ જ રીતે પ્રિય અને જીવંત રહ્યું છે. કળિયુગમાં નામ સાધનાનું ખૂબ જ મહત્વ છે, અને જ્યાં જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાન અવશ્ય હોય છે.
તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચના કરી, આપણી પર એક અનન્ય ઉપકાર કર્યો છે. તે ઉપરાંત તેમણે હનુમાન ચાલીસાની રચના કરી, અને તેનાથી પણ વધુ ઉપકાર કર્યો છે. હનુમાન ચાલીસાનું ગાન નિત્ય કરવાથી ખરેખર જીવનમાં સંકટનો નાશ થાય છે, અને આ વાત સૌ કોઈ જાણે છે. ડરામણી પરિસ્થિતિ, કે જગ્યાએ જો આપણે પહોંચી જઈએ, તો અચાનક મોઢામાંથી હનુમાન નું નામ કે હનુમાન ચાલીસા નીકળી જાય છે તે શું બતાવે છે, કે હનુમાન આજે પણ એટલા જ પ્રિય છે, અને લોકો ની તેની પર પૂર્ણ આસ્થા છે. તો આ છે ભગવાન શંકરના રુદ્રાવતાર હનુમાનની વાત.જેમ કૃષ્ણ ચરિત્ર પર લખવાનું કહેવામાં આવે, અને જિંદગી પૂરી થાય, પણ કંઈને કંઈ રહી જાય, તે જ રીતે હનુમાન પણ એટલા જ પ્રિય રહ્યાં છે, તેની પર પણ ખૂબ લખી શકાય. અને એટલે એક વાક્ય લખીને પૂરું કરું કે,બીજા અન્ય દેવી દેવતાઓ નો આપણે લોકોએ અનુમાન કરી, કે કલ્પના કરી અને તસવીર બનાવી હશે. પણ “”હનુમાન એ માત્ર અનુમાન નથી અનુભૂતિ છે”” સમયનો આ દોર ચાલી રહ્યો છે એમાં ઘણા ભાવોનો ભરાવો થયો છે, પણ કેમે કરીને આ કલ્યાણનો ભાવ એકધારો ટકતો નથી! તો સકલ વિશ્વમાં કલ્યાણકારી ભાવ વધે એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
