
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં હમણાં અમારી જ્ઞાતિમાં નાની ઉંમરનાં મરણ થયાં, અને એ પણ હ્રદય દ્રાવક! કર્મ ધર્મનું કેટલુંય લખાય છે, પણ એવે સમયે એમ થાય કે, ઈશ્વરે આ શું કર્યું? પણ જન્મ મૃત્યુની ડોર એણે સ્વયંનાં હાથમા રાખી છે, એટલે વલોપાત કરવાં સિવાય જીવ પાસે કંઈ હોતું નથી! જન્મ તો હજી પણ નવ મહિનાનો સમય આપે છે, પણ મૃત્યુ તો જરાય સમય આપતું નથી! પલભર પહેલાં હસતો પરિવાર, બીજી ક્ષણે રોકકળ કરતો જોવાં મળે! જોકે મૃત્યુનાં બે પ્રકાર છે, અકાળ મૃત્યુ એટલે કે મરવાની ઉંમર થઈ ન્હોય અને આવે એ, જ્યારે કાળ મૃત્યુમાં માનવી ઉંમરનાં વધવા સાથે તબક્કાવાર મૃત્યુ સમીપે પહોંચે છે! પરંતુ જીવ મોહ માયા કે વિષયી બની જાણવાં છતાં અજાણ બની સંસારમાં રચ્યો પચ્યો રહે છે, અને આ વાત ફક્ત કળિયુગની નથી! ભોગ પ્રત્યેની લાલચ માનવીય જીવનની સૌથી મોટી નબળાઈ છે! હાં લાલચ માં ફેર હોય! જેમ કે કોઈ કામી હોય, કોઈ લોભી હોય, કોઈ સ્વાદિયા હોય, કોઈ રાગી હોય, કોઈ ઢોંગી હોય! કોઈ વ્યસની હોય, આમ તૃષ્ણા જુદી જુદી, નાગરી ભાષામાં કહીએ તો, રસિક બહુ! નરસિંહ પણ નાગર ! એટલે રસિક જનની નબળાઈને એણે પોતાની રચનામાં વણીને, સમય રહેતાં ઈશ્વરને સાધી લેવાની વાત કરી, આજે આપણે એને વિશે ચિંતનમાં વાત કરીશું.
* નરસિંહ મહેતા*
**જુવાનીને દહાડે રે હરિને જાણ્યાં નહીં રે,
મોહ્યું પરદારા સાથે મંન..
કાંઈક ગયા રે કામિની તલપતાં રે,
પછે જોડવાં લાગ્યો ધંન..(૧)
આદિ કવિ ભોગી અને સંસારી જીવ ની માનસિકતાને વર્ણવતા કહે છે કે, જુવાનીનાં દિવસોમાં હરિને યાદ કર્યા નહીં! પોતાની પત્ની સાથે કામવશ થાય એ તો સમજાય! પણ એનું મન હજી પરદારા એટલે કે પારકી અન્ય સ્ત્રીમાં મોહ્યું છે, એટલે કે એની પ્રત્યે આસક્તિ ભાવ થાય છે, અને એમ કેટલાંયે વિષય, રાગ, વાંસના, આલાપતા કામિની પાછળ વર્ષો વેડફી નાંખ્યાં! અને પછીના વર્ષોમાં ધન એકઠું કરવામાં પરોવાઈ ગયાં
**પચીસ ને પચાસ રે ગયાં પરપંચમાં રે,
દોહેલા આવ્યા સાઠી નાં દંન,
સીત્તેરને સુધી કાંઈ સમજ્યો નહીં,
પછે સાધવા ચાલ્યો વંન.. (૨)
આમ કામવશ કે ધનવશ થઈને પચીસ થી પચાસ વર્ષ હું કંઈક છું! અથવા હું કંઈક જાણું છું! એવાં પ્રપંચમાં ચાલ્યા ગયાં! પણ ધીરેધીરે શરીરની વય વધવાની ખબર પડી હોય, એમ સાઠ એ પહોંચ્યાં ત્યાં તો શરીરે જવાબ દઈ દીધો! પણ હજી સીત્તેર સુધી હરિ સ્મરણ કરવાનું સુઝ્યું નહીં, અને પછી વૈરાગ્ય આવ્યો હોય એમ વનમાં ચાલ્યો!
**કે નયણે ન સુઝે રે, ગળે બહુ નાસિકા રે,
બોલ્યું સંભળાય નહીં કરણ,
આશા તો મૂકે નહીં રે, ટળે નહીં તૃષ્ણા રે,
ઓળખાયા નહીં અશરણ શરણ.. (૩)
પણ ત્યાંય શરીર અવસ્થા બહુ કફોડી થઈ ગઈ! આંખે દેખાતું નથી, નાકમાંથી નિરંતર પાણી નીકળે છે, કાને પણ બોલ્યું સંભળાતું નથી! પણ છતાં હજી આમ કરવું છે! અને આમ થાય તો બહુ સારું! એવી મનની આશા કે તનની તૃષ્ણા ટળતી નથી, અને તોય અનાથના નાથ કે અસમર્થ ને સમર્થ કરનારાં હરિને ઓળખ્યો નહીં!
**કે કરમાં લાકડી રે, ચરણ ચાલે નહીં રે,
થર થર ધ્રુજવા લાગ્યું તંન,
મુખ માંહે દંત રે એકે દિસે નહીં રે,
તો યે ભૂંડું ઉદર માંગે અન્ન..(૪)
કવિ શરીરની સાવ અંતિમ અવસ્થાનું વર્ણન કરતાં કહે છે કે, હાથમાં લાકડી આવી ગઈ, અને તોય પગ ચાલતાં નથી! એટલું શરીર થરથર ધ્રુજવા લાગ્યું છે, મોઢામાં એકપણ દાંત દેખાતો નથી, તોય આ પેટ અન્ન માંગે છે!
**ભાગ્ય જેનું ભલું રે અવસરને ઓળખે રે,
બાંધ્યું રહે શ્યામ સંઘાથે મંન,
નરસૈયાનો સ્વામી રે, શીતળ દ્રષ્ટે જુવે રે,
જો હોય પૂરવ જનમનું પુન્ય..(૫)
આ જન્મ ભક્તિ મુક્તિ માટે મળ્યો છે, એવું જે મનુષ્યને સમયસર ભાન થઈ જાય, અને જેનું મન સંસારમાં નહીં પણ શ્યામ સંગાથે બંધાઈ ગયું છે, જેનાં પૂર્વ જન્મનાં પુન્ય હોય એની પર નરસૈંયાનાં સ્વામીની શીતળ દ્રષ્ટિ રહે છે.
ચોર્યાસી લાખ યોનિ માંથી પસાર થાય ત્યારે માંડ મનુષ્ય જન્મ મળે છે, પણ જન્મ થતાં જ મનુષ્ય આ ફેરાની વિટંબણા ભૂલી જાય છે, અને જાણે ભોગ ભોગવવાં માટે જ જન્મ મળ્યો હોય, એમ ઉંમરના એક પછી એક મુકામ પસાર કરે છે. કવિ કહે છે કે પચીસ થી પચાસ વર્ષ તો ભોગીની માનસિકતામાં, એટલે કે સંસારનાં વ્યવહારમાં, પરિવારની મમતામાં કે પછી ભોગ પ્રેરક વિષયો માં રચ્યો પચ્યો રહે છે! અને શરીર જ્યારે નબળું પડે અને અન્ય દુન્યવી કાર્ય થઈ શકે એમ ન્હોય ત્યારે એ હરિનું સ્મરણ કે ભજન કરવા વિચારે છે! પરંતુ આંખે દેખાતું નથી, કાન સાંભળી શકતાં નથી, શરીર અવસ્થાને કારણે ધ્રુજવા લાગ્યું છે, હાથમાં લાકડી હોવા છતાં પગ સ્થિર ચાલી શકતાં નથી, મોઢામાં દાંત નથી, ગમે તેટલી શારિરીક અસ્વસ્થતા હોય તોય એને ખાવાનું ભૂલાતું નથી! સુક્ષ્મ અર્થે કવિ કહે છે કે પારંપરિક રીતે માનવીની જે માન્યતા છે કે, ભક્તિ તો પાછલી ઉંમરે જ થાય! એ વાતનો છેદ ઉડાડી દે છે, અને કહે છે કે ભક્તિ માટે કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી! બસ જાગવાની જરૂર હોય છે, અને ભાગ્યનાં પાસાને પ્રબળ બનાવતાં કહે છે કે જેણે પૂર્વ જન્મમાં ભક્તિ કરી હશે, એ જ આ અવસરને ઓળખી જાય છે, અને સમયસર ભગવાનને શરણે જાય છે, એમનો જન્મ સફળ થાય છે.
કવિ માનવીનાં ઘડપણનું આબેહૂબ ચિત્રાંકન કરી, લાલ બત્તી ધરી સૌને ચેતવે છે કે જ્યારે તમારું કહ્યું તમારું તન કરી શકે નહીં, ત્યારે પણ તમે તૃષ્ણા છોડી શકતાં નથી! આમ તો આ આખી રચના ઘડપણ વર્ણવે છે. પણ બે શબ્દ પરદારા અને અશરણ નાં શરણ એ નવા અને આધ્યાત્મિક રીતે કંઈક વિશેષ અર્થ પ્રદાન કરે છે. પરદારા શબ્દનો સ્થૂળ અર્થ તો પારકી સ્ત્રી એવો થાય છે, પણ કવિ અહીં પ્રત્યેક મનુષ્યને પુરુષ અને ભક્તિને જ નારી કહી છે, જ્યારે વાંસના એવંમ કામના વૃત્તિને પરદારા એટલે કે પારકી સ્ત્રી કહીને કહે છે કે, એણે ભક્તિ આસપાસ જ પોતાનું જીવન પુરું કરવું જોઈએ! જાગૃત ન રહેનાર કેટલાંયનું અડધું જીવન તો આમ જ વિતી જાય છે. અશરણ નાં શરણ, એ શબ્દ ભગવાન માટે છે. સમયસર હું કંઈક છું! નામની વૃત્તિ છોડીને અનાથ નાં નાથ એવા શ્રીકૃષ્ણનું શરણું ગ્રહી લઈ, આત્મ નિવેદન રુપે શારિરીક અસમર્થતા સમર્થ નાં શરણે રાખીને હરિ સ્મરણ કરવાથી જ ઘડપણ દૂર રહે, અથવા ગોપી જેમ સંસારમાં રહેવા છતાં સાંસારિક ભાવોથી અલિપ્ત થઈને જીવવું, એ હાર્દને પકડી આપણે સૌ મનુષ્ય દેહનું મુલ્યાંકન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારાં આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
