સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે! એને જીવ કંઈ રીતે અનુસરે?
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે શુક્રવાર એટલે ઉપનિષદીય સૂત્રો થકી તત્વ જ્ઞાન વિશે ચિંતન કરવાનો દિવસ. આપણે અત્યાર સુધીમાં છ ઉપનિષદ વિશે મહત્વનાં શ્લોક અને એનાં પર ચિંતન કર્યું! મૂળમાં સાધકને હું કોણ છું? અને આ જગત શેને કારણે છે,? એવાં પ્રશ્નો પર જીજ્ઞાસા થાય છે, અને ગુરુકુળમાં ભણતાં શિષ્યોને ગુરુ તત્વ જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન સુધી દોરી જાય છે, આ જ્ઞાનની સીડીના ઘણાં પગથિયાં છે, એક એક જીજ્ઞાસાથી આત્મ દર્શન અને બ્રહ્મ સાક્ષાત્કારનાં રહસ્યની ગૂથ્લીનો ઉકેલ આવે છે! પરંતુ સાક્ષાત્કારની જ્યાં સુધી અનુભૂતિ થતી નથી, ત્યાં સુધી એ માત્ર માહિતી બની રહે છે, સાધકે તત્વતઃ એ સત્યને સ્વીકારવું રહ્યું. સંક્ષેપમાં, ઉપનિષદોનો મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાન દ્વારા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવી મનુષ્યને મોક્ષ સુધી પહોંચાડવાનો છે. પ્રશ્ન ઉપનિષદ પછી હવે ક્રમમાં ઐતરેય ઉપનિષદ આવે છે અને આજે આપણે એનાં વિશે ચિંતન કરીશું
ઐતરેય ઉપનિષદ આરણ્યકના બીજા ભાગમાંથી લેવામાં આવ્યું છે, આ ઉપનિષદ ત્રણ અધ્યાય, છ ખંડ, અને 23 શ્લોક ધરાવે છે. ઐતરેય શબ્દનો મુખ્ય અર્થ “ઇતરા ઋષિનાં વંશજ એવો થાય છે. ઋગ્વેદના મહાન ઋષિ મહિદાસ ઇતરાના પુત્ર હતા, અને તેમનાં દ્વારા જ વૈદિક સાહિત્યના ગ્રંથો જેવા કે ઐતરેય બ્રાહ્મણ, ઐતરેય આરણ્યક, અને મુખ્ય ઉપનિષદ પ્રગટ થયા હોવાથી આ નામ પડ્યું છે. આરણ્યકના ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયનો ભાગ, જે બ્રહ્મવિદ્યા અને સૃષ્ટિના સર્જન વિશે જ્ઞાન આપે છે. વૈદિક સાહિત્યમાં તે નીચે મુજબના મુખ્ય ગ્રંથોને દર્શાવે છે:
ઐતરેય બ્રાહ્મણ: કર્મકાંડી બ્રાહ્મણો માટે ઋગ્વેદનાં કર્મકાંડ અને યજ્ઞ વિધિઓને સમજાવતો પ્રાચીન ગ્રંથ.
ઐતરેય આરણ્યક: ઋગ્વેદનો એવો ભાગ જેમાં જંગલમાં રહીને કરવામાં આવતી આધ્યાત્મિક સાધના અને રહસ્યો વર્ણવ્યા છે.
ઐતરેય ઉપનિષદ: આરણ્યકના ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયનો ભાગ, જે બ્રહ્મવિદ્યા અને સૃષ્ટિના સર્જન વિશે જ્ઞાન આપે છે.
(૧)ઐતરેય ઉપનિષદનો પ્રથમ અધ્યાય.
** આત્મા વા ઇદમેક એવાગ્ર આસીત્। નાન્યત્કિંચન મિષત્। સ ઈક્ષત લોકાન્નુ સૃજા ઇતિ॥
સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં માત્ર પરમાત્મા જ હતાં, તેમના સિવાય બીજું કંઈ જ નહોતું. પછી તેમણે વિચાર કર્યો કે હું વિવિધ લોકનું સર્જન કરું.
સમગ્ર સૃષ્ટિ એક જ મૂળમાંથી ઉત્પન્ન થઈ છે.
સમગ્ર બ્રહ્માંડનું મૂળ એક જ ચૈતન્ય છે.
દેખાતી અનેકતા પાછળ એક જ પરમ સત્ય પરમાત્મા રહેલ છે.આત્મજ્ઞાન એટલે શું ! આત્મા અને પરમાત્મા નાં એકત્વને અનુભવવું.
જ્યારે સાધક આ સત્યનો અનુભવ કરે છે, ત્યારે ભેદભાવ દૂર થાય છે અને બ્રહ્મભાવ પ્રગટે છે.
**સ ઈમા લોકાનસૃજત। અંભઃ મરીચીઃ મરમાપઃ॥
પરમાત્માએ ચાર લોકોનું સર્જન કર્યું, અંભઃ એટલે કે ઊર્ધ્વલોક, મરીચિ લોક એટલે કે અંતરિક્ષ, પૃથ્વી અને આપ, એટલે કે જળલોક
સૃષ્ટિ વ્યવસ્થિત અને નિયમબદ્ધ છે.
દરેક તત્ત્વનું પોતાનું સ્થાન અને કાર્ય છે.
સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની યોજના અનુસાર કાર્ય કરે છે. મનુષ્ય પણ આ વૈશ્વિક વ્યવસ્થાનો એક ભાગ છે.
**સ ઈક્ષત। ઇમે નુ લોકાઃ લોકપાલાન્નુ સૃજા ઇતિ॥
પરમાત્માએ વિચાર કર્યો કે આ લોકની રક્ષા માટે તેમનાં પાલકોનું સર્જન કરવું જોઈએ, પરંતુ
માત્ર સર્જન કરવું પૂરતું નથી; તેનું સંરક્ષણ પણ જરૂરી છે. ઈશ્વર માત્ર સર્જનકર્તા જ નથી, પરંતુ પાલનકર્તા પણ છે.
**સ એતમેવ પુરુષં બ્રહ્મ તતમમ્ અસૃજત…
આગળનાં શ્લોકમાં વર્ણન આવે છે કે પરમાત્માએ શરીરની રચના કરી અને પછી તેમાં આત્મારૂપે પ્રવેશ કર્યો. ત્યારે જ શરીર ચેતન અને કાર્યશીલ બન્યું. શરીરનું મૂલ્ય છે, પરંતુ તેને જીવંત બનાવનાર ચેતના વધુ મહત્ત્વની છે.
શરીર નાશવંત છે, આત્મા નિત્ય છે.
સાચી ઓળખ શરીરની નહીં, આત્માની છે.
આત્મસાક્ષાત્કાર જીવનનું પરમ લક્ષ્ય છે.
ઐતરેય ઉપનિષદના પ્રથમ અધ્યાયના આ ચાર શ્લોકના ચિંતન પરથી ખ્યાલ આવે છે કે ત્રણ મુખ્ય સત્ય છે:
**સમગ્ર સૃષ્ટિનું મૂળ આત્મા એટલે કે પરબ્રહ્મ છે.
**આત્મા જ દરેક જીવમાં ચૈતન્યરૂપે વસે છે.
**પોતાના આત્મસ્વરૂપને ઓળખવું એ જ જીવનનું સર્વોચ્ચ જ્ઞાન અને મોક્ષનો માર્ગ છે.
“આત્મા જ સર્વનું મૂળ છે; આત્મજ્ઞાન જ જીવનનું પરમ લક્ષ્ય છે.”
ઐતરેય ઉપનિષદની મુખ્ય ફિલસૂફી આત્મજ્ઞાન અને બ્રહ્મવિદ્યા એટલે કે પરમ સત્ય પર આધારિત છે. તે સૃષ્ટિના સર્જન, જીવ અને ઈશ્વરના એકત્વ વિશે ઊંડું ચિંતન રજૂ કરે છે.આ ઉપનિષદના મુખ્ય આધ્યાત્મિક સિદ્ધાંતો નીચે મુજબ છે:
૧. સૃષ્ટિની ઉત્પત્તિ (સૃષ્ટિ વિજ્ઞાન)
જગતની શરૂઆતમાં માત્ર “એકમાત્ર આત્મા એવંમ પરમાત્મા જ અસ્તિત્વમાં હતો.અન્ય કોઈ પણ શક્તિ અથવા વસ્તુ ત્યારે હાજર નહોતી.
ઈશ્વરે સંકલ્પ કર્યો કે, “હું લોક રુપી જગતની રચના કરું.”તેમના સંકલ્પ માત્રથી જ પાણી, પ્રકાશ, પૃથ્વી અને લોકપાળો, ક્ષેત્રપાળ એટલે કે દેવતાઓ ઉત્પન્ન થયા.
ઉપનિષદ કોઈ પણ હોય, કાળની ગતિ આપણી આસપાસ એટલી હદે તીવ્રતાથી વ્યાપેલી છે કે, દેહ દેહી નું સત્ય આપણી માટે માત્ર એક માહિતી બની રહે છે ! અને એમાં આપણો કોઈ દોષ પણ નથી! કારણકે બધું જ જાણવા છતાં મારું મારું છૂટતું નથી, અને એટલે સદગુરુ બોધ આપે છે કે વ્યવહારિક દ્રષ્ટિકોણ કેળવી અને થોડુંક થોડુંક જાગરણ શકય છે! જેમ કે સમગ્ર બ્રહ્માંડમાં પહેલાં માત્ર બ્રહ્મ જ અસ્તિત્વમાં હતો , અને એણે સમગ્ર જીવ સૃષ્ટિનું સર્જન કર્યું, અને પોષણ પણ કર્યું! એટલે જીવ માત્રમાં રહેલાં આત્મ તત્વનો મૂળ સ્વભાવ સર્જન અને પોષણ છે! તો જે કંઈ શક્ય હોય એ રીતે બ્રહ્મનાં સ્વભાવને અનુસરવું. બીજું દરેક મહાન કાર્ય પહેલાં સારો વિચાર અને સંકલ્પ જરૂરી છે. પરંતુ એમાં માત્ર મહત્વાકાંક્ષા જ હોવી જોઈએ નહીં, અને એથી પણ વિશેષ આપણું ધ્યેય અન્ય માટે હિતકારી હોવું જોઈએ! અને એટલે જ મનુષ્યે કોઈ કાર્ય ઉતાવળથી નહીં, પણ વિચારપૂર્વક કરવું જોઈએ. બ્રહ્મ એ ચાર લોકનું સર્જન કર્યું અને દરેક લોકમાં વસતી જીવ સૃષ્ટિની વ્યવસ્થા ખોરવાઇ નહીં એ માટે પ્રકૃતિની રચના કરી. આપણાં હિસ્સામાં જે જવાબદારી આવી છે, એની વ્યવસ્થા અને સંતુલનનું મહત્ત્વ સમજી આપણે એ નિભાવવાની છે.પ્રકૃતિ પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના રાખવી, આમ આંતર બાહ્ય દરેક ક્ષેત્રમાં જવાબદારી અને સંચાલન જરૂરી છે. જીવનમાં આપણે પણ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. પરંતુ એ ખાસ યાદ રાખવાનું છે કે, શરીર નાશવંત છે અને એટલે એની સાથે મન બગડે નહીં એ રીતે આત્માની કાળજી લેવી જોઈએ. આત્મ ખોજ થી શરૂ થતી આ યાત્રામાં બળ, બુદ્ધિ, વિવેક, સાહસ, અને મૈત્રી, ક્ષમા, અહિંસા, કરુણા, અને શાંતિ વિશે દ્રઢ વિશ્વાસ પ્રાપ્ત થાય છે, જે આત્મ જ્ઞાન અને આત્મ દર્શન માટે બહુ મહત્વની ઉપલબ્ધિ છે. તો આપણે સૌ પરમાત્મા એટલે પાલનકર્તા! અને એટલે આત્મા પણ પાલનકર્તાનો સ્વભાવ ધરાવે છે, એ સત્યને સમજીને સ્વીકારી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું, ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
