બેઝિક વેલ્ડિંગ કોર્સ પર ૧૮ ટકા જીએસટીને લઇ વિરોધ

0
36
બેઝિક વેલ્ડિંગ કોર્સ પર ૧૮ ટકા જીએસટીને લઇ વિરોધ

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ દ્વારા અંતે કાઉન્સીલને રજૂઆત : આવા કોર્સીસને જીએસટીમાંથી મુકિતની માંગ

અમદાવાદ, તા.૨૧
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ(આઇઆઇડબલ્યુ)એ જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં ટૂંકા ગાળાના બેઝિક વેલ્ડિંગ કોર્સીસ પર લાગુ પડી રહેલા ૧૮ ટકા ગુડ્‌ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં કોઇ રાહત નહિ આપવા સામે ગંભીર નારાજગી સાથે અફસોસ વ્યક્ત કર્યો છે. ઘણા ઉદ્યોગોએ વોકેશનલ ટ્રેઇનિંગ અને શિક્ષણ માટે કોર્પોરેટ સીએસઆર ફંડ્‌સમાંથી કરવામાં આવતા ખર્ચાને સંપૂર્ણ મુક્તિ આપવા જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી છે. બેઝિક વેલ્ડિંગ કોર્સીસનો ખર્ચ છ સપ્તાહના ક્લાસરૂમ અભ્યાસ અને શોપ ફ્‌લોર ટ્રેનિંગ માટે વિદ્યાર્થી દીઠ આશરે રૂ.૪૫,૦૦૦ થાય છે. આ ફીસમાં તમામ સ્ટડી મટિરિયલ અને વેલ્ડિંગના સાધનો તેમજ ટ્રેનિંગ દરમિયાન વપરાતી વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ(આઇઆઇડબલ્યુ)એ જીએસટી કાઉન્સીલને રજૂઆત કરી પાયાના કૌશલ્ય વિકાસના આવા કોર્સીસને જીએસટીમાંથી મુકિત આપવા ઉગ્ર માંગણી કરી છે. આઇઆઇડબલ્યુ, મુંબઇના પૂર્વ ચેરમેન અને મુંબઇની ડોન બોસ્કો ટ્રેનિંગ એકેડેમીના આચાર્ય શ્રી જી.એ. સોમને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આઇઆઇડબલ્યુના કોર્સીસ માટે ટ્રેનિંગ ફીઝ પર ૧૮ ટકા જીએસટી ચુકવવો પડે છે, જેનાથી કોર્સીસ મોંઘા થવાથી વિર્દ્યાર્થીનેકોર્સ મુલતવી રાખવા કે તેમાં રુચિ રદ કરવાનીફરજ પડે છે.સ્કિલ ઇન્ડિયા હેઠળ વેલ્ડર્સ માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનએસડીસી) દ્વારા ચલાવાતા આ જ કોર્સીસને જીએસટીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ (આઇઆઇડબલ્યુ)એ જીએસટી કાઉન્સિલને વિનંતી કરી છે કે આઇઆઇડબલ્યુ- ઇન્ડિયા જેવા નફા માટે કામ નહિ કરતા સંગઠન દ્વારા ચલાવાતા વેલ્ડરોના તમામ પાયાના કૌશલ્ય વિકાસના શિક્ષણ પર જીએસટી મુક્તિને મંજૂરી આપવામાં આવે, જેથી એવા વંચિતો દ્વારા ટેકનિકલ કૌશલ્યને ઝડપથી પ્રાપ્ત કરાવી શકાય અને તેમને રોજગાર યોગ્ય અને અર્થતંત્રમાં ફાળો આપતા બનાવી શકાય.

બેઝિક વેલ્ડિંગમાં દર વર્ષે ૧.૨૫ લાખ લોકો તાલીમ પામે છે તેમાંથી આઇઆઇડબલ્યુ અને તેના ટ્રેનિંગ પાર્ટનર્સ ૧૫,૦૦૦ યુવાનોને ટ્રેનિંગ અને પ્રમાણપત્ર આપે છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગના પૂર્વ પ્રમુખ આર. શ્રીનિવાસને જણાવ્યું કે, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેલ્ડિંગ (આઇઆઇડબલ્યુ) ફેબ્રુઆરી ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં મુંબઇમાં યોજાનારીત્રણ દિવસની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને વેલ્ડ ઇન્ડિયા ટેકનિકલ પ્રદર્શનના ભાગરૂપે વેલ્ડિંગ શિક્ષણ અને રોજગાર યોગ્યતા પર એક આખા દિવસનું સત્ર યોજવા વિચારે છે. સમગ્ર વિશ્વમાંથી વિષયના નિષ્ણાતોને તેમની રજૂઆતો કરવા માટે આમંત્રણ આપવામાં આવશે અને તેની સાથે સરકારી અધિકારીઓને નિઃ શુલ્ક સલાહ માટે ઉપલબ્ધ બનાવાશે. આ સાથે એ જ સ્થળે આંતરરાષ્ટ્રીય વેલ્ડિંગમાં શ્રેષ્ઠતા દર્શાવતું એક પ્રદર્શન વેલ્ડ ઇન્ડિયા ૨૦૨૦ પણ યોજવામાં આવશે. આઇઆઇડબલ્યુ મુંબઇ શાખાના ચેરમેન અને ઇન્ટરનેશનલ કોંગ્રેસ આઇસી ૨૦૨૦ અને પ્રદર્શનની તૈયારી સમિતિના ચેરમેન શ્રી કમલ શાહે જણાવ્યું કે, આ પ્રદર્શનની મુલાકાત લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આઇઆઇડબલ્યુ પાસેથી કોમ્પ્લિમેન્ટરી પાસ મેળવવા માટે મેઇલ કરી શકે છે. આઇઆઇડબલ્યુ પાયાના કૌશલ્ય વિકાસ માટે હંમેશા કટિબધ્ધ છે.