મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરે યોજાશે

0
22
તમામ ધારાસભ્યોને બુધવારે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના અપાઈ છે
તમામ ધારાસભ્યોને બુધવારે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના અપાઈ છે

ગાંધીનગર: ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરે યોજાશે. આ માટે તમામ ધારાસભ્યોને બુધવારે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના અપાઈ છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારમાં હવે કોનું નસીબ જાગશે અને કોને મંત્રીમાંથી કાર્યકર બનાવી દેશે એના અંગે ભારે અટકળો ચાલી રહી છે એવા સમયે કાલે શપથવિધિ સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ માટે સવારે નવી દિલ્હીથી ગાંધીનગર આવી પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે બપોર પછી પોતાના નિવાસસ્થાને જ રોકાઇ પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. એમના નિવાસસ્થાને સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી. નવા મુખ્યમંત્રીએ પદભાર સંભાળ્યા પછી મંત્રીમંડળમાં કોને રાખવા અને કોને પડતાં મુકવા એના અંગે ભારે અટકળો ચાલે છે ત્યારે સ્વાભાવિક રીતે સૌ કાર્યકરોની નજર અમિતભાઇના નિવાસસ્થાને કોણ મુલાકાતે જાય છે એના ઉપર હોય. પરંતુ અમિતભાઇના કાર્યાલયમાંથી કોઇને પણ મુલાકાત આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. હાલના મંત્રીમંડળમાં એમના વિશ્વાસુ કે નજીકના મનાતા મંત્રીઓ પણ વિમાસણમાં મુકાયા છે. બીજી તરફ કાર્યકરોમાં નવા કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને સ્થાન મળશે એવી લાગણી વધારે પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓ થપથ ગ્રહણ કરે અને હાલના મંત્રીમંડળમાંથી કેબિનેટ કક્ષના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીની બાદબાકી નિશ્ચિત મનાય છે. નવા મંત્રીમંડળમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં હોય અને જો આખરી ઘડીએ નિર્ણય બદલાય તો નાયબ મુખ્યમંત્રી તરીકે હાલના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પસંદ કરાશે.