
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. વસુ, વસ્તુ, અને વ્યક્તિ આ એક એવો ત્રિકોણ છે, જેનાં ખૂણા સમ થતાં જ નથી! અને વસુ એટલે કે ધન નો મોહ ગરીબને જ હોય એવું બિલકુલ નથી! અમીર ને પોતાનું ઐશ્વર્ય કાયમ રહે એ માટેની ખેવના ગરીબ કરતાં પણ તીવ્ર હોય છે! અને વસુ, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેનો મોહ આંખ હોવાં છતાં આપણને અંધ બનાવી ચોપાટનાં પ્યાદા જેમ જીંદગીભર રમાડે છે, અને આપણે હોંશે હોંશે આ રમત રમતાં રમતાં જ ખત્મ થઈ જઈએ છીએ! કોઈ કોઈ વિરલા જ સમયે સમજી અને મોહ થી પરે થઈ શકે છે! બાકી તો પાપોન એ ગાયેલાં દમ લગા કે હયીશા! નાં ગીત જેમ યે મોહ મોહ ધાગે..મેરી ઉંગલીઓ સે જા ઉલજે.. આપણો આજનો વિષય એ નથી બાકી કવિ એ આંગળીઓની ઉપમા આપીને આ મોહ આપણાં હાથે જ વધું ઉલજે છે! એ કહીને એને આધ્યાત્મિક ઉંચાઈ આપી દીધી છે. પણ રામાયણ હોય કે મહાભારત! પોતાનાં પુત્રને જ રાજગાદી મળે એવાં મોહને કારણે એ સમયનાં સમાજે કેટલી કષ્ટી ભોગવી એ આપણે ઈતિહાસ પરથી જોઈ શકીએ છીએ! કૈકેયીનાં આવાં મોહને કારણે અયોધ્યામાં ચૌદ વર્ષ પછી રામરાજ્યની સ્થાપના થઈ! મહાભારતમાં પણ ધૃતરાષ્ટ્રનાં રાજગાદીનાં મોહને કારણે કુરુક્ષેત્રનું ભીષણ યુદ્ધ થયું! અને ધૃતરાષ્ટ્ર એ પોતાના સો પુત્રોને ગુમાવ્યા! તો આજે આપણે મહાભારત નાં એક એવાં ચરિત્ર વિશે ચિંતન કરીશું કે જેણે આ આખું યુદ્ધ આંખો ન હોવા છતાં સંજયની દિવ્ય દ્રષ્ટિને કારણે જોયું! યુદ્ધ હોય કે બુદ્ધ નો બોધ, એ કોઈની દિવ્ય દ્રષ્ટિ વગર કળવું મુશ્કેલ છે.
રાજા શાંતનુ અને સત્યવતીના દામ્પત્યથી એમને બે પુત્ર થયા, અને એમનાં મોટા પુત્ર ચિત્રાંગદનું નાની ઉંમરે મૃત્યુ થયું! એટલે નાના પુત્ર વિચિત્રવિર્યને રાજગાદી મળી.વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબિકા તથા અંબાલિકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવાં માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા, પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યાં. ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલાં પુત્ર ઋષિ વેદવ્યાસને, અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ ધૃતરાષ્ટ્રની માતા બની, અને અંબાલિકાથી પાડુંનો જન્મ થયો.ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુરને શિક્ષા ભીષ્મએ આપી. જેમા ધૃતરાષ્ટ્ર ખુબજ બળવાન હતા, પાંડુ ધનુર વિદ્યામાં તથા વિદુર નીતિમા નિપુણ હતા. તે અંધ હોવાને લીધે તેમની બદલે પાંડુને રાજા બનાવવામા આવ્યા. પરંતુ આ વાત ધૃતરાષ્ટ્રને અંતરથી ખુંચતી રહી.રાજગાદી નસીબમાં લખાયેલ હોવાથી, પાંડુના અકાળે અવસાનને લીધે તેમની જગ્યાએ ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યા. પરંતુ કુંતી અને ગાંધારીનાં બધાં પુત્રોમાં યુધિષ્ઠિર સૌથી મોટો હોવાથી યુવરાજ પદનો નૈસર્ગિક અધિકારી હતો. પરંતુ, ધૃતરાષ્ટ્રનો રાજગાદી પ્રતયેનો મોહ તેને પોતાના પુત્ર દુર્યોધનને રાજ્ય આપવા પ્રેરતો હતો. આખરે વિવાદ ટાળવા માટે ધૃતરાષ્ટ્રએ હસ્તિનાપુરના બે ભાગ કરી બિનઉપજાઉ તથા ભૌગોલિક રીતે પ્રતિકુળ એવું ખાંડવપ્રસ્થ પાંડવો ને આપ્યું.
પરંતુ યુધિષ્ઠિર અને એમનાં ભાઈઓ એ ખાંડવપ્રસ્થને ઈન્દ્રપ્રસ્થમાં ફેરવી નાખ્યું અને ત્યાં સુખ સમૃદ્ધિની નદીઓ વહેવા લાગી, ત્યારે યુધિષ્ઠિરને દ્યુત ક્રિડા માટે આમંત્રણ આપ્યું અને ત્યાં શકુની, દુર્યોધન, દુશાસન, અને કર્ણ સામે જ્યારે દ્યુત હાર્યા, ત્યારે ધૃતરાષ્ટ્ર તે સભામાં હાજર હતાં. દર એક પાસા સાથે એક પછી એક એમ રાજા યુધિષ્ઠિર પોતાનું રાજ્ય, પોતાની સંપત્તિ, પોતાના ભાઈ અને છેવટે પોતાની પત્નીને પણ હારી બેઠાં. જ્યારે દુશાસને ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યાં. છેવટે, પાંડવોના ક્રોધાવેશ તળે થનારા વિનાશનો અંદેશો આવતા તેમનું હૈયું ભયાંવીત થયું, અને અંતરાઅત્મા જાગૃત થયો. પાંચ ભાઈઓનાં ક્રોધને ખાળવા તેમણે પાંડવો દ્વારા દ્યુતમાં ગુમાવેલુ સર્વ તેમને પાછું દઇ દીધુ. શકુનીએ ફરી એક વાર યુધિષ્ઠિરને રમવા લલકાર્યો, અને હાર્યો જુગારી બમણું રમે એમ ફરી યુધિષ્ઠિર હાર્યા, અને આ વખતે હારનું ઋણ અને પોતાનું રાજ્ય મેળવવા માટે 14 વર્ષ વનવાસમાં ગાળવાની શર્ત રાખવામાં આવી. ધૃતરાષ્ટ્રને ઘણાં લોકોએ સલાહ આપી કે પાંડવો પોતાનું આવું અપમાન ભુલશે નહિ. તેમને ફરી ફરીને એ પણ યાદ દેવડાવવામાં આવ્યું કે પિતા તરીકેના તેમના પ્રેમ કરતાં રાજા તરીકેનું તેમનું કર્તવ્ય પહેલાં આવવું જોઇએ! પણ સમયે સમજ્યા નહીં અને પરિસ્થિતિ કુરુક્ષેત્રના યુદ્ધમાં પરિણમી.
આ યુદ્ધમાં અંધ હોવાને કારણે ધૃતરાષ્ટ્ર ભાગ લઈ શકે એમ નહોતા, ત્યારે ભૂત ભવિષ્ય અને વર્તમાન જોવાની વ્યાસ ઋષી દ્વારા મળેલી દિવ્ય દૃષ્ટીથી સારથિ સંજયે અંધ રાજા ધૃતરાષ્ટ્ર સમક્ષ કુરુક્ષેત્રના યુદ્ધની મહત્વની ઘટનાઓનું વર્ણન કર્યું. દિવસે દિવસે ભીમ દ્વારા હણવાતા પોતાના પુત્રોની સંખ્યામાં થતો વધારો જોઇ તે ચિંતિત થઈ ઉઠતાં. દુર્યોધનને યુધ્ધમાં જતો રોકવાની પોતાની મજબૂરી માટે તે પોતાને વારંવાર કોસતા રહ્યાં. સંજય તેમને સાંત્વન આપતાં રહ્યાં, પણ એ પણ યાદ દેવડાવતાં રહ્યા કે ધર્મ પાંડવોના પક્ષે છે, અને અર્જુન અને કૃષ્ણ સામેનું યુદ્ધમાં ગમે તેટલું બળ હોય તેમ છતાં જીતી શકાય નહિ.
કુરુક્ષેત્રના મહાયુદ્ધના અંતે પોતાનાં 100 પુત્રોના મૃત્યુથી અંધ રાજા ધૃતરાષ્ટ્ર અત્યંત શોકાતુર થઇ ગયાં. સિંહાસન પર બેસવા પહેલાં જ્યારે પાંડવો તેમની પાસે આશિર્વાદ મેળવવા ગયાં, ત્યારે તેમણે સૌને બાથમાં લીધાં. કૃષ્ણ જાણતાં હતાં કે વ્યાસજી દ્વારા મળેલા વરદાન થકી, અંધ રાજા ધૃતરાષ્ટ્રમાં હજાર હાથીઓનું બળ હતું. ભીમનો વારો આવ્યો ત્યારે ચપળતાથી ભીમને હટાવી તેમણે લોખંડની ભીમની મૂર્તિ આડી ધરી દીધી.જ્યારે ધૃતરાષ્ટ્રના મગજમાં એ વાત યાદ આવી કે, જે વ્યક્તિને તે ભેટી રહ્યાં છે, તેણે જ તેનાં 100 પુત્રોનો દયાહીન થઈ વધ કર્યો છે, ત્યારે તેનો ક્રોધાવેગ એટલો પ્રચંડ બની ગયો કે લોખંડની મૂર્તિ ભસ્મ બની ગઇ. આમ કૃષ્ણની ચપળતા અને દીર્ઘ દ્રષ્ટિ ને લીધે ભીમ બચી ગયા. ધૃતરાષ્ટ્રએ પોતાને સંભાળ્યા અને પાંડવોને આશિર્વાદ આપ્યાં.
યુધિષ્ઠિરને ઇંદ્રપ્રસ્થ અને હસ્તિનાપુર બન્નેના રાજા બનાવવામાં આવ્યાં. યુદ્ધમાં બન્ને પક્ષે ધણાં મહાન વીર અને અસંખ્ય સૈનિકો માર્યા ગયાં હતાં. યુધિષ્ઠિરે ફરી દયા બતાવીને ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરના રાજા બની રહેવા કહ્યું. ધૃતરાષ્ટ્રની ભૂલો અને તેના પુત્રોની દ્રૃષ્ટતિ છતાં યુધિષ્ઠિરે તેમને વડીલ તરીકે પૂરું સન્માન અને સલામતી આપી, આ જોઈ એ ગદગદ થઇ ગયા, અને યુધિષ્ઠિરએ પંદર વર્ષ સંયુક્ત શાસન કર્યું, જેમાં ધૃતરાષ્ટ્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું. પછી ધૃતરાષ્ટ્ર ગાંધારી કુંતી અને વિદુર સાથે વાનપ્રસ્થાશ્રમ માટે જંગલમાં ચાલ્યાં ગયાં, અને હિમાલયના જંગલમાં લાગેલી એક દાવાનળમાં મૃત્યુ પામ્યાં.
ધૃતરાષ્ટ્ર પહેલાં સત્યવતી નો વારસદાર માટેનો મોહ, અને મોહ સાથે સાથે જો ઈર્ષા પણ જોડાય તો મહાભારત રચાય ! એટલે કે પાંડવોને ખાંડવપ્રસ્થ આપી દીધાં પછી એની હસ્તિનાપુર ની રાજગાદી સલામત હતી, પરંતુ પાંડવો એને ઈન્દ્રપ્રસ્થ બનાવી સુખ શું કામ ભોગવે છે! એ ઈર્ષાને કારણે એ રાજ્ય પડાવી લેવા દ્યુતની આખું ષડયંત્ર રચાયું! જોકે પાંડવો રમવાનો ઈન્કાર કરી શક્યાં હોત! અથવા તો રાજ્ય કે પત્ની એને દાવ પર લગાવવું યોગ્ય નથી એવું વિચારી શક્યા હોત! આવી તો એવી કેટલીય વાતો છે, જેને આપણે પડદા પાછળની લીલા તરીકે સ્વીકારવી પડે છે! પણ મૂળમાં વસુ, વસ્તુ, અને વ્યક્તિનાં મોહનું આ પરિણામ છે! એ વાત યાદ રાખી, આપણી આંગળીઓથી એ ધાગાને દૂર રાખીએ ! જેથી એની ઉલ્જન સુલઝાવવામાં જીંદગી ચાલી જાય નહીં! એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારાં આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
