
સૌ પ્રથમ તો ચૈત્રી નવરાત્રી પૂરી થઈ અને એ નિમિત્તે સદગુરુ ભગવાનનાં ચરણોમાં કોટી કોટી વંદન અને સાથે સાથે સ્વર્ગસ્થ મમ્મી પપ્પા તેમજ ઘર પરિવારના વડીલો અને આપ સ્નેહીઓને મારા પ્રેમ પ્રણામ. વિશ્વ શાંતિ માટે કરાયેલાં અનુષ્ઠાનની પૂર્ણાહુતિ એ આપણને એટલું તો અવશ્ય સમજાયું હશે કે, અંતરમાં રામત્વ ઉજાગર કરવાં માટે સિદ્ધી નહીં પણ શુદ્ધી જરૂરી છે. સદગુરુ કૃપાથી લખાતાં ચિંતન માટે ઘણાં પ્રતિભાવ આવે છે! જીવ સહજ ખુશ થવાય પણ અંતે તો માતાપિતાનાં ચીંધેલા માર્ગ પર ચાલીને સંસ્કાર નિભાવવાનો સંતોષ છે! મમ્મીનું પૂજા સમયનું નાનકડું વાક્ય, હે ઠાકોરજી માની લેજો! અમે સંસારી છીએ એટલે સંયમ નિયમ તૂટે! પણ તમે એને નજર અંદાજ કરીને અમારો ભાવ જોજો.બીજું પપ્પા જમ્યાં પછી રોજ બોલતાં, હે ઈશ્વર મીઠું રોટલી આપી રહેજે! ત્યારે એ પણ ન સમજાતું, પણ આજે સમજાય છે કે, મીઠું રોટલી મળશે ત્યાં સુધી, સત્ય,નીતિ, અને પ્રમાણિકતા નહીં છોડું. તો એ રીતે એમને યાદ કરીને પ્રણામ પાઠવી વિષય તરફ આગળ વધીએ. રામને તત્વતઃ સમજવાં જુદી રીતે કોશિશ કરીએ, કારણ કે ત્રેતા યુગથી આ કળિયુગ સુધી દશરથ નંદન, કૌશલ્યા કુંવર, રામને દર રામનવમી એ જન્માવતાં આવ્યાં છીએ, પરંતુ અંતરમાં હજી રામ તત્વનો અનુભવ જોઈએ તેટલો થતો નથી. શ્રીરામને વિશ્વ વંદનીય બનાવવાં અનુજ લક્ષ્મણ એટલે જાગૃતિ અને તેની પત્ની જાનકી એટલે પ્રિતી, ભક્તિ, અને શાંતિ ઉપરાંત હનુમાનજી એટલે શરણાગતિ જરુરી છે! શ્રીરામનાં જન્મ માટે દશરથ અને કૌશલ્યાનું હોવું અનિવાર્ય છે, પરંતુ આ બાલરામને શ્રીરામ બનાવવા માટે કૈકેયી, સુમિત્રા, જાનકી, ગુરુ વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર,સુમંત્ર, ભરત, લક્ષ્મણ, અને ત્રણેયની પત્ની માંડવી, ઉર્મિલા, શ્રુતકિર્તી, અને મંથરા એવાં કેટલાંય ચરિત્રો અનિવાર્ય છે. પણ સાથે સાથે અયોધ્યાની પ્રજા અને 14 વર્ષનાં વનવાસ દરમિયાન જેટલાં જેટલાં સાથે એમની મુલાકાતમાં મળેલા હનુમાનજી, સુગ્રીવ, અંગદ જાંબુવંત નલ નીલ અને બીજા કેટલાય વાનર! સુતીષ્ણ, માતા શબરી! અને રાવણ, મંદોદરી, શૂર્પણખા, ત્રિજટા, કુંભકર્ણ વિભીષણ, મેઘનાદ અને એનાં બીજા પુત્રો! લંકામાં વસતાં તમામ રાક્ષસો તેમજ હનુમાનજીનાં માર્ગનાં અવરોધ બનતાં તમામ ચરિત્રો! આ વાતનું સમર્થન કરવાં જરા જુદી રીતે ચિંતન કરીએ તો અમુક ચરિત્રો ગુણવર્ધક હતાં તો અમુક ચરિત્રો અવગુણ ધરાવતા હતાં. પણ આજનાં સમયમાં આપણે રામ તત્વને કંઈ રીતે મુલવી શકીએ! અથવાં તો આપણાં ઘટમાં રામ તત્વ જન્મ્યું છે કે નહીં? એની ખાતરી કઈ રીતે કરી શકીએ! તો આ ગુણ અવગુણ ધરાવતાં બંને પક્ષોને જે સમાન દ્રષ્ટિએ જોવે, પરમાત્માની લીલાનું કારણ સમજી સૌ સાથે જે સમાન અનુબંધ બાંધી શકે, એનામાં જ રામ તત્વ ઉજાગર થયું છે, એવું સાબિત થાય.
આપણે આ નવ દિવસ આપણાં ઘટમાં તત્વ રૂપે રામને જન્માવવા વિશિષ્ટ અભિયાન આદર્યું હતું! એટલે કે આપણું આ કુંડલીની જાગરણ નિમિત્તે કરાયેલું અનુષ્ઠાન સમાપ્ત થયું! યોગ એટલે ભોગ, ઉપભોગ ત્યજીને સાધન વગર કરવામાં આવતી સાધના! કે જેમાં બધું જ ધારવાનું હોય છે! ઈશ્વર તત્વની પણ જ્યાં માત્ર ધારણા છે! એટલે કે હજી કોઈ ઠોસ પ્રતિતિ નથી. પણ જગત મિથ્યા છે, કે સંસાર સાર વગરનો છે, અથવા મારાં જીવનનું નિયત કર્મ શું છે? સમગ્ર સૃષ્ટિ સંચાલનનું રહસ્ય શું છે? શું હું સાચે જ 84 લાખ યોનીનું ભ્રમણ કરીને માનવ જન્મ સુધી પહોંચ્યો છું? આવાં કોઈ સવાલનાં જવાબ માટે જો યોગ સાધના કે આધ્યાત્મિક ચિંતનનો આરંભ થયો હોય, તો એ ખરેખર કોઈ અનૂભૂતિ ગમ્ય પરિણામ આપે છે, અને સિદ્ધિ નહીં પણ તત્વતઃ બ્રહ્મ સુધી પહોંચવા શુદ્ધિની જરુરત છે, એ સત્ય સુધી અવશ્ય પહોંચી શકાય છે.
ઉપર આપણે 84 લાખ યોનીની વાત કરી! હવે મનુષ્ય બન્યાં પહેલાં એ બધાં જન્મો માંથી પસાર થઈને આવ્યાં છીએ, કે મનુષ્ય માંથી માનવી બની શક્યાં નહીં માટે હવે એ બધી શ્રેણીઓમાંથી પસાર થવાનું છે! એ આપણે જાણતાં નથી. પરંતુ આપણી આસપાસની જીવસૃષ્ટિ ઉપરાંત અસંખ્ય કીટકો, પશુ, પંખીઓ, એકકોષી બહુકોષી ભૂચર, જળચર, અને જેની આપણને કલ્પના પણ ન હોય એવાં તમામ જીવ થઈને 84 લાખ થાય છે, એ વાત તો સાચી માની શકાય. પણ મને લાગે છે કે એ બધાં અન્ય જીવ જે સ્વરૂપે જન્મ્યા હોય એ જ સ્વરૂપે આખું જીવન જીવે છે. એટલે કે કીડી કીડી થઈને જ મરે છે, અને વાઘ વાઘ થઈને જ! પણ આપણી દિનચર્યાનું આપણે ચિંતન કરીએ તો મને લાગે છે કે મનુષ્ય એક જ જન્મમાં 84 લાખ યોનીના જીવનાં સ્વરૂપને ક્યારેક ને ક્યારેક તો ધારણ કરી જ લે છે. ક્યારેક આપણે કુતરા જેમ ભસતાં હોઈએ છીએ, તો ક્યારેક બિલાડી જેમ ચૂપચાપ કોઈનું હજમ કરી જતાં હોઈએ છીએ, ઉંદર જેમ સારું ખરાબ વિચાર્યા વગર કાપકૂપ કરતાં હોઈએ છીએ, તો ક્યારેક ભેંસ જેમ આળસુ બની પડ્યાં રહીએ છીએ! ક્યારેક સાપ જેમ ઝેર ઓકતાં હોઈએ છીએ! હાં ક્યારેક ગાય બની સ્વાર્થ વગર અન્યનું પોષણ પણ કર્યું હશે, તો ક્યારેક તો સિંહ વાધથી પણ વધુ હિંસક થઈ ધાતકી બની ન કરવાં જેવું કરતાં હોઈએ છીએ! હાથી જેમ ઉદરમાં કેટલુંય નાખ્યું પણ ઉદાર બની શક્યા નહીં! બાકી અન્ય જતું અને કિટકની સંકુચિતતાથી નીંદા, કુથલી, ઈર્ષા, અને બીજા એ કેટલાંય ભાવનો કચરો માનસમાં ભેગો કરતાં હોઈએ છીએ! જેમ જેમ ચિંતન કરતા જઈશું તેમ તેમ આપણા જીવનનાં એક પછી એક પાનાંઓ ખુલશે, અને આપણી સામે આ સત્ય પ્રકાશિત થશે! અને આપણને ખ્યાલ આવશે કે આપણે સ્વધર્મ ચૂકી ગયા! એટલે કે કીડી કીડી તરીકે જ જન્મી હતી, ને કીડી તરીકે જેનું મોત થયું. પરંતુ આપણી છેલ્લી અવસ્થામાં શરીરથી ભલે મનુષ્ય હોઈએ પણ આપણે ક્યાં આંતર સ્વરૂપે હોઈશું, એ આપણે જાણતા નથી! અને એટલે જ હ્રદયમાં રામ તત્વનો જન્મ થવો અનિવાર્ય છે! કારણકે આ એક જ તત્વ એવું છે, જે આપણને સ્વધર્મમાં રોકી રાખે છે. આપણને કુતરા, બિલાડા, કે ઉંદર, ગરોળી, સાપ, ભેંસ, ગધેડા, જેવી શ્રેણીમાં જતા રોકે છે, અને એ જ રીતે માનસની સંકુચિતતા પણ ઘટે છે, એટલે કીડી, મકોડા, માખી, મચ્છર, જેવી માનસિકતા પણ ઓછી થતી જાય છે. આપણે મનુષ્યમાંથી માનવી ન બની શક્યાં એ માટેનું એક કારણ વિજ્ઞાન પણ છે! આપણે આપણી સુખ સુવિધા વધારવા માટે એવી એવી શોધ કરી કે જેને કારણે આપણી દ્રષ્ટિ ભોગમાંથી યોગ તરફ ગઈ જ નહીં! હા ધાર્મિક મેળાવડા કર્યા, તહેવારો ઉજવ્યા, ઘરમાં ભગવાનનાં ફોટા રાખ્યા, નિયત સમયે ધૂપ દીપ કર્યા. નિયમ અનુસાર નામ કે જાપ પણ કર્યા, પરંતુ એ બધું જ કરવાં ખાતર કર્યું, એટલે ફળ્યું નહીં, અને આપણે મનુષ્યમાંથી માનવી બની શક્યા નહીં! બાપુ કહે છે તેમ આ યુગ તો પ્રેમયુગ છે! આ યુગ તો કથા યુગ છે! આપણી વ્યથા ભૂલ્યાં વગર કથાનું મહત્વ સમજાતું નથી , તો વ્યથાનું દામન પકડી બહુ જીવ્યાં, અને સંજોગોના ખૂબ રોદણાં રોયાં, હવે એ છેડો જ ફાડી નાખીએ, કે જે સતત વેદનાં આપે છે, એટલે કે ભૂતકાળની એ તમામ સ્મૃતિઓ ભૂલીને, વર્તમાનમાં સ્થિર થઈએ કે હજી આપણે શું કરી શકીએ તેમ છીએ? અને એવાં એક નવાં અભિગમ દ્વારા અંતરમાં રામ તત્વને આપણે સૌ જન્માવીને પુરા વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સર્જી શકીએ તેમ છીએ, તો એ તરફ આપણા ડગલા પડે, તો જ તત્વતઃ રામ અંતરમાં જન્માવી શકીશું. જય ભવાની.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
