
રત્નાવલીમાં પણ સાધુતાનાં પાંચે પતિને પ્રતિપાદિત કરી શકાય છે, તુલસીદાસજીનાં જીવનનાં આગળનાં ઘાટ પર જતાં પહેલાં રત્નાવલી વિશે મારી પાસે ઘણું આવે છે, પરંતુ કાગળ પર લખાયેલું કહેવું, એનાં કરતાં કાળજામાં કોતરાયું છે, એ કહેવું વધુ યોગ્ય છે.
માનસ રત્નાવલીનાં બીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે જેમ નદી સરોવરને ઘાટ હોય છે, એમ તુલસીનાં જીવનમાં સાત ઘાટ છે. તુલસીદાસજીનાં જીવનનો પહેલો ઘાટ હુલસી ઘાટ છે, કે જ્યાંથી ગોસ્વામીજીનું પ્રાગટ્ય થયું, દરેકનાં જીવનનો પ્રથમ ઘાટ માતા હોય છે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ એનું સ્મરણ પણ કર્યું છે.
સંભુ પ્રસાદ સુમતિ હિય હુલસી,
રામ ચરિતમાનસ કવિ તુલસી.
સંદર્ભ ભલે જુદો હોય પણ હુલસી શબ્દ લખતી વખતે, તુલસીદાસજીને માતૃ સ્મરણ થયું હશે.
તુલસીદાસજીનાં જીવનનો બીજો ઘાટ રત્નાવલી ઘાટ છે, ઇતિહાસ શું કહે છે? એમાં આપણે નથી જવું, પરંતુ આધ્યાત્મની રીતે તુલસી અને રત્નાવલી બંને અભિન્ન સાધુ તત્વ છે. મહાભારતની દ્રૌપદી એ સાધુતા છે, અને દ્રૌપદીને પાંચ પતિ છે, તો સાધુની સાધુતાને પણ પાંચ પતિ હોય છે. આપણી પૌરાણિક કથાઓમાં સૌથી પહેલા કોઈએ વિષ પીધું હોય તો એ ભગવાન શંકર, ત્યારબાદ ઘણાં વર્ષો પછી પાશ્ચાત્ય જગતમાં સોક્રેટિસ, પછી રાજસ્થાનની મીરાંબાઈએ, અને પીતાં પીતાં જે ઝેર બચ્યું હતું એ સાધુઓને પીવું પડે છે, ક્યારેક નરસિંહ પીવે, ક્યારેક તુકારામ, આમ ઘણાં! સાધુતાનાં પહેલા પતિ ગણપતિ, સાધુનો વિનય વિવેક! વિનય વિવેક હોય તો જ ઝેર પી શકાય છે. સાધુતાનાં બીજા પતિ છે લક્ષ્મીપતિ,આ સાધુતામાં વૈરાગ્યનું એશ્વર્ય, સહજતાનું એશ્વર્ય, અને શરણાગતિનું એશ્વર્ય દેખાય છે. સાધુતાના ત્રીજા પતિ પાર્વતી પતિ વિશ્વાસ! જે ઘણી ભૂત વિશ્વાસનું પ્રતીક છે, એ ક્યારેય શિવ રુપી કલ્યાણની નિંદા નહીં કરે. સાધુતાનાં ચોથા પતિ સૂર્ય, અજવાળું, પ્રકાશ તેજસ્વીતાનાં દાતા છે. સાધુતાનાં પાંચમા પતિ સ્વામીની નાં રૂપમાં છે, એટલે કે ભગવતી પાર્વતી જેને ગોસ્વામીજી શ્રદ્ધાના રૂપમાં પ્રસ્તુત કરે છે. સાધુની શ્રદ્ધા ક્યારે અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા નથી હોતી, અખંડ શ્રદ્ધાવાન હોય એ સાધુ. જેવી રીતે દ્રૌપદીનું પ્રાગટ્ય અગ્નિકુંડમાંથી થયું એમ સાધુનું પ્રાગટ્ય પણ અગ્નિમાંથી જ થાય છે!: દ્રૌપદી જેમ કોમાર્ય લઈને પ્રગટી હતી, એમ સાધુ પણ યુવાન હોય છે. દ્રૌપદીનું ચીર હરણ થયું સાધુતાનાં ચીર પણ ખેંચાતા રહે છે, દુઃસાશન વ્યક્તિ ન્હોય તો દૂષાસન વૃત્તિ હોય! દ્વેષ વૃત્તિનું નામ દુઃસાશન છે. દ્રૌપદીરૂપી સાધુતા અગ્નિકુંડ માંથી પ્રગટ થાય છે, અને હિંમકુંડમાં સમાહિત થાય છે.
રત્નાવલીમાં પણ સાધુતાનાં પાંચે પતિને પ્રતિપાદિત કરી શકાય છે, તુલસીદાસજીનાં જીવનનાં આગળનાં ઘાટ પર જતાં પહેલાં રત્નાવલી વિશે મારી પાસે ઘણું આવે છે, પરંતુ કાગળ પર લખાયેલું કહેવું, એનાં કરતાં કાળજામાં કોતરાયું છે, એ કહેવું વધુ યોગ્ય છે.
રત્નાવલીએ તુલસીને પંચ ભૌતિક કાયાનો મર્મ સમજાવી જાગૃત કરી દીધા! ચિત્રકૂટમાં તુલસીદાસજી હતાં, ત્યારે ઘણાએ રત્નાવલીને કહ્યું કે આપ એકવાર મળી આવો, પરંતુ એમણે એના માર્ગમાં વિધ્ન આવે નહીં, એટલે મળવાનું ટાળ્યું. વ્યાસપીઠને રત્નાવલીમાં ઉર્મિલા માંડવી શ્રુતિકીર્તિનું ચિત્ર દેખાય છે!; વ્યાસપીઠની દ્રષ્ટિએ રત્નાવલી કંઈક વિશેષ છે અને એટલે જ તુલસીદાસજી ગોસ્વામી છે, જ્યારે રત્નાવલી તો જન્મથી જ ગોસાઈ એટલે કે જીતેન્દ્રિય છે. રત્નાવલી માતૃ શરીર પંચ ભૌતિક શરીરથી બનેલું તો છે જ, પરંતુ એના વિગ્રહમાં ગુરુકૃપાથી બીજા પાંચ તત્વો પણ દેખાય છે. પ્રથમ તત્વ,રત્નાવલીનાં શરીરમાં રૂપ,એ અતિ સુંદર હતાં! તુલસીદાસજી આમ જ કંઈ વૈરાગી બન્યાં નથી. કથા મુજબ તુલસી એક સબને નૌકા સમજી, સર્પનું દોરડું પકડી રત્નાવલી સુધી પહોંચ્યા હતાં! આ રત્નાવલીનાં નૂરાની રૂપની એકાગ્રતામાં તલ્લીન થયેલાં તુલસીની સ્થિતિ શું હશે? એ જ બતાવે છે કે રત્નાવલી અત્યંત સુંદર સ્ત્રી હતાં. રૂપ હોવું એ કોઈ ખરાબ વાત નથી ઈશ્વરનું વરદાન છે, પરંતુ કોઈપણ રૂપની પ્રસ્તુતિ માટે “કામ”ભાવને લાવવો જ પડે, એ સત્ય સ્વીકારવું રહ્યું. બીજું તત્વ છે શીલ, રૂપની સાથોસાથ શીલનું હોવું પણ અનિવાર્ય છે. રત્નાવલીમાં શીલ છે, શીલનું બળ ખૂબ જ છે. માનસમાં અહલ્યાનું પાત્ર જુઓ, અહલ્યાને પામવા ઈન્દ્રે ગૌતમનો વેશ ધર્યો તપસ્વીનો વેશ ધરીને આવ્યો, અહલ્યા છેતરાઈ ગઈ, એટલે ક્યાંક એ રૂપવતી અહલ્યાનું શીલ ચલિત થયું હશે, મારે એટલું જ કહેવું છે કે, જ્યારે શીલ ચલિત થાય, ત્યારે વ્યક્તિ શીલા એટલે કે જડ બની જાય છે. ત્રીજું તત્વ છે, સ્મરણ. રત્નાવલીમાં સ્મરણ ખૂબ જ છે, એને નિરંતર સ્મરણ કર્યું. ઘણાનો દાવો છે કે, તુલસીદાસજી વિશ્વમાં પ્રતિષ્ઠા પામી ગયાં, પરંતુ એમણે જીવનભર એક સ્ત્રીને અંધારામાં નાખી દીધી. મારો આત્મા આ વાતનો સ્વીકાર કરતો નથી, આપણે શું કામ બોલવું જોઈએ! રત્નાવલીને બોલવા દો! એને તુલસીનું સ્મરણ કર્યું, તું એટલે તુરિયાતીત રામ, લ એટલે લક્ષ્મણ, સી એટલે સીતા, તુલસીનો મતલબ છે, રામ લક્ષ્મણ સીતા. ચોથુ તત્વ છે સમર્પણ, બુદ્ધનાં જીવનની એક વાત યશોધરાએ તથાગત બુદ્ધને કહ્યું કે, આપ જે તત્વ શોધવાં નીકળ્યાં હતાં એ તત્વ શું મારાં ઓરડામાં નહોતું? આપ મારાં બાળકને અને મને છોડીને નીકળી ગયાં આપને જરા પણ કરુણા આવી નહીં ? અને દુનિયા આજે આપને કરુણા મૂર્તિ કહે છે, હું મારા આત્માને એ વાત કેવી રીતે સમજાવું? પરંતુ રત્નાવલીએ કોઈ એવી વાત ઉઠાવી હોય, એવું જાણવામાં આવ્યું નથી. તુલસી વૈરાગી બન્યા, અને રત્નાવલી ઘરમાં રહીને અનુરાગી બન્યા! અતિ વૈરાગ્યથી પણ પરમતત્વ પ્રાપ્ત થતું નથી, અને અતિ ભોગથી પણ પરમતત્વ પ્રાપ્ત થતું નથી, બહાનું હોય છે અધ્યાત્મ માર્ગનું! આ સ્ત્રી વહી, વહેતી રહી, જોગણ બની ગઈ. પાંચમું તત્વ છે સેવા, ઇતિહાસમાંથી પ્રમાણ મળે છે કે એમણે સમાજની ખૂબ જ સેવા કરી, અને 500 વર્ષ પહેલા પતીત દિન હીન મહિલાઓને ઉભી કરી હતી. મારા મનમાં એમના માટે અપાર ઇજ્જત છે, ત્રાજવાનું જે પલ્લુ ભારે હોય એ નીચે જાય છે, અને એ રીતે એક બાજુ તુલસીદાસજીને બીજી બાજુ રત્નાવલીને બેસાડવામાં આવે તો એમનું ચરિત્ર એટલું મહાન છે કે, એ નીચું રહ્યું પરંતુ એણે તુલસીનાં પલ્લાને ઊંચાઈ આપી દીધી.
તુલસીદાસજીનાં જીવનનો ત્રીજો ઘાટ છે નિષાદ ઘાટ, કે જ્યાં કેવટે ભગવાન રામના ચરણ પખાળ્યા હતાં અને ત્યારબાદ એ ઘાટનું નામ રામઘાટ પડ્યું. ચોથો ઘાટ છે ચિત્રકૂટ નો, જ્યાં વનવાસનો મોટા ભાગનો સમય પસાર થયો. પાંચમો ઘાટ જ્ઞાન ઘાટ છે, ગોદાવરીના તટ પર પંચવટીના પ્રાંગણમાં લક્ષ્મણજી ભગવાન રામને પાંચ પ્રશ્ન પૂછે છે, અને અહીં જાગૃતિ જન્મી હતી. છઠ્ઠો ઘાટ ગૌઘાટ છે જે અયોધ્યાનો રામરાજ્ય સ્થાપિત થયા પછીનો છે, આ ગૌઘાટ પર બધા કંઈક વિશેષ પામવા માટે જતાં હતાં. સાતમો ઘાટ શરણાગતિનો ઘાટ, જ્યાં તુલસીદાસજી સ્વયં બેઠા છે.
ભરત રૂપી સમુદ્રનું મંથન કર્યું તો એમાંથી ચૌદ રત્નો નીકળ્યાં! એની વિશે આપણે વાત કરી છે. મેં પણ રામચરિત માનસનું મંથન કરી કેટલાક નારી રત્ન તારવ્યા છે. પ્રથમ રત્ન ભગવતી પાર્વતી, બીજું રત્ન છે જલંધરની પત્ની વૃંદા. ત્રીજું રત્ન છે, મા કૌશલ્યા. ચોથુ રત્ન છે વિશ્વ મોહિની માયા રૂપ લક્ષ્મી. પાંચમું રત્ન છે તપસ્વીની અહલ્યા, અહલ્યા ન હોત તો રામને પતિત પાવન નું બિરુદ ન મળ્યું હોત. જાનકી ઉર્મિલા માંડવી શ્રુતકીર્તિ બધાં જ રત્ન છે. અયોધ્યા કાંડમાં ભગવતી સુનયના પણ એક રત્ન છે. અરણ્યકાંડમાં અનસૂયા અને ભક્તિ સ્વરૂપ આ શબરી. કિષ્કિંધા કાંડમાં સ્વાદ સાધ્વી સ્વયંપ્રભા, વાલીની ધર્મ પત્ની તારા. સુંદરકાંડમાં લંકીની, અને ત્રિજટા રત્ન છે. લંકા કાંડમાં મંદોદરી રત્ન છે, ઉત્તર કાંડમાં કામિહી પિયારી જીમી કહી અપ્રગટ રીતે રત્નાવલી રત્ન છે. કથાનાં ક્રમમાં યાજ્ઞવલ્જી ભરત સમક્ષ રામકથાનાં આરંભે પ્રથમ શિવ તત્ત્વની ચર્ચા કરી બીજા દિવસની કથા અને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
