
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘એક આતંકવાદી દેશ સાથે મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે.’ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરશે અને મેચનો વિરોધ કરશે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘આપણા સૈનિકો સરહદ પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે, શું આ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ? મારા પિતા (બાળાસાહેબ ઠાકરે) એ જાવેદ મિયાંદાદને કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી ક્રિકેટ નહીં રમાય.’એક દિવસ પહેલા જ આદિત્ય ઠાકરે કહ્યું હતું કે, ‘ભાજપે પોતાની વિચારધાર બદલી નાખી છે. લોહી અને પાણી એક સાથે ન વહી શકે, તો ક્રિકેટ મેચ કેવી રીતે થઈ શકે. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમે આ પહેલા પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને ફરજ દરમિયાન શહીદ થયેલા સૈનિકોનું અપમાન ગણાવ્યું હતું. તો, શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP) એ કહ્યું કે, મેચ માટે પરવાનગી આપવાથી સરકારના બેવડા ધોરણો છતા થાય છે.’
