રાજ્યના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત, 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે

0
8
નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણય
PSI કે તેથી ઉપરના અધિકારી CCTV માગી શકશે

અમદાવાદ : જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે. તેમજ 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે. જાહેર સલામતિ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે. જેનો 1 ઓગસ્ટ, 2022થી અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિક્સિત ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી CCTV કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.આ અિધનિયમ અનુસાર એકજ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન 1 હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ CCTVલગાડવાના રહેશે. એટલું જ નહી, 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વીડિયો ફૂટેજ માંગી શકશે. આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતિની રચના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.તદઅનુસાર, મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતિના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઈ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિએશનના 3 કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે.પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતિના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે. આવી સમિતિ દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં 6 મહિનાની અંદર લેવા સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે.આ અધિનિયમમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતી સમિતિ કે જાહેર સલામતિ પેટા સમિતિ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી બે દિવસની નોટીસ/સૂચના આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં CCTV કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતિને પોતાનો અહેવાલ આપશે.કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જાહેર સલામતી સમિતિ દ્વારા કરવામાં આવેલા હુકમ સામે 30 દિવસની મર્યાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી શકશે. તેવી જોગવાઇ પણ આ અધિનિયમમાં રાખવામાં આવેલી છે.જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અપીલ દાખલ કર્યાની તારીખથી 60 દિવસમાં નિર્ણય આપવાનો રહેશે. તેમજ દંડની રકમ મહેસુલી રાહે વસુલ કરવાની રહેશે. આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયો વધુ સંગીન બનશે.