
ભારતમાં ઉપલબ્ધ હાલના સોનાના રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સર્ક્યુલેશનને જવાબદાર રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે પ્રોત્સાહન આપ્યું
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ભારત સરકાર સમક્ષ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (જીએમએસ)માં વ્યૂહાત્મક સુધારા માટે એક વ્યાપક પ્રસ્તાવ રજૂ કર્યો છે. કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાનો જવાબદાર રીતે વપરાશ કરવા અને દેશની આર્થિક સ્થિરતા મજબૂત બનાવવા માટે સ્થાનિક સોનાના સ્રોતોનો વધુ સારો ઉપયોગ કરવા અંગે કરાયેલા આહ્વાનને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે.
મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદ દ્વારા માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલને સોંપવામાં આવેલા આ પ્રસ્તાવમાં જીએમએસમાં લોકોની ભાગીદારી વધારવા, નિષ્ક્રિય પડેલા સોનાને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા અને ભારતમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના વધુ રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સર્ક્યુલેશનને પ્રોત્સાહિત કરવા માટેના વ્યવહારુ પગલાં સૂચવવામાં આવ્યા છે.
ભારત દર વર્ષે અંદાજે 700થી 800 ટન સોનાની આયાત કરે છે, જેના કારણે મોટાપાયે વિદેશી ચલણ બહાર જાય છે અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ વધે છે. બીજી તરફ, ભારતીય પરિવારો અને સંસ્થાઓ પાસે જ્વેલરી, સિક્કા અને બારના સ્વરૂપમાં અંદાજે 25,000થી 35,000 ટન સોનાનો જથ્થો હોવાનું માનવામાં આવે છે, જેમાંથી મોટો ભાગ આર્થિક રીતે નિષ્ક્રિય હાલતમાં છે.
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે જણાવ્યું હતું કે દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના રિસાયક્લિંગ, એક્સચેન્જ, પુનઃઉપયોગ અને મોનેટાઇઝેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, ડોલરના આઉટફ્લોને મર્યાદિત કરવામાં અને લાંબા ગાળે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય છે.
આ પ્રસ્તાવ અંગે મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વના સૌથી મોટા ખાનગી સ્તરે સોનાનો ભંડાર ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે, છતાં સ્વદેશી માંગ પૂરી કરવા માટે આયાત પર નોંધપાત્ર રીતે નિર્ભર રહેવું પડે છે. અમે માનનીય વડાપ્રધાનના આહ્વાનને હાર્દિક સમર્થન આપીએ છીએ અને માનીએ છીએ કે દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના જવાબદાર ઉપયોગ, રિસાયક્લિંગ અને સર્ક્યુલેશનને પ્રોત્સાહિત કરવું એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. યોગ્ય નીતિ આધાર અને સંગઠિત જ્વેલરી ક્ષેત્રના સક્રિય સંકલન સાથે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ નિષ્ક્રિય સોનાને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા માટે અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે.”
પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું છે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો પ્રારંભ સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને દેશમાં નિષ્ક્રિય હાલતમાં રહેલા સોનાને મોનેટાઇઝ કરવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા લોક-ઇન સમયગાળા, ઓછા માનવામાં આવતા વળતર, રિડમ્પશનમાં મર્યાદિત ફ્લેક્સિબિલિટી અને પ્રક્રિયાકીય પડકારોને કારણે લોકોની ભાગીદારી મર્યાદિત રહી હતી.
