મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

0
8
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો

મથુરા : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને કોઈ રાહત ન આપી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ મામલે હિન્દૂ પક્ષને મોટી સફળતા મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે પરિસરના સર્વેની ગઈકાલે મંજૂરી આપી દીધી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરથી જોડાયેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેક્ષણ માટે કોર્ટની દેખરેખમાં એક એડવોકેટ કમિશ્નરની નિયુક્તિની માંગ સ્વીકારી લીધી છે. હવે કોર્ટ 18 ડિસેમ્બરે નક્કી કરશે કે સર્વેની રૂપરેખા શું હશે. મતલબ કે સર્વે ક્યાં સુધી ચાલશે, પરિસરના કયા કયા ભાગમાં થશે સર્વે, સર્વેમાં કેટલા લોકો રહેશે સામેલ. આ તમામ પાસાઓ પર 18 ડિસેમ્બરે હાઈકોર્ટ નિર્ણય લેશે.  હિન્દૂ પક્ષે પોતાની અરજીમાં મથુરાના ઈદગાહ પરિસરનો સર્વે કરવાની માંગ કરી હતી. ASIની દેખરેખમાં થનારો આ સર્વે વારાણસીના જ્ઞાનવાપી સર્વેની જેમ જ હશે. પરંતુ હિન્દૂ પક્ષ મથુરાના સર્વેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરાવવાની માંગ કરી રહ્યો છે. આ સિવાય ઈદગાહથી જોડાયેલા તથ્યોની પણ તપાસ કરાવવામાં આવશે, જેમને લઈને હિન્દૂ પક્ષ કેટલાક દાવા કરતો આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હિન્દૂ પક્ષના દાવાઓમાં કહેવામાં આવે છે કે, ઈદગાહ પરિસરમાં કેટલીક પ્રકારના હિન્દૂ પ્રતીક ચિહ્ન હાજર છે.